Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

૨૭ વર્ષ બાદ રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરનો સભ્ય નથી

જમ્મુ-કાશ્મીરના ચાર સભ્યોના કાર્યકાળ પૂરો થયો : અગાઉ ત્રણ વખત આવી સ્થિતિ આવી છે, રાજ્યસભામાં આ પ્રકારની સ્થિતિ અન્ય રાજ્યો સાથે પણ થઈ ચુકી છે

નવી દિલ્હી, તા. ૧૬ : સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં ૨૭ વર્ષ બાદ ફરીથી કોઈ પણ સભ્યો જમ્મુ કાશ્મીરમાંથી નથી. આવું પહેલીવાર નથી થયું અગાઉ ત્રણ વખત આવી સ્થિતિ આવી છે. હાલમાં જ જમ્મુ કાશ્મીરના ચાર સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ આ સ્થિતિ સર્જાઈ છે. રાજ્યસભામાં આ પ્રકારની સ્થિતિ અન્ય રાજ્યો સાથે પણ થઈ ચુકી છે.

રાજ્યસભામાં જે ચાર સભ્યોનો કાર્યકાળ હાલમાં પૂર્ણ થયો છે તેમાં પીડીપી પાર્ટીના મીર મહમ્મદ ફયાઝ અને નિયાઝ અહમદ, કોંગ્રેસના ગુલામ નબી આઝાદ અને ભાજપના શમશેર સિંહ સામેલ છે. જોકે આ પહેલા વર્ષ ૧૯૯૪ અને ૧૯૯૬માં પણ રાજ્યસભામાં જમ્મુ કાશ્મીરના કોઈ પ્રતિનિધિ નહોતા.

ઉલ્લેખનિય છે કે, ૨૧ નવેમ્બર ૨૦૧૮ના જમ્મુ કાશ્મીરની એસેમ્બલીને ગવર્નરે ભંગ કરી દીધી હતી. તે બાદ ત્યાં ૬ મહિનાની અંદર વિધાનસભાની ચૂંટણી યોજવાની હતી પરંતુ કેટલાંક કારણોના લીધે એવું થઈ શક્યું નહી. તેનું એક મોટું કારણ વિધાનસભાના ક્ષેત્રોમાં થયેલા ફેરફાર છે. ડિલિમિટેશન થયા બાદ ત્યાં ચૂંટણી યોજવી શક્ય છે.

જ્યારે લદ્દાખ એક નવો કેન્દ્રશાસિત પ્રદેશ છે તો ત્યાં પર પણ નવી વિધાનસભાનું ગઠન કરવાનું છે. હાલ બંન્ને જ જગ્યાઓ પર એસેમ્બલીની ગેરહાજરીના કારણ ત્યાં રાજ્યસભાના સભ્યો ચૂંટવા માટે પુરતો આધાર નથી. તેથી કેટલાંક સમય માટે દેશની સંસદનું ઉપલાગૃહ આ બંન્ને રાજ્યોના પ્રતિનિધિઓથી વંચિત રહેશે.

(8:08 pm IST)