Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ગળામાં મોમોસ ફસાઈ જતાં દિલ્હીના શખ્સનું મોત થયું

મોમોસ ખાવામાં બેદરકારી ઘાતક બની શકે છે : મોમોસ ચાવીને ખાવામાં આવે તે જરૂરી છે, એને ગળી જવાનો પ્રયાસ ન કરો, નહીંતો એ જીવલેણ બની શકે છે

નવી દિલ્હી, તા.૧૫ : મોમોસ ખાવામાં બેદરકારી જીવલેણ બની શકે છે. એઆઈઆઈએમએસમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે, એક વ્યક્તિના ગળામાં મોમોસ ફસાઈ ગયો હતો અને એ કારણથી એનો જીવ ગયો. એઆઈઆઈએમએસના ફોરેન્સિક વિભાગના એચઓડી ડૉક્ટર સુધીર ગુપ્તાએ કહ્યું કે, લોકો માટે એ જ સંદેશ છે કે મોમોસ ચાવીને ખાવામાં આવે. એને ગળી જવાનો પ્રયાસ ન કરો, નહીંતો એ જીવલેણ બની શકે છે. મોમોસ મેંદામાંથી બને છે અને ગળી જવાની સ્થિતિમાં તે શ્વાસનળીમાં ફસાઈ શકે છે. જો કે, આ ખૂબ જ રેર કેસ છે.

એઆઈઆઈએમએસના ફોરેન્સિક વિભાગની ટીમે આ રિપોર્ટ મેડિકલ જર્નલમાં પણ મોકલ્યો છે, જે તાજેતરમાં પ્રકાશિત થયો છે. રિપોર્ટ મુજબ, આ કેસ સાઉથ દિલ્હીનો છે. અહી એક વ્યક્તિ બેભાન અવસ્થામાં જોવા મળ્યો હતો. જેથી સારવાર માટે તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. એ પછી આ વ્યક્તિનું પોસ્ટમોર્ટમ એઆઈઆઈએમએસના ફોરેન્સિક વિભાગના ડૉક્ટર્સે કર્યો. રિપોર્ટમાં સામે આવ્યું કે, જ્યારે ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ દરમિયાન ડેડબોડીનું સીટી સ્કેન કર્યું તો જાણવા મળ્યું કે શ્વાસનળીની પાસે મોમોસ ફસાયેલો હતો. જેના કારણે વ્યક્તિ શ્વાસ લઈ શકી નહીં અને તેનું મોત થઈ ગયું. મોમોસની સાઈઝ પાંચ બાય ત્રણ સેન્ટિમીટર હતી.

ડૉક્ટર સુધીર ગુપ્તાએ કહ્યું કે, સાઉથ એશિયામાં પહેલીવાર એઆઈઆઈએમએસમાં અમે વર્ચ્યુઅલ એટોપ્સી શરુ કરી છે. જેમાં અમે સિટી સ્કેન કર્યું હતું. જેથી આ વ્યક્તિના મોત પાછળનું કારણ જાણવા મળ્યું. સામાન્ય એટોપ્સીમાં આ કારણ જાણી ન શકાયું હોત. તેઓએ કહ્યું કે, અત્યારસુધીમાં અમે એક હજાર વર્ચ્યુઅલ એટોપ્સી કરી ચૂક્યા છીએ. સામાન્ય લોકો માટે એ વાત જાણવી જરુરી છે કે મોમોસ મેંદામાંથી બને છે. એને પાણીમાં ઉકાળીને તૈયાર કરવામાં આવે છે.

મોમોસ ચીકણાં હોય છે. જેથી ખાતી વખતે ખાસ ધ્યાન રાખો. એને ચાવીને ખાઓ, ગળી જવાનો જરાય પ્રયાસ ન કરો. જો એને ગળી જવામાં આવે તો તે ગળામાં ફસાઈ શકે છે.

ડૉક્ટર સુધીરે કહ્યું કે, જે લોકો દારૂનું સેવન કરતા હોય એવા લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરુર છે. કારણ કે, મોટાભાગે તેઓ નશામાં હોય છે. જેથી ખાતી વખતે તેઓને ધ્યાન રહેતું નથી. જેથી આવા લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરુર છે.

(8:27 pm IST)