Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

૪ મહિલા અધિકારી બચાવ કામગીરી સંભાળી રહી છે

ગ્લેશિયર ફાટ્યા બાદ ચમોલીમાં બચાવ કામગીરી : સાઈટ પર કેમ્પિંગ, સંબંધીઓ ગુમ છે તેઓની સંભાળ, કંટ્રોલ રૂમ સેટઅપ સહિતના કામ આ અધિકારી જુએ છે

ચમોલી  : ચાર ઉચ્ચ પ્રતિભાશાળી મહિલા અધિકારીઓએ ઉત્તરાખંડમાં રાહત અને બચાવ કામગીરીની જવાબદારી સંભાળી રાખી છે. ૭ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ ગ્લેશિયર ફાટ્યા બાદ ભલે સાઈટ પર કેમ્પિંગ કરવાનું હોય, જેમના સંબંધીઓ ગુમ છે તેઓની સંભાળ લેવાની હોય, કંટ્રોલ રૂમ સેટઅપ કરવાનું હોય, બચાવ અભિયાનને મોનિટર કરવાનું હોય કે પછી રાહત સામગ્રીનું વિતરણ કરવાનું હોય....આ મહિલાઓએ આગળ આવીને બધી જવાબદારી નિભાવી છે. જેમાં ચમોલીના જિલ્લા અધિકારી સ્વાતિ ભદૌરિયા હોય, આટીબીપીના ડીઆઈજી અપર્ણા કુમાર હોય, ગઢવાલ રેન્જના ડીઆઈજી નીરુ ગર્ગ હોય કે પછી એસડીઆરએફના ડીઆઈજી રિદ્ધિમ અગ્રવાલ. આ ચારેય અધિકારીઓએ વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. આ તમામ અધિકારીઓ અંગે રસપ્રદ માહિતી અત્રે રજૂ કરાઈ છે.

સ્વાતિ ૨૦૧૧ બેચના આઈએએસ અધિકારી છે. તેમના માટે ગ્લેશિયર બર્સ્ટ અને ત્યારબાદનું રેસ્ક્યુ ઓપરેશન પહેલો અનુભવ છે. અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, વસ્તુઓનું સંકલન કરવું, કંટ્રોલ રૂમ બનાવવું, પરિવારોને મળવું અને સહાય કરવી, રેસ્ક્યુ ઓપરેશન ચલાવવું, વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવો, ભોજન પ્રદાન કરવું અને ગુમ થયેલ લોકોની સૂચિ બનાવવી એ એક મોટો પડકાર હતો. જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે તે પહેલા ત્રણ દિવસ તપોવનમાં કેમ્પ લગાવી રહ્યા હતા, જ્યારે તેમનો ત્રણ વર્ષનો પુત્ર ગોપેશ્વરમાં એકલો હતો. સ્વાતિ કહે છે, ત્રણ દિવસ પછી મેં તેને અહીં બોલાવ્યો હતો અને છેલ્લા ચાર દિવસથી તે પણ સ્થળ પર કેમ્પ કરી રહ્યો હતો.

૨૦૦૨ બેચના આઈપીએસ અધિકારી અપર્ણા કુમાર કોઈ ઓળખના મોહતાજ નથી. તેઓ અહીં રેસ્ક્યુ અભિયાનમાં લાગેલી આઈટીબીપી ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓએ વિશ્વના સાત ઉચ્ચતમ શિખરો પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. રસપ્રદ વાત એ છે કે ૩૯ વર્ષની વય પછી તેઓએ આ બધા પર્વતો સર કર્યા છે. તેઓ દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારા ભારતના પ્રથમ અધિકારી છે.

૨૦૦૫ની બેચના આઇપીએસ અધિકારી નીરુ ગર્ગ રૈણી અને તપોવનમાં પોલીસ ઓપરેશન્સની કમાન સંભાળી રાખી છે. તેમણે કહ્યું, અમે લોકોને બચાવવા અને ગુમ થયેલા લોકોને શોધવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છીએ. નીરુ માને છે કે તેઓ પોતાની ૯ વર્ષની દીકરીને એટલો સમય નથી આપી શકતા જે હરિદ્વારમાં રહીને પરીક્ષાઓ આપી રહી છે. તેમણે કહ્યું કે, 'પરંતુ મારા ઉપર તેનાથી પણ મોટી જવાબદારીઓ છે જે મારે નિભાવવાની છે.

૨૦૦૫ બેચના આઈપીએસ રિદ્ધિમ અગ્રવાલ એસડીઆરએફમાં ડીઆઈજી છે. ઘટના બાદ તેમની ટીમ સ્થળ પર સૌથી પહેલા પહોંચી હતી. એસડીઆરએફની ટીમના લોકો એ તળાવ પર ટ્રેક કરીને ગયા જે રૈણી ગામ ઉપર બનેલું છે. અગ્રવાલે કહ્યું કે, સમગ્ર બચાવ અને રાહત કામગીરીમાં એસડીઆરએફની મહત્વની ભૂમિકા છે. તેમણે કહ્યું, અંગત મોરચે પડકારો હતા પરંતુ ફોકસ જીવન બચાવવા અને રેસ્કયુ ઓપરેશન પર છે. એસડીઆરએફની ટીમ સૌથી પહેલા સ્થળ પર પહોંચી હોવાથી મારી ભૂમિકા તમામ એજન્સીઓમાં વધુ સારી રીતે સંકલન બનાવવાની હતી.'

(7:12 pm IST)