Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

મધ્યપ્રદેશના સીધીમાં બસ નહેરમાં ખાબકતાં ૪૨ વિદ્યાર્થીઓનાં મોત

જામના કારણે બસને અન્ય રૂટ પર ડાઈવર્ટ કરવામાં આવી હતી : બસમાં અંદાજે ૫૦થી વધુ પ્રવાસીમાં મોટાભાગના નર્સિંગની પરીક્ષા આપવા જતા છાત્રો હતા, ૭ને બચાવી લેવાયા : મૃતકના પરિવારોને વળતર અપાશે

ભોપાલ, તા. ૧૬ : મધ્યપ્રદેશના સીધીમાં મોટી દુર્ઘટના બની છે. અકસ્માતમાં ૩૮ લોકોના શબ મળ્યા છે. મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા. શિવરાજસિંહ ચૌહાણે અકસ્માતની ઘટના બાદ પોતાના તમામ કાર્યક્રમ રદ કરી દીધા છે. મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રુપિયા વળતર આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. આ બસમાં મોટાભાગના વિદ્યાર્થીઓ સવાર હતા અને તેઓ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા. દુર્ઘટનાની તપાસના આદેશ અપાયા છે.

બસમાં સવાર મોટાભાગના મુસાફરો નર્સિંગના વિદ્યાર્થી હતા. તમામ લોકો સીધીથી સતના પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા. પરંતુ બસ અકસ્માતમાં મોટાભાગના વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો છે. રીવા ઝોનના અધિકારીઓ અને પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે. સ્થાનિક વહીવટી તંત્ર પાસે એવી કોઈ માહિતી નથી કે બસમાં કેટલા લોકો સવાર હતા. સ્થાનિકોનો એવો પણ આક્ષેપ છે કે રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવામાં મોડું થયું છે.

પરિવહન મંત્રી ગોવિંદે કહ્યું છે કે, બસની પરમિટ રદ્દ કરી દેવાઈ હતી. બસમાં સવાર મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા. બસ ખોટા રૂટ પરથી જઈ રહી હતી. ટ્રાન્સપોર્ટ કમિશનરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. દોષિતો સામે સખત કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

મુખ્યમંત્રી શિવારાજસિંહ ચૌહાણે બે મંત્રીઓને સીધી માટે રવાના કર્યા છે. જેમાં કેબિનેટ મંત્રી રામ સિલાવટ અને રામખેલાવન પટેલનો સમાવેશ થાય છે. બન્ને મંત્રી ત્યાં પહોંચીને મુખ્યમંત્રીને રિપોર્ટ કરશે. આ સાથે ઘટના અંગે વિસ્તૃત માહિતી મેળવવા માટે વાહનવ્યવહાર મંત્રી ગોવિંદસિંહ રાજપૂતને જણાવાયું છે.

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે બસમાં ૫૫થી ૬૦ લોકો હતા. અત્યાર સુધીમાં ૭ જેટલા લોકોને જીવતા બહાર કાઢવામાં સફળતા મળી છે. મળતી વિગતો પ્રમાણે ૩૮ લોકોના મૃતદેહ બહાર કઢાયા છે. કહેવાય છે કે જામના કારણે બસને અન્ય રૂટ પર ડાઈવર્ટ કરવામાં આવી હતી. પુલ પાસે ખાડો હતો તે પછી બસ નહેરમાં પડી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારને ૨-૨ લાખ રૂપિયા પ્રધાનમંત્રી નેશનલ રીલિફ ફંડમાંથી આપવાની જાહેરાત કરી છે.

વધુ વિગતો અનુસાર આજે સવારે સીધીથી સતના જઇ રહેલી બસમાં ૫૪ મુસાફરો સવાર હતાં. જ્યારે અચાનક સંતુલન બગડતાં બસ નહેરમાં ખાબકી હતી. ઘટનાને પગલે રાહત કાર્ય ચાલુ છે. જ્યારે ગુમ યાત્રીઓની શોધખોળ ચાલુ છે. ઘટનાને પગલે મુખ્યમંત્રીએ નહેરનો પાણી રોકવાના આદેશ આપ્યા હતા. સાથે જ શિવરાજ સિંહે ચૌહાણે સીધીના કલેક્ટરને રેસ્ક્યૂ ઓપરેશન ઝડપ કરવા નિર્દેશ કર્યા છે.

સીએમના અનુસાર, બાળસાગર નહેર ઊંડી છે. અમે તત્કાલિક ડેમમાંથી પાણી બંધ કરાવ્યું. રાહત અને બચાવ ટીમને રવાના કરી અને કલેક્ટર, એસપી, એસડીઆરએફની ટીમ ટીમ ત્યાં છે. જ્યારે બસ કાઢવાના પ્રયાસ કરાઇ રહ્યાં છે. મળતી માહિતી પ્રમાણે, બસ નક્કી સમયે સવારે પાંચ વાગ્યે નીકળવાની હતી પરંતુ સવારે ત્રણ વાગ્યે જ રવાના થઇ ગઇ. જોકે, આનો માર્ગ પણ બીજો છે. પરંતુ આગળ ટ્રાફિક હોવાને લીધે ડ્રાઇવરે અચાનક રસ્તો બદલ્યો હતો અને સાત કિમી નવા રૂટ પર બસ લઇ ગયો હતો. આ દરમિયાન દુર્ઘટના બની હતી.

(8:05 pm IST)