Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનના ભણકારા

પશ્ચિમ બંગાળમાં હાલ રાજકીય હિંસા ચરમ સ્થિતિ પર છે

કોલકાતા તા. ૧૪ : પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં રાજકીય હિંસા સૌથી મહત્વનો મુદ્દો બનશે તે નિશ્ચિત છે. પશ્ચિમ બંગાળમાં હાલ રાજકીય હિંસા ચરમ સ્થિતિ પર છે.

પરિણામે રાજયમાં રાષ્ટ્રપિત શાસન લાગુ થવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. પશ્ચિમ બંગાળ ભાજપે રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી છે અને રાજયપાલ જગદીપ ઘનખડે પણ રાજકીય હિંસાઓ પર સવાલ ઊઠાવ્યા છે અને બંધારણ મુજબ પગલાં લેવાનું જણાવ્યું છે.

બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયની ઊજવણી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજકીય હિંસાઓનો ઉલ્લેખ કરીને મમતા સરકારને ઈશારામાં ચેતવણી આપી હતી. પશ્યિમ બંગાળમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પરિણામે ભાજપે મમતા સરકારને ઘેરવાની પૂરી તૈયારી કરી લીધી છે. પક્ષમાં કેટલાક વરિષ્ઠ નેતાઓના બળવાની આશંકા વચ્ચે મમતા માટે રાષ્ટ્રપતિ શાસનના અહેવાલો ચિંતામાં વધારો કરી શકે છે.

ભાજપે બંગાળમાં અત્યાર સુધીમાં તેના ૮૯ કાર્યકરોની હત્યાનો આરોપ મૂકયો છે. ઉપરાંત બંગાળમાં કોલસા માફિયાઓનો મુદ્દો પણ ગરમાયો છે. ગુરૂવારે કોલસા માફિયાઓએ કિથતરૂપે તૃણમૂલ કાર્યકરની ગોળી મારીને હત્યા કરી નાંખી.

પશ્ચિમ બંગાળના રાજયપાલ જગદીપ ઘનખડે કહ્યું, બંગાળમાં રાજકીય હિંસાઓ અટકવાનું નામ નથી લેતી. અહીં વિપક્ષના અવાજને દબાવવામાં આવી રહ્યો છે. પશ્મિ બંગાળમાં અધિકારીઓ તૃણમૂલ કોંગ્રેસના રાજકીય કાર્યકરની જેમ બની ગયા છે. આ લોકશાહીમાં યોગ્ય નથી. મમતા સરકાર રાજયમાં વિપક્ષના નેતાઓ અને કાર્યકરોને સલામતી પૂરી પાડવા સક્ષમ નથી.

ઘનખડે આગળ કહ્યું, હું બંગાળની સ્થિતિથી ચિંતિત છું. બંગાળમાં નિષ્પક્ષ ચૂંટણી થવા અંગે જનતા વિશ્વાસ ગુમાવી દે તેમ હું ઈચ્છતો નથી. હું રાષ્ટ્રપતિ શાસન લગાવવા પર તો કશું બોલીશ નહીં, પરંતુ ભારતના બંધારણ હેઠળ મને જે પાવર મળ્યો છે, તે મુજબ હું પગલાં લઈશ.

પશ્ચિમ બંગાળના ભાજપ એકમે રાજયમાં પક્ષના કાર્યકરોની હત્યાઓનો મુદ્દો ઉઠાવ્યો છે અને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માગણી કરી છે. બંગાળમાં ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષના કાફલા પર પથ્થરમારો થયો. તેનો વિરોધ કરનારા ભાજપના અંદાજે ૪૦ કાર્યકરોની પોલીસે ધરપકડ કરી છે. બંગાળ ભાજપના વડા દિલીપ ઘોષે આક્ષેપ કર્યો કે રાજયમાં પોલીસ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો તરીકે કામ કરી રહી છે.

(11:26 am IST)