Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

દમણના કૈડૈયા ઔદ્યોગિક વિસ્‍તારમાં દારૂના નશામાં પત્‍નીની હત્‍યા કરત રણજીત યાદવ

પલીસની શોધખોળ બાદ ત્રણ દિવસ પછી દલવાડા વિસ્‍તારમાં કોલેજની ઝાડીમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં રણજીત યાદવનો મૃતદેહ મળ્‍યોઃ ચાર સંતાનએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી

દમણઃ દમણના કૈડૈયા ઔદ્યોગિક વિસ્‍તારમાં દારૂના નશામાં પતિએ પત્‍નીને મોતને ઘાટ ઉતારી છે. ચાર સંતાનો પૈકી મોટી દીકરીએ પલીસને જાણ કરતા પોલીસ દ્વારા શોધખોળ કરાતા ત્રણ દિવસ બાદ દલવાડા ડેન્‍ટલ કોલેજની પાછળ ઝાડીઓમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં રણજીત યાદવનો મૃતદેહ મળ્‍યો હતો. ચાર સંતાનોએ છત્રછાયા ગુમાવી છે.

સંઘપ્રદેશ દમણના કૈડૈયાના ઔદ્યોગિક વિસ્તારમાં એક પતિએ પત્નીની હત્યા કરતાં સનસનાટી મચી જવા પામી છે. દારૂના નશામાં પત્ની સાથે મારઝૂડ કરતો પતિ આ વખતે એટલો હેવાન બની ગયો કે પોતાના 4 બાળકોની માતાની કરપીણ હત્યા કરી નાંખી. પત્નીની હત્યા કરી ફરાર થયેલ પતિને ઝડપવા દમણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે ત્રણ દિવસ બાદ દમણના દલવાડા વિસ્તારમાં આવેલ ડેન્ટલ કોલેજની પાછળ ઝાડીઓમાંથી પતિનો મૃતદેહ મળી આવતા દમણ પોલીસે તપાસ હાથ ધરી છે.

સંઘપ્રદેશ દમણના કડૈયા વિસ્તારના ઔદ્યોગિક વસાહતમાં સનસની  વ્યાપી ગઈ હતી. રોજગારી માટે દમણ રહેતો યાદવ પરિવાર નોધારો બન્યો છે. રણજીત યાદવ અને સુનીતા યાદવ અને તેના ચાર સંતાનો દમણમાં રહેતા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી રણજીત યાદવને દારૂની લત લાગી હતી. જેના કારણે પરિવારમાં વારંવાર ઝઘડા થતા હતા. રણજીત યાદવ રોજ દારૂ પીને નશાની હાલતમાં પત્ની સુનીતા સાથે મારઝૂડ કરતો હતો. જેના કારણે અનેકવાર બબાલ  થતી હતી. પરંતુ આ વખતે રણજીત યાદવ નશાની હાલતમાં મોડી સાંજે ઘરે આવ્યો હતો અને  પત્ની સાથે ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ ઝઘડો શાંત થઇ ગયો હતો અને રણજીત યાદવ અને સુનીતા યાદવ બહાર  હવા ખાવા ગયા હતા. જો કે રાતના 12:00 વાગ્યા છતાં પણ તેઓ ઘરે પાછા ન આવતા દીકરી જાનકી અને તેનો ભાઈ તેના માતા પિતાને શોધવા ગયા હતા. ત્યારે ઘરથી થોડે દુર ઝાડીઓમાં તેની માતા લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. દીકરીએ તાત્કાલિક દમણ પોલીસને જાણ કરી હતી. દમણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. દમણ પોલીસે ઘાયલ સુનિતા યાદવને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી હતી. જો કે ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

પોતાના વતનથી રોજગારી મેળવવા આવેલા યાદવ પરિવાર પર આસમાન તૂટી પડ્યું હતું. દીકરી જાનકી અને તેના ત્રણ ભાઈ બહેનો નોંધારા થઈ ગયા છે. એક તરફ માતાનું મૃત્યુ અને બીજી તરફ દારૂડિયો પિતા માતાની હત્યા કરીને ફરાર થઈ જતા સંતાનો પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે. દમણ પોલીસે પત્નીની હત્યા કરી ફરાર થઈ જનાર આરોપી પતિ રણજીત યાદવની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે ત્રણ દિવસ બાદ દમણના દલવાડા વિસ્તારમાં આવેલ ડેન્ટલ કોલેજની પાછળ ઝાડીઓમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં રણજીત યાદવનો મૃતદેહ મળી આવ્યો હતો. દમણ પોલીસે મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં ગળે ફાંસો ખાવાના કારણે રણજીતનું મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું છે.

છેલ્લા ઘણા સમયથી નશો કરવાના કારણે પરિવારની આર્થિક હાલત કંગાળ બની હતી અને હવે રણજિતે નશાની હાલતમાં જ પત્નીની હત્યા કરી પોતે પણ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી દેતા યાદવ પરિવારના ચાર સંતાનો નોધારા બન્યા છે.

(5:49 pm IST)