Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

કોરોનાના ટોચના તજજ્ઞ તબીબો શું કહે છે જાણો... કોરોનાની સારવારમાં નાગરીકો અને તબીબોને માર્ગદર્શન મળી રહે તેવો ઉપયોગી વાર્તાલાપ

દેશભરમાં ૭૦% લોકો વેકસીન લઈ લેશે તો જ હર્ડ ઇમ્યુનીટી આવશે

પદ્મશ્રી ડો.તેજસ પટેલ કહે છે વેકસીન લેવાથી કોરોના ન થાય એવું નથી, પણ સંક્રમિત થવાથી બચશો, વાયરલ લોડથી બચશો અને મૃત્યુથી બચી શકાશે અને અન્યને સંક્રમણ નહી ફેલાવવા માટે સુપરસ્પ્રેડર નહી બનો : કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી કે કોઇપણ પ્રકારના ઇન્જેકશન લેવાની જરૂર નથી, આવા દર્દીઓ માત્ર ઘરે આરામ કરી સાજા થઇ શકે છે : ડો.અતુલ પટેલ : હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીએ ઉંધા સુવુ જોઇએ, યોગ અને પ્રાણાયામ પણ નિયમિત કરવા જોઇએ : ડો.તુષાર પટેલ : કોરોના સામેની લડતમાં હવે આપણે થ્રી વી (વેકસીનેશન, વેન્ટીલેશન, વલ્નરેબલ્સ કેર)નું સુત્ર અપનાવવું જ પડશે : યુવાનો સહિત તમામ લોકોએ બિનજરૂરી પ્રવાસ ટાળવો જોઇએ કારણ કે કોરોનાની બીજી લહેરમાં ત્રણ ગણુ વધુ ઝડપે સંક્રમણ ફેલાઇ રહ્યું છે : ડો.દિલીપ માવલંકર : રસી મામલે ફેલાયેલી ગેરમાન્યતાઓને દૂર કરવી પડશે, દેશમાં અપાયેલા રસીના કરોડો ડોઝની સામે આડ અસરના માત્ર ૦.૦૦૧ ટકાથી ઓછા કિસ્સા આવ્યા છે : ડો.વી.એન.શાહ

અમદાવાદ : ગુજરાત સરકારની કોવિડ-૧૯ની તજજ્ઞ ડોકટરોની ટાસ્કફોર્સના વરિષ્ઠ સભ્યોએ આજે ગાંધીનગરમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ, કોરોના દરમિયાન હોમ આઇસોલેશનનું મહત્વ, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ, કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવીર ઇન્જેકશનનો ઉપયોગ અને રસીકરણ જેવા વિષયો પર નાગરીકો અને ડોકટરોને સતાવતી વિવિધ પ્રકારની સમસ્યાઓનું સમાધાન થાય એ પ્રકારે વિસ્તૃતમાં પત્રકાર મિત્રો સાથે વાતચીત કરી હતી.

વિશ્વપ્રસિધ્ધ કાર્ડીયોલોજીસ્ટ અને એપેકસ હાર્ટ ઇન્સ્ટીટયુટ અમદાવાદના ચેરમેન પદમશ્રી ડો.તેજશ પટેલ, ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગરના ડાયરેકટર ડો.દિલીપ માવલંકર, ઝાયડસ હોસ્પિટલ અમદાવાદના ડાયાબેટોલોજીસ્ટ ડો.વી.એન.શાહ, ઇન્ફેકિસયશ ડિસીઝ કન્સલ્ટન્ટ અને સ્ટર્લીંગ હોસ્પિટલ અમદાવાદના ઇન્ફેકશન ડિવીઝનના ડાયરેકટર ડો.અતુલ પટેલ, જાણીતા પલ્મોનલોજીસ્ટ અને સ્ટર્લીંગ હોસ્પિટલના ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડો.તુષાર પટેલ અને એપોલો હોસ્પિટલના ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડો.મહર્ષિ દેસાઇએ વિવિધ વિધાયો પર વિસ્તૃત માહિતી આપી હતી.

ડો.તેજશ પટેલ : અમદાવાદની એપેક્ષ હાર્ટ ઇન્સ્ટીટયુટના ચેરમેન અને કાર્ડિયોલોજીસ્ટ પદમશ્રી ડો.તેજશ પટેલે જણાવ્યું છે કે, કોરોના સંક્રમણથી બચવા માટે સૌ નાગરીકો માસ્ક પહેરે અને જે ના પહેરતા હોય તેમને ફરજીયાત પહેરવા સમજાવીશુ તો જ બચી શકશુ કેમકે આ એક અલગ પ્રકારનો વાયરસ છે જે શિયાળો, ઉનાળો અને ચોમાસામાં પણ પ્રસર્યો છે. એટલે આપણે માસ્ક પહેરીએ, વારંવાર હાથ ધોઇએ અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવીએ. રાજય સરકાર અસરકારક કામગીરી કરી રહી છે ત્યારે પ્રજાકીય સહયોગ પણ એટલો જ અનિવાર્ય છે. તેમણે ઉમેર્યુ કે, કોવિડ-૧૯નો કેસ નવેમ્બર ૨૦૧૯માં શરૂ થયા વાયરોલોજીના નિષ્ણાંતોના મતે આ વાયરસ સામે ભારતના તબીબોએ જે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ આપ્યા એની નોંધ વિશ્વએ લીધી છે. પ્રથમ ફેઇસમાં આપણા પ્રયાસોના કારણે એક તબકકે કોરોના જશે એવી પરિસ્થિતી જોવા મળી પરંતુ કમનસીબે બીજો તબકકો વધુ ગંભીર છે. ત્યારે આપણે સ્વયં જાગૃત બનવાની જરૂર છે નહી કે ગભરાવવાની જરૂ છે.

ડો.પટેલે ઉમેર્યુ કે, સંક્રમણને રોકવા માટે દેશભરમાં જે વેકસીનેશનની કામગીરી થઇ રહી છે ત્યારે સૌ નાગરીકોએ ગભરાયા વિના વેકસીન લઇ લેવી જોઇએ. કોમોર્બિડીટી હોય અને સ્ટેબલ દર્દી હોય તેમણે પણ કોઇ ચિંતા કર્યા વગર વેકસીન લઇ લેવી જોઇએ. તેમણે કહ્યુ કે આપ વેકસીન લેશો તો કોરોના નહી થાય એવુ નથી પરંતુ સંક્રમીત થવાની બચશો અને વાયરલલોડ થી બચી શકાશે અને મૃત્યુથી બચી શકાશે અને અન્યને સંક્રમણ નહી ફેલાવા માટે સુપરસ્પ્રેડર નહી બનો. જો દેશભરમાં ૭૦ ટકા લોકો વેકસીન લઇ લેશે તો જ હર્ડ ઇમ્યુનીટી આવશે એટલા માટે સૌએ રસી લેવી અત્યંત જરૂરી છે.

વધુમાં જણાવ્યું કે, લોકડાઉન એ સંક્રમણ રોકવાનો કોઇ ઉપાય નથી. સંક્રમણની ચેઇન તોડવી એ પણ જરૂરી છે. પરંતુ ચેઇન તોડવા માટે આપણે સૌએ માસ્ક પહેરવુ. યોગ્ય સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવવુ અને બિનજરૂરી ટોળામાં એકત્ર ન થવું એ જ અસરકારક નિવડશે.

ડો.દિલીપ માવળંકર : પબ્લિક હેલ્થ ઇન્સ્ટિીટયુટના નિયામક અને કોવીડ ટાસ્ક ફોર્સના સદસ્ય

પબ્લિક હેલ્થ ઇન્સ્ટીટયુટના નિયામક અને કોવીડ ટાસ્ક ફોર્સના સદસ્ય ડો.દિલીપ માવળંકરે જણાવ્યું કે, કોરોના સામેની લડતમાં આપણે એસએમએસ (સેનિટાઇઝેશન, માસ્ક, સોશિયલ ડીસ્ટન્સ) અને ટીટીટી (ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ) બાદ હવે ૩વી (વેકસીનેશન, વેન્ટીલેશન, વલ્નરેબલ્સ કેર)નું સુત્ર અપનાવવું પડશે.

તેમણે કહ્યુ કે, કોરોના સામની લડતમાં લોકો વેન્ટીલેશન (હવા ઉજાશ)ને ભૂલી રહ્યા છે. સંક્રમણથી બચવા ઘરોમાં વેન્ટીલેશન ખૂબ જ અગત્યનું છે. તથા એરકંડીશનીંગ સુવિધાઓનો ઉપયોગ ટાળવો પણ હિતાવહ છે. તેમ તેમણે ઉમેર્યુ હતુ. તેમણે વધુમાં કહ્યુ હતુ કે, કોરોના વાયરસના નવા સ્ટ્રેન વેકસી લીધા બાદ પણ વ્યકિતનું કોરોના સંક્રમીત થવુ અને એકવાર કોવીડ દર્દી બન્યા બાદ ફરી બીજીવાર સંક્રમીત થવાના કિસ્સાઓ હજી સુધી વધુ સઘન અભ્યાસ જરૂરી છે. જે ભારતને વિશ્વના તજજ્ઞો કરી રહ્યા છે. ડોકટર માવળંકરે સુચન કરતા કહેલ કે, યુવાનો સહિત તમામ લોકોએ બિનજરૂરી પ્રવાસ ટાળવો જોઇએ કારણ કે કોરોનાના બીજા વેવમાં પહેલા વેવથી ત્રણ ગણી ઝડપે સંક્રમણ ફેલાઇ રહ્યુ છે.

તેઓ વિશ્વાસ વ્યકત કર્યો કે, ડ્રગ્સ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અને આવશ્યક સંશાધનો (લોજિસ્ટીક)ના મેનેજમેન્ટ થકી દર્દીઓની સારવારને સુનિશ્ચિત કરી શકાશે. કોરોના સંક્રમણ વિશે લોકોને જાગૃત કરવા માટે સંચાર માધ્યમોએ પણ અગત્યનો ભૂમિકા ભજવવી પડશે તેમ ઉમેર્યુ હતુ.

ડો.વી.એન.શાહ : ઝાયડસ કેડિલામાં ડાયાબિટીયોલોજીસ્ટ તરીકે કાર્યરત વરીષ્ઠ ડોકટર નિષ્ણાંત ડાયાબિટીયોલોજીસ્ટ વી.એન.શાહે પત્રકાર સાથેના સંવાદમાં જણાવ્યું કે, કોરોનાની વોર લાઇક સ્થિતિ સામે લડવા માટે માસ મુવમેન્ટ શરૂ કરવાની જરૂર છે ગામેગામ તાલુકે તાલુકે અને જિલ્લે જિલ્લે સૌએ સમિતિ બનાવીએ એસએમએસ તથા વેકસીનેશન જાગૃતિ ફેલાવીને તેમના વિસ્તારમાં કોવિડ-૧૯ની પ્રવેશબંધી માટે કડકાઇપુર્વકનું અભિયાન ચલાવવું જોઇએ.

શ્રી શાહે ઉમેર્યુ કે, હાલ કોવિડ-૧૯નો યુકે વેરીયન્ટ આપણા દેશમાં છે જે ચાર થી છ ગણી ઝડપે ફેલાઇ રહ્યો છે. કોઇ એક વ્યકિતને જો ઘરમાં કોવિડ-૧૯ પોઝીટીવ આવે તો ઝડપભેર ઘરના અન્ય સભ્યોને પણ ચેપગ્રસ્ત બનાવે છે. આ પરિસ્થિતિને નિવારવા આપણી પાસે વેકસીનેશન (રસી) ઉપલબ્ધ છે. આ રોગની અટકાયતનો હલ છે. આપણી પાસે રસી આવી ગઇ છે અને મોટી ઉમરમાં કોમોર્બિડ સહિતના લોકોને તે આપી શકાય છે.

ડો.વી.એન.શાહે કહ્યુ કે, પુનઃ આજે એક વર્ષ બાદ કોવિડ-૧૯ની અટકાયત વિશે ચર્ચા કરવા માટે એકઠા થયા છીએ ત્યારે એસએમએસના પાલનની પુનરૂકિત જરૂરી છે. આ સાથે જ આપણે રસીકરણને પ્રોત્સાહન આપવવાનું છે. શ્રી શાહે સ્પષ્ટપણે કહ્યુ કે, રસી સંદર્ભે ફેલાયેલ ગેરમાન્યતાઓ દૂર કરવી પડશે. દેશમાં અપાયેલા રસીના કરોડો ડોઝની સામે આડઅસરના માત્ર ૦.૦૦૧% થી ઓછા કિસ્સા આવતા હોય ત્યારે આ રસીના પાસા અંગે લોકોને જાગૃત કરવા અત્યંત જરૂરી છે.

અતુલ પટેલ : ઇન્ફેકિશયસ ડિવીઝન સ્ટર્લીંગ હોસ્પિટદ અમદાવાદના ડાયરેકટર અતુલ પટેલે જણાવેલ કે કોરોનાના દર્દીઓની સારવારને લઇને અનેક ઉભી થઇ રહેલ ગેરસમજ અંગે વાત કરતા ડો.અતુલ પટેલે જણાવેલ કે, કોરોના વાયરસનો શિકાર બનેલ ૮૦ ટકા દર્દીઓમાં મોટાભાગે સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે. જેમાં માથુ દુઃખવું, શરીર દુખવુ કે પછી સામાન્ય તાવ કે શરદી મુખ્ય લક્ષણો છે. ત્યારે આ પ્રકારના લક્ષણો ધરાવતા દર્દીઓએ ગભરાવવાની જરૂર નથી માત્ર ઘરે આઇસોલેટ થઇને પણ ઝડપથી રિકવરી મેળવી શકે છે.

કોરોના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ ઝડપથી કેવીરીતે રિકવરી મેળવી શકે છે તેના પર વાત કરતા અતુલ પટેલે જણાવ્યું કે, કોરોના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓએ ખૂબ જ આરામ કરવો ખૂબ માત્રામાં પ્રવાસી લેવું તેમજ ડોલો કે પેરાસીટામોલ લઇને ઝડપથી રિકવરી મેળવી શકાય છે. આ સંદર્ભમાં તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓએ ટોસિલિઝુમેબ અને રેમેડિસીવર જેવા ઇન્જેકશન લેવાનો આગ્રહ ન રાખવો જોઇએ. આ પ્રકારના ઇન્જેકશનથી સામાન્ય કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીને આડઅસર થઇ શકે છે.

ડો.અતુલ પટેલે વધુમાં જણાવ્યું કે, કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓનું ઓકસીજન લેવલ ૯૪ થી વધુ હોય તો આવા દર્દીઓને હોસ્પિટલમાં એડમીટ થવાની કે પછી કોઇપણ પ્રકારના ઇન્જેકશન લેવાની જરૂર નથી. આવા દર્દીઓ માત્ર ઘરે આરામ કરીને સાજા થઇ શકે છે.

કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓએ શું સાવચેતી રાખવી જોઇએ તેના પર માર્ગદર્શન આપતા ડો.અતુલ પટેલે જણાવ્યું કે, કોરોના વાયરસ એ ચેપી વાયરસ કરતા ઇન્ફલેમેટરી ડીસીઝ (સોજો આવતી બિમારી) છે. આ વાયરસ જયારે શરીરના અંદરના ભાગ સુધી પહોચી જાય છે ત્યારે ફેફસા, કિડતી લીવર અને આંતરડા જેવા અન્ય અંગોમાં સોજો આવે છે.

ડેકઝામિથેસોન (સ્ટિરોઇડ) દવા અંગે તેમણે વધુમાં કહ્યુ કે આ દવા કોરોના દર્દીઓના જીવ બચાવનારી લાઇવ સેવીંગ ડ્રગ્ઝ છે પણ જયારે ડેકઝામિથેસોન પર આ વાયરસ કંટ્રોલમાં આવતો નથી ત્યારે અન્ય લાઇફ સેવીંગ ડ્રગ્સ ટોસિલિઝુમેબ આપવાથી દર્દીઓમાં રિકવરીમાં વધારો જોવા મળે છે.

ડેકઝામિથેસોન અને ટોસિલિઝુમેબ આ બંને દવા કોરોના દર્દીઓને ઝડપથી રિકવરી કરે છે એમ તેમણે વધુમાં ઉમેર્યુ હતુ. રેમડેસિવીર કયા સંજોગોમાં લેવી જોઇએ તે અંગે માહિતી આપતા ડો.અતુલ પટેલે જણાવ્યું કે, કોરોના વાયરસના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને ઓકિસજન આપવાની જરૂર પડે તેવા સંજોગોમાં દર્દીઓના શરૂઆતના પાંચ દિવસ રેમડેસિવીર આપવામાં આવે છે. રેમડેસિવીર ઇન્જેકશન આપવાની કોરોનાના દર્દીઓને ઝડપથી રિકવરી થાય છે પણ મૃત્યુ દર ઘટાડી શકાતો નથી. રેમડેસિવીર લાઇફ સેવિંગ ડ્રગ નથી તેમ તેમણે ઉમેર્યુ હતુ.

ડો.અતુલ પટેલે જણાવ્યું કે, કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ ઉપરાંત એવા દર્દીઓ જેમને ઓકસિજનની જરૂર નથી એવા દર્દીઓને રેમડેસિવીર ઇન્જેકશન લેવુ જોઇએ નહી. આ ઇન્જેકશનની કયારેક આડ અસર થાય છે તથા કિડની અને લિવરને પણ અસર કરી શકે છે.

ડો.તુષાર પટેલ : પલ્મોનોલોજિસ્ટ એન્ડ ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ, સ્ટર્લીંગ હોસ્પિટલ, અમદાવાદના ડો.તુષાર પટેલે જણાવેલ કે, કોરોનાના દર્દીઓ માટે હોમ આઇસોલેશન પણ અત્યંત ઉપયોગી અને કારગત ઉપાય છે અને એટલે જ ગુજરાતમાં આરોગ્ય ધન્વન્તરી રથ અને સંજીવની રથનો પ્રયોગ ખૂબ સફળ થયો છે. કોરોનાના દર્દીઓએ ઘરમાં પલ્સ ઓકસીમીટર રાખવુ જોઇએ અને ઓકસિજનનું લેવલ ચેક કરવુ જોઇએ. ઉપરાંત એક થર્મોમીટરની વ્યવસ્થા પણ રાખવી જોઇએ અને શરીરનું ટેમ્પરેચર સતત ઓબ્ઝર્વ કરવુ જોઇએ દર આઠ આઠ કલાકે પેરાસીટામોલ લેવી જોઇએ અને આ રીતે તાપમાનને કંટ્રોલમાં રાખવુ જોઇએ. ૯૫ થી ઓછુ ઓકસીજન લેવલ જાય તો જ ચિંતા કરવી. ઘરે રહેલ દર્દીઓને શ્વાસ ચડે, ઓકસીજન લેવલ ૯૦ થી૯૪ જેટલુ ઓછુ થાય. એક વાકય બોલતા પણ હાંફી જવાય. ખૂબ અશકિત લાગે અને પોતાનુ કામ ન કરી શકે એવી સ્થિતિ લાગે એવા દર્દીએ જ હોસ્પિટલ જવુ જોઇએ. કોરોનાની મુખ્ય સારવાર જ ઓકસીજન છે. ઓકસીજન પર્યાપ્ત માત્રામાં મળી રહે તો દર્દીને વાંધો આવતો નથી. આ ઉપરાંત હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીએ ઉલટા સુઇ જવુ ખૂબ જરૂરી છે. ઉલટા સુઇ જવાથી ઘણો ફાયદો થાય છે. દર્દીએ યોગા અને પ્રાણાયામ પણ નિયમીત કરવા જોઇએ.

કોરોના દર્દીએ ગભરાવવાની સહજ પણ જરૂર નથી હવે તો ઘણા દર્દીઓ વેન્ટીલેટર પરથી પણ પાછા આવી રહ્યા છે. બાળકો અને યુવાનોમાં આ વખતે કોરોનાના લક્ષણો વધારે દેખાઇ રહ્યા છે. અગાઉના સ્ટ્રેઇનમાં બાળકો એસિમ્પ્ટોમેટીક રહ્યા હતા. આ વખતના સ્ટ્રેઇનમાં બાળકો પણ સિમ્પ્ટોમેટીક દેખાય છે. બાળકોમાં ઝાડા, પેટમાં દુખાવો, તાવ, સામાન્ય ઠંડી જેવા જૂદા સિમ્ટમ્સ દેખાય રહ્યા છે.

ડો.મહર્ષિ દેસાઇ : ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ એપોલો હોસ્પિટલ કોરોના વાયરસમાં ખૂબ જ વેરીએશન છે.દરેક દર્દીની તાસીર અલગ હોય દરેક દવા પ્રત્યેનુ દરેક વ્યકિતનું રીએકશન અલગ હોય છે. વાયરસ ભલે એક નો એક હોય પણ દરેક દર્દીમાં કિલનીકલ પિકચર અલગ હોય શકે છે.

કોરોનાના ૮૦ ટકા દર્દીઓને કોઇ સારવારની આવશ્યકતા હોતી નથી. નિયમીત રીતે પેરાસીટામોલ લો, ખૂબ પાણી પીવો અને ઓકસીજન લેવલ જાળવી રાખો એટલુ જ જરૂરી છે. માત્ર ૨૦ ટકા લોકોને હોસ્પિટલાઇઝેશનની આવશ્યકતા હોય છે. તેમાંથી પણ માત્ર પાંચ ટકા લોકો જે કો-મોર્બિડ છે એમને જ આઇસીયુમાં જરૂર પડતી હોય છે.

કોરોના સાથેના એક વર્ષ પછી હવે આપણી પાસે આત્મવિશ્વાસ છે કે દર્દી વેન્ટીલેટર પર હોય તો પણ યોગ્ય સારવારથી આપણે બહાર લાવી શકીએ છીએ. ઘણા કોરોનાના દર્દીઓ માત્ર પેનીકથી હોસ્પિટલમાં જાય છે. દરેક દર્દીઓને હોસ્પિટલમાં જવાની જરૂર નથી. મોટાભાગના દર્દીઓ હોસ્પિટલમાં ગયા વિના જ હોમ આઇસોલેશનમાં સારવારથી સાજા થઇ શકે છે.

(2:51 pm IST)