Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

હાવર્ડ યુનિ,ના નામે ઠગાઈ : વરિષ્ઠ પત્રકાર નિધિ રાઝદાન બની સાયબર ફ્રોડનો શિકાર: 21 વર્ષ જૂની નોકરી ગુમાવી

હાવર્ડ યુનિવર્સિટીમાં નોકરીની ઓફરને પગલે છોડી હતી નોકરી, પછી ખબર પડી આ ફ્રોડ હતું : નિધિની આ 'કબૂલાત' વાયરલ થઈ રહી છે, હાર્વર્ડ ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ બની ગયો છે

નવી દિલ્હી :દેશમાં લોકો આજકાલ સાયબર ફ્રોડના ઘણા કિસ્સામાં ફસાઈ રહ્યા છે અને નુકસાન ભોગવી રહ્યા છે, પરંતુ એક જાણીતી ન્યુઝ ચેનલની પત્રકાર નિધિ રાઝદાનની સાથે જે થયું તે જાણીને માનવું મુશ્કેલ બનશે. છેલ્લા 21 વર્ષથી એક ન્યૂઝ ચેનલ સાથે સંકળાયેલ નિધિએ ગયા વર્ષે જૂનમાં ટવીટ કર્યું હતું કે તેમને હાર્વર્ડ યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસરની નોકરી મળી છે, તેથી તે પત્રકારત્વની કારકીર્દિને અલવિદા કહી રહી છે. જો કે, હવે સાત મહિના પછી, તેણે ટ્વિટ કરીને દાવો કર્યો છે કે તે એક વ્યાપક સાયબર ફ્રોડ નો ભોગ બની છે અને હાર્વર્ડ દ્વારા તેને આવી કોઈ નોકરીની ઓફર કરવામાં આવી નથી.

નિધિએ શુક્રવારે ટ્વીટ કરીને તેની સાથેની આખી ઘટના વિશે માહિતી આપી હતી. નિધિએ ટિ્‌વટ કર્યું હતું કે, 'હું ઘણા મોટા ફિશિંગ એટેકનો ભોગ બની છું. હું એક નિવેદન આપીને આ જાહેર કરી રહી છું જેના પછી હું સોશિયલ મીડિયામાં આના વિશે કોઈ જ ચર્ચા નહીં કરું.

નિધિએ પોતાના નિવેદનમાં કહ્યું, 'જૂન 2020 માં મેં મારી 21 વર્ષીય પત્રકારત્વની કારકીર્દિને અલવિદા જાહેર કરી હતી કે હું આગામી થોડા દિવસોમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર (જર્નાલિઝમ) તરીકે જોડાઇશ. મને કહેવામાં આવ્યું હતું કે મારે સપ્ટેમ્બર 2020 સુધીમાં જોડાવું પડશે. હું તૈયારી કરી રહી હતી કે મને ફરીથી કહેવામાં આવ્યું હતું કે રોગચાળાને કારણે મારા ક્લાસીસ જાન્યુઆરી 2021 માં શરૂ થશે. દરમિયાન મારી સાથેના સંદેશા વ્યવહારમાં મને કેટલીક ભૂલો જોવા મળી હતી, પરંતુ મેં તેને અવગણી હતી, જો કે તે પછી જે થયું તે ચોંકાવનારું હતું. '

નિધિએ કહ્યું, 'આ પછી મેં પરિસ્થિતિને સમજાવવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓનો સીધો સંપર્ક કર્યો. મારા ટોટલ સંદેશા વ્યવહારની ડિટેલ્સ મે શેર કરી હતી જેના પછી મને ખબર પડી કે હું એક અલગ પ્રકારનાં ફિશિંગ એટેકનો ભોગ બની છું અને હકીકતમાં મને હાર્વર્ડ યુનિવર્સિટી તરફથી તેના જર્નાલિઝમ વિભાગની ફેકલ્ટી બનવાની કોઈ ઓફર નથી આવી.

નિધિનું આ 'કબૂલાત' એકદમ વાયરલ થઈ રહ્યું છે. હાર્વર્ડ તેની ટ્વિટ બાદથી ટ્વિટર પર ટ્રેન્ડિંગ છે. જ્યારે લોકો આ અધમ મજાક માટે નિધિ પ્રત્યે સહાનુભૂતિ અનુભવી રહ્યા છે, ત્યારે મોટાભાગના લોકો આ બાબતને લઈને આઘાતમાં છે કે નિધિ જેવા વરિષ્ઠ પત્રકારો કેવી રીતે આવા સાયબર એટેકનો ભોગ બન્યા. નિધિની સપ્ટેમ્બરની ટ્વિટ ખૂબ જ વાયરલ થઈ રહી છે,

આ સિવાય સુરેશ એન. નામના અન્ય સોશિયલ મીડિયા યુઝરે સપ્ટેમ્બરમાં જ આ સંભવિત સાયબર ફ્રોડ તરફ ધ્યાન દોર્યું હતું. સુરેશે સપ્ટેમ્બરમાં પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, 'નિધિએ તેના ટ્વિટર બાયોમાં લખ્યું છે કે તે હાર્વર્ડ ખાતે ભણાવે છે, પરંતુ તેનું નામ ફેકલ્ટીની સૂચિમાં નથી. આ સિવાય જેનું નામ તેમણે લખ્યું છે તે વિષય હજી યુનિવર્સિટીમાં સૂચિબદ્ધ નથી. શું આ વેબસાઇટ અપડેટ ન થવાને કારણે છે અથવા હાર્વર્ડનું મન બદલાઈ ગયું છે? જો કે, નિધિ રઝદાનએ આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ કરી છે અને આગળની તપાસ માટે તમામ દસ્તાવેજો હાર્વર્ડ યુનિવર્સિટી પ્રશાસનને પણ સોંપી દીધા છે

(12:37 am IST)