Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

પઠાણકોટમાં બોર્ડર પર દેખાયું પાકિસ્તાની ડ્રોન :BSF જવાનોએ ડ્રોન પર ફાયરિંગ કર્યું

ઘટના બાદ BSF અને પંજાબ પોલીસે બોર્ડર પાસેના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું

પંજાબના પઠાણકોટમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે પાકિસ્તાની ડ્રોનની હિલચાલ જોવા મળી રહી છે. આ ડ્રોન પાકિસ્તાનથી ભારતીય સરહદમાં ઘુસ્યું હતું. આ ઘટના પઠાણકોટના બમિયાલ સેક્ટરમાં બોર્ડર પાસે સવારે 4:10 વાગ્યે બની હતી. પાકિસ્તાની ડ્રોનને બીએસએફ દ્વારા પ્રથમ વખત પહારીપુર બોર્ડર ચોકી પાસે જોવામાં આવ્યું હતું. જે બાદ BSF જવાનોએ ડ્રોન પર ફાયરિંગ કર્યું હતું. જે બાદ ડ્રોન પાકિસ્તાન પરત ફર્યું હતું. ઘટના બાદ BSF અને પંજાબ પોલીસે બોર્ડર પાસેના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. પઠાણકોટમાં અગાઉ પણ પાકિસ્તાની ડ્રોન જોવા મળી ચૂક્યા છે.

એક દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે જમ્મુ-કાશ્મીરના અરનિયા વિસ્તારમાં BSFએ પાકિસ્તાન તરફથી આવતા ડ્રોન પર ફાયરિંગ કર્યું છે. આ ઘટના શનિવારે સવારે બની હતી. બીએસએફએ ડ્રોનને પાછું હટાવવાની ફરજ પાડી હતી. આ મામલામાં BSF તરફથી કહેવામાં આવ્યું છે કે, BSF જવાનોએ સવારે લગભગ 4:45 વાગ્યે આરએસ પુરાના અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે ડ્રોન જોયું. જેના પર 7 થી 8 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું અને ડ્રોન પાકિસ્તાન તરફ પાછું ગયું.

ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ (ડીઆઈજી) BSF જમ્મુ, સ્ટેટ પોલીસ સર્વિસ ઑફિસર (એસપીએસ) સંધુએ કહ્યું, આજે સવારે જમ્મુના અરનિયા વિસ્તારમાં BSFએ પાકિસ્તાની ડ્રોન પર ફાયરિંગ કર્યું હતું. જે પછી તે ઉડતી વસ્તુ પાછી ફરી ગઈ. ઘટના બાદ BSF અને જમ્મુ-કાશ્મીર પોલીસે અરનિયા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

 

આ પહેલા 7 મેના રોજ જમ્મુ-કાશ્મીરમાં આ જ જગ્યાએ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. આ મામલાની માહિતી આપતાં BSFના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ડ્રોનની હિલચાલ જોયા બાદ સતર્ક સૈનિકોએ સાત રાઉન્ડ ફાયરિંગ કર્યું. જો કે, ડ્રોન પાકિસ્તાન પરત ફર્યું. આ પછી, બીએસએફએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને તમામ બાબતોની તપાસ કરી. આ જ વિસ્તારમાં ડ્રોન દ્વારા હથિયારો અને દારૂગોળો છોડવાનો આ બીજો પ્રયાસ હતો. અગાઉ ગત સપ્તાહે પણ પાકિસ્તાની રેન્જર્સે આવો જ પ્રયાસ કર્યો હતો.

જમ્મુ ક્ષેત્રમાં શાંતિ ડહોળવા માટે પાકિસ્તાન દ્વારા સતત આવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા સાંબા જિલ્લામાં ટનલ જોવા મળી હતી. એવું માનવામાં આવે છે કે આ એ જ ટનલ છે, જેનો ઉપયોગ જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી હુમલાખોરોએ કર્યો હતો, જેઓ સુંજવાન વિસ્તારમાં પોલીસ સાથેની અથડામણમાં માર્યા ગયા હતા. તેઓને 24 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં તોડફોડ કરવા માટે પલ્લી ગામમાં સુરક્ષા વ્યવસ્થાને નિશાન બનાવવાના મિશન પર મોકલવામાં આવ્યા હતા

(2:15 pm IST)