Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ગાંધીજીનો વધુ એક વારસો થયો જાહેર

સૌથી નાના પુત્ર દેવદાસ ગાંધી તેમજ તેમના લગ્ન સમયે લખેલા પત્રો સહિત ૫૫૦ પત્રો સાબરમતી આશ્રમે મુકાશે

નવી દિલ્હી, તા.૧૬: રાષ્ટ્રપિતા દ્વારા લખેલા હજારો પત્રો, લોકોએ અત્યાર સુધી જોયું અને વાંચ્યું છે, પરંતુ હવે લોકો પિતા-પુત્ર (મહાત્મા ગાંધી-દેવદાસ) વચ્ચેનો પત્રવ્યવહાર જોઈ અને વાંચી શકશે. ગાંધીજી તેમના સૌથી નાના દીકરા દેવદાસ ગાંધીને માટે વર્ષ ૧૯૨૦ થી ૧૯૪૮ દરમિયાન લખેલા ૧૯૦ અમૂલ્ય પત્રો સહિત ૫૫૦ ભવ્ય પત્રોનો ખજાનો તેમના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ જાહેર કર્યા છે. આ પત્રો ગોપાલકૃષ્ણ ગાંધીએ અમદાવાદના સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટને સોંપ્યા છે, જયાં તેઓ સાચવશે જે લોકો જોશે. ટ્રસ્ટના પ્રતિનિધિ મંડળએ ગોપાલકૃષ્ણની ચેન્નઇના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી આ પત્રોમાં. ગાંધીજીએ આ પત્રોમાં હિન્દુ મુસલમાન એકતા માટે ૨૧ દિવસના ઉપવાસ કર્યા હતા તેનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપવાસ સંદર્ભે તેમણે દેવદાસને પત્રો લખ્યા હતા. ગાંધીજી તે સમયે મહાદેવ દેસાઇ અને સરદાર પટેલ સાથે યેરવડા જેલમાં હતા, ત્યારે દેવદાસ ગોરખપુર જેલમાં હતા તે સમયે બંને વચ્ચે પત્ર વ્યવહાર થયો હતો.

આ પત્રોમાં દેવદાસ ગાંધીના લગ્ન સમયના પત્રો પણ સામેલ

યરવડા જેલમાં વપરાઇ ગયેલા કાગળમાંથી સરદાર પટેલ પરબીડીયા બનાવતા હતા. જેમાં ગાંધીજી પત્ર મોકલતા હતા. તે પરબીડીયા પણ આશ્રમને આપવામાં આવ્યા છે. કસ્તુરબા ગાંધીએ તેમના હાથે લખેલા પત્રો આપ્યા હતા. સરદાર પટેલે દેવદાસને ગાંધીના લગ્ન પ્રસંગે લખેલો પત્ર પણ તેમાં સામેલ છે. બીજી ગોળમેજી પરીષદમા ગાંધીજી ૧૯૩૧માં બ્રિટન ગયા ત્યારે તેમની સાથે મહાદેવ દેસાઇ અને દેવદાસ પણ હતા, તે સમયે ગાંધીજીની મુલાકાતોની જે ડાયરીમાં નોંધ થતી હતી તે ડાયરી પણ તેઓએ આશ્રમને ભેટ આપી છે. મહાદેવ દેસાઇ અને ચંદ્રશંકર શુકલએ સાબરમતી આશ્રમની ગતિવિધિ વિશે દેવદાસને કેટલાક પત્રો લખ્યા હતા, જે પત્રો પણ તેઓએ આશ્રમને સોંપ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગોપાલકૃષ્ણ ગાંધીનો જન્મ ૨૨ એપ્રિલ ૧૯૪૫ના રોજ થયો હતો. તેઓ દેવદાસ ગાંધી અને લક્ષ્મી ગાંધીના પુત્ર છે. દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજથી અંગ્રેજી સાહિત્યમાં તેઓએ એમએ કરીને ૧૯૯૨ સુધી આઈએએસ તરીકે દેશમાં પોતાની સેવા આપી છે. બાદમાં તેઓએ સ્વૈચ્છિક રિટાયર્ડમેન્ટ લીધું હતું.

(2:51 pm IST)