Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

'ડબલ એટેક'વાળા કોરોનાના સ્વરૂપે તાંડવ મચાવ્યું: દર્દીઓ થઈ રહ્યા છે ગંભીર

કોરોનાના કેસમાં આવેલા ભયાનક વધારા પાછળ ડબલ મ્યુટેશન જવાબદારઃ શરીરમાં વધારી દે છે વાયરસ લોડઃ દર્દી જલ્દી બની જાય છે ગંભીર : પાંચ રાજ્યોમાં ડબલ મ્યુટેશન વાયરસની ઓળખ થઈઃ મહારાષ્ટ્રમાં ૩૬૧ નમૂનામાંથી ૬૧ ટકામાં આ સ્વરૂપ જોવા મળ્યું: નવા સ્વરૂપે ડોકટરો-લોકોની ચિંતા વધારી

નવી દિલ્હી, તા. ૧૫ :. ભારતમાં કોરોના સંકટે ફરી એક વખત કાળોકેર મચાવ્યો છે. દેશમાં રોજ રેકોર્ડ તોડ નવા કેસ આવી રહ્યા છે તે વચ્ચે એક ડરામણા સમાચાર આવ્યા છે કે મહારાષ્ટ્રમાં સંક્રમણના કુલ ૩૬૧ નમૂનામાંથી ૬૧ ટકામાં ડબલ મ્યુટેશન જાણવા મળ્યુ છે. છેલ્લા કેટલાક સપ્તાહોથી કોરોના સંક્રમણના કેસમાં આવેલા ભીષણ વધારા પાછળ આ ડબલ મ્યુટેશનને મોટુ કારણ ગણવામાં આવી રહ્યુ છે. ડબલ મ્યુટેશન ઝડપથી ફેલાય છે એટલુ જ નહિ તેનાથી દર્દીની સ્થિતિ ગંભીર બને છે.

જયારે દેશમાં વેકસીનેશન ડ્રાઈવ પૂરજોશમાં ચાલુ છે. આ બધા વચ્ચે વાયરસના એક નવા સ્વરૂપે ચિંતા વધારી દીધી છે. જેને 'ડબલ મ્યૂટેશન વાયરસ' ના નામથી ઓળખાય છે.

ડબલ મ્યૂટેશન વાયરસના આ જે નવા કોરોના સ્વરૂપે ચિંતા વધારી છે તેના વિશે જાણકારોનું માનવું છે કે આ ડબલ મ્યૂટેશન વેરિએન્ટના કારણે જ કેસમાં આટલો ઝડપથી વધારો થયો છે. ડબલ મ્યૂટેશન વાયરસે આ મહામારીને પહોંચી વળવાનો પડકાર પણ વધુ મુશ્કેલ બની ગયો છે. આખરે આ ડબલ મ્યૂટેશન વાયરસ સ્ટ્રેન અને તેને લઈને આપણે શું ખરેખર ચિંતા કરવાની જરૂર છે...આવો જાણીએ.

માર્ચના અંતમાં ભારતના નેશનલ સેન્ટર ફોર ડિસિસ કંટ્રોલ (NCDC) એ એક નવા વેરિએન્ટ 'ડબલ મ્યૂટેન્ટ' ની જાણકારી આપી હતી. આ વેરિએન્ટને વૈજ્ઞાનિકોએ સામાન્ય રીતે B.1.617 નામ આપ્યું છે. જેમાં બે પ્રકારના મ્યૂટેશન્સ છે E484Q અને L452R મ્યૂટેશન. આ વાયરસનું એ સ્વરૂપ છે જેના જીનોમમાં બે વાર ફેરફાર થઈ ચૂકયો છે. વાયરસ પોતાને લાંબા સમય સુધી પ્રભાવી રાખવા માટે સતત પોતાની જીનેટિક સંરચનામાં ફેરફાર લાવતા રહે છે. જેથી કરીને તેમને ખતમ ન કરી શકાય. બે પ્રકારના વાયરસ મ્યૂટેશનના કારણએ જ તે વધુ ખતરનાક માનવામાં ઓ છે.

વાયરસનું આ નવું વેરિએન્ટ દ્યરેલુ અને કોમન છે. ડબલ મ્યૂટેન્ટ વાયરસની ઓળખ દેશના ઓછામાં ઓછા પાંચ રાજયોમાં થઈ ચૂકી છે. આ રાજયોમાં ગત મહિને કોરોના વાયરસના કેસમાં રોકેટ ગતિથી ઉછાળો જોવા મળ્યો જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને પંજાબ પણ સામેલ છે. આ ઉપરાંત હાલ અન્ય કેટલા રાજયોમાં આ ડબલ મ્યૂટેન્ટ વાયરસ સક્રિય છે તે સ્પષ્ટ રીતે કહી શકાય નહીં. આ બાજુ વૈશ્વિક સ્તરે પણ આ વેરિએન્ટથી લોકો સંક્રમિત થઈ રહ્યા છે. રિપોર્ટ્સ કહે છે કે આ નવા સ્ટ્રેનના કેસ અમેરિકા, બ્રિટન, સિંગાપુર અને ઓસ્ટ્રેલિયામાં પણ મળી આવ્યા છે.

આ નવા મ્યૂટેશને બે અન્ય મ્યૂટેશન્સના જેનેટિક કોડ (E484Q અને L452R) ને પોતાનામાં સમેટેલા છે. જે પહેલેથી દુનિયાભરમાં ફેલાયેલા છે. જયાં આ બંને મ્યૂટેશન્સ પોતાના વધુ પ્રભાવ અને સંક્રમણ દર માટે જાણીતા છે. જયારે પહેલીવાર એવું બન્યું છે કે બંને એકસાથે ભળી ગયા છે જેનાથી વાયરસ અનેક ગણો વધુ સંક્રામક અને ઘાતક સ્વરૂપ લઈ લે છે. જો સરળ ભાષામાં કહીએ તો આ ડબલ મ્યૂટેશનમાં કોરોના વાયરસ સાથે જોડાયેલા બે અલગ અલગ પ્રકારના સ્પાઈક પ્રોટીન માર્કર રહેલા છે.

સ્પાઈક પ્રોટીનની મદદથી વાયરસ માણસના સેલ્સ સાથે ચોંટી જાય છે અને ત્યારબાદ તેમના અંગો પર એટેક કરે છે. આ સ્ટેરના વેરિએન્ટ્સ સ્પાઈક પ્રોટીનના સ્ટ્રકચરને બદલી નાખે છે જેનાથી તે સેલ્સ સાથે એટેચ થઈને અનેક ગણી ઝડપથી વધવા લાગે છે. તેનાથી સંક્રમણ કૂદકેને ભૂસકે વધે છે.

આ નવો વેરિએન્ટ આપણી રોગ પ્રતિકારક શકિત માટે કેટલો ખતરનાક?

હજુ એવા વૈજ્ઞાનિક પૂરાવા નથી કે ડબલ મ્યૂટેન્ટ વાયરસથી કેટલી વધુ ઝડપથી કે કેટલી સંખ્યામાં લોકો તેનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આમ છતાં જે રીતે દેશભરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે તેના આધારે નિષ્ણાંતો પણ આ ડબલ મ્યૂટેન્ટ વાયરસને જ તેના માટે જવાબદાર ઠેરવી રહ્યા છે. વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ ડબલ મ્યૂટેન્ટ વાયરસ વધુ સંક્રામક છે જે વધુ ઝડપથી ફેલાય છે અને ગંભીર બીમારીઓ પેદા કરે છે.

આ વાયરસે સમગ્ર હેલ્થકેર સિસ્ટમને જ ઘૂંટણિયે લાવી દીધી છે જે હાલ દેશમાં જોઈ શકાય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે નવો વેરિએન્ટ સંક્રમણ રેટને પણ વધારી શકે છે અને તે લોકોની ઈમ્યુનિટી ડિફેન્સને સરળતાથી ભેદી શકે છે અને સંક્રામકતાને વધારી શકે છે.

કોરોનાના ડબલ મ્યૂટેન્ટ વેરિએન્ટની સાથે વધુ જોખમ રહેલું છે અને તે છે રસીકરણ બાદ સંક્રમણ દરમાં વધારો અને ફરીથી સંક્રમણ થવું. હાલ દશમાં એવા અનેક લોકો છે જે રસીના ડોઝ લીધા બાદ પણ ટેસ્ટમાં પોઝિટિવ આવી રહ્યા છે. જેમાં એવા લોકો પણ સામેલ છે જે ફરીથી સંક્રમિત થઈ રહ્યા છે. જયાં કોવિડની રસી હાલ ૧૦૦ ટકા અસરકારક નથી ત્યાં વધુ મજબૂત અને અલગ સ્પાઈક પ્રોટીનના કારણે નવા વેરિએન્ટને એન્ટીબોડીઝને માત આપવામાં સરળતા થઈ શકે છે. એવા લોકોને પણ તે ઝપેટમાં લઈ શકે છે જે કોરોના વાયરસની હરાવી ચૂકયા છે.

નવો વેરિએન્ટ જેટલી સરળતાથી એન્ટીબોડીઝને માત આપશે, રસી માટે સંક્રમણ રોકવું અને આપણા માટે હર્ડ ઈમ્યુનિટી સુધી પહોંચવું એટલું જ મુશ્કેલ હશે. આમ છતાં હાલ પ્રાથમિકતાના આધારે રસીકરણ વાયરસ વિરુદ્ઘ જંગ લડવાનું એક ઉત્તમ હથિયાર છે. એકસપર્ટ આમ છતાં વધુમાં વધુ લોકોને રસીકરણની સલાહ આપે છે, કારણ કે રસીની અસરનો રેટ ભલે અલગ-અલગ હોય પરંતુ તે આ મહામારીની ગંભીરતા અને મૃત્યુદરને ઓછો કરવામાં મદદરૂપ છે.

(10:31 am IST)