Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

શોધમાં કરાયો દાવો

કોરોનાના કારણે ફેફસામાં થતા સંક્રમણથી બચાવે છે શુગરની દવા

કોરોના વાયરસથી બચવા માટે એક તરફ રસીકરણ અભિયાન ચાલુ છે, તો બીજી તરફ સંક્રમણમાં કઈ દવા વધુ અસરકારક નીવડે તેની તપાસ પણ થઈ રહી છે

નવી દિલ્હી,તા.૧૬: કોરોના વાયરસથી બચવા માટે એક તરફ રસીકરણ અભિયાન ચાલુ છે, તો બીજી તરફ સંક્રમણમાં કઈ દવા વધુ અસરકારક નીવડે તેની તપાસ પણ થઈ રહી છે. આવી સ્થિતિમાં કોરોનાના કારણે ફેફસાંમાં થતાં સંક્રમણને રોકવા માટે સુગરના દર્દીઓને આપવામાં આવતી મેટફોર્મિન નામની દવા મદદરૂપ થતી હોવાનું સામે આવી રહ્યું છે. આ દવાના સતત સેવનના કારણે ફેફસાંમાં સંક્રમણ ઓછું થઈ શકે છે. તાજેતરમાં થયેલી એક શોધ બાદ આ દાવો કરવામાં આવ્યો છે. આ મામલે ડોકટરનું કહેવું છે કે, વર્તમાન સમયે કોરોનામાં ઓકિસજન અને સ્ટીરોઈડ મુખ્ય ઉપચાર છે.

શરીરમાં સુગરનું પ્રમાણ વધી જાય ત્યારે દર્દીઓને મેટફોર્મિન નામની દવા આપવામાં આવે છે. આ દવા શુગરના સામાન્ય દર્દીઓને અપાય છે. જેનાથી શરીરમાં શુગરનું પ્રમાણ ઓછું થઈ જાય છે. આ ટાઈપ ૨ ડાયાબિટીસના દર્દીઓ માટેની શરૂઆતની દવા છે. જેના સેવન બાદ ખાનપાન અને લાઇફ સ્ટાઇલમાં પરિવર્તન કરી દર્દીઓને રાહત મળી શકે છે. આ દવાને લઈને તાજેતરમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સેન ડિયાગો સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધકોએ શોધ કરી હતી. આ બાબતે જર્નલ ઓફ ઇમ્યુનિટીમાં ઓનલાઇન રિપોર્ટ પ્રકાશિત થયો હતો. કોરોના સંક્રમિત ઉંદર પર આ દવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ ઉંદરના પલ્મોનરી કે ફેફસામાં સોજો હતો. મેટફોર્મિંન દવાના કારણે ફેફસામાં સંક્રમણ ઓછું કરવામાં મદદ મળી હતી.

સંશોધકોએ એકયુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ (એઆરડીએસ) પર તેનો ઉપયોગ કર્યો હતો. આ પરિસ્થિતિઓમાં ફેફસાંમાં પ્રવાહીનું લિકેજ થાય છે. જેનાથી શ્વાસ લેવાનું મુશ્કેલ બને છે. પરિણામે અવયવોમાં ઓકિસજનનો પુરવઠો મર્યાદિત થઈ છે. જેના કારણે કોરોના સંક્રમિત દર્દીને સમસ્યા વધે છે. સંશોધન દરમિયાન આવા લક્ષણો ધરાવતા ઉંદરોને મેટફોર્મિન આપવામાં આવી હતી. જેના પરિણામે એકયુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ અને તેના લક્ષણોમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ફોર્ટીસ હોસ્પિટલ દિલ્હીના સિનિયર કન્સલ્ટન્ટ ડોકટર વિદ્યુત પ્રતાપસિંહનું કહેવું છે કે, અત્યારે કોરોના માટે ઓકિસજન અને સ્ટીરોઇડ ઉપચાર છે. આ ઉપરાંત અન્ય ઘણી દવાઓનો ઉપયોગ પણ કરવામાં આવે છે. આ દવાઓ બીજી બીમારીમાં ઉપયોગમાં લેવાતી હોય છે. જે કોરોનાના દર્દીઓને પણ રાહત આપે છે. દવા આપ્યા બાદ લોકોમાં અસર અને આડઅસર જોવા મળે છે. અલબત્ત્। શોધ દરમિયાન તો દવા જાનવરો પર ઉપયોગમાં લેવાય છે, માણસ ઉપર શું અસર થશે? તેનો ખ્યાલ હોતો નથી. મેટફોર્મિન સુગરના દર્દીઓ માટે કારગર દવા છે.

બીજી તરફ સ્વસ્તિક મેડિકલ સેન્ટર ગાઝિયાબાદના સિનિયર કન્સલ્ટન્ટ ડોકટર રાહુલ ગુપ્તા પણ માને છે કે, શોધ જાનવરો ઉપર કરવામાં આવી છે, માણસો ઉપર કેટલી કારગત નિવડશે તેનો ખ્યાલ નથી. જેથી માત્ર એક શોધના આધાર પર દવાનો ઉપયોગ કરી શકાય નહીં.

(10:18 am IST)