Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

સેનાનો ભાવુક વીડિયો, પુલવામા શહીદોને શ્રદ્ધાંજલી

૧૮ જેટલા પરિવારોને ખાલી કોફીન મોકલાયા : પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા, જ્યારે ૭૦ અન્ય ઘાયલ થયા હતા

નવી દિલ્હી,તા.૧૪ : પુલવામા હુમલાની બીજી વરસી પર ભારતીય સેનાએ એક વીડિયો જાહેર કર્યો છે જે કોઈને પણ અંદરથી હલબલાવીને રાખી દેશે. ચિનાર કોર્પ્સના ટ્વિટર હેન્ડલથી બહાર પાડવામાં આવેલા આ વીડિયોમાં આખી ઘટના અને ભારત સરકારે લીધેલા પગલાઓ વર્ણવ્યા છે. વીડિયોની શરૂઆતમાં, અહેવાલ છે કે સીઆરપીએફ બટાલિયનની બસોને નિશાન બનાવતો આત્મઘાતી આતંકવાદી માત્ર ૨૦ વર્ષનો આદિલ અહેમદ ડાર હતો. તેણે વિસ્ફોટકોથી ભરેલી કાર દ્વારા તેના ઘરથી માત્ર ૧૦ કિમી દૂર હાઈવે પરથી પસાર થતી સીઆરપીએફની બસોને નિશાન બનાવી હતી અને આ ઘટનામાં ૪૦ સૈનિકો માર્યા ગયા હતા. પુલવામા આતંકી હુમલામાં ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ અન્ય ૭૦ સૈનિકો ઘાયલ થયા હતા. આ ઘટના પછી, ભારતે પાકિસ્તાન પાસેથી 'મોસ્ટ ફેવરર્ડ નેશન'નો દરજ્જો પાછો ખેંચી લીધો, તેની સાથે વેપાર કરવાનું બંધ કરી દીધું અને કૂટનીતિક મોરચે પણ ઘેરાબંધી કરવાનું શરું કર્યું હતું.

          વીડિયોમાં જ એક દ્રશ્યમાં જણાવાયું છે કે લગભગ ૧૮ જેટલા પરિવારોને ખાલી કોફીન મોકલવામાં આવ્યા હતા. કારણ કે ધમાકો એટલો પ્રચંડ હતો કે શહીદોના અંગ પણ શોધી શકાય તેવી સ્થિતિમાં નહોતા. એ બાબતને ધ્યાનમાં રાખો કે પુલવામા હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનની અંદર ઘુસી ગયું હતું અને બાલાકોટ એરસ્ટ્રાઇક કરી હતી. ભારતની વળતી કાર્યવાહીમાં ડઝનેક આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પાકિસ્તાનને વિશ્વમાં અલગ થલગ કરવા અને પરોક્ષ રીતે તેને આતંકવાદી રાજ્ય જાહેર કરવાની ઝુંબેશ પણ હાથ ધરાઈ હતી. ભારતનો આ પ્રયાસ પણ મોટા પ્રમાણમાં રંગ લાવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા એફએટીએફ પાકિસ્તાન પર આતંકવાદીઓને ભંડોળ આપવાના કારણે પોતાની પકડ કડક કરી રહી છે અને તેના કારણે પાકિસ્તાન સંપૂર્ણ રીતે અકળાઈ ગયું છે. જે બાદથી પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારને આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઘૂંટણીયે પડવાની ફરજ પડી છે અને પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓને એક પછી એક જેલમાં મોકલવા પડી રહ્યા છે.

(12:00 am IST)