Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

સતત વધતા પેટ્રોલ-ડિઝલના ભાવ સામે ઇંધણની બચત કરવી હોય તો ઍક જ ગતિઍ વાહન ચલાવવુ જોઇઍઃ સતત ગિયર બદલવાના કારણે ઍન્જીન ઓઇલ ઉપર આવે છે પ્રેશર

અમદાવાદઃ આજકાલ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે લોકોમાં પોતાની બાઈક અથવા સ્કુટીમાં માઈલેજને લઈ સમસ્યાઓ રહેતી હોય છે. કેટલાક લોકો અવારનવાર સર્વિસ સેન્ટર પહોંચી બાઈકને સર્વિસ કરાવે છે. જો કે તેમ છતાં સમસ્યા દૂર થતી નથી. આ સમસ્યાનું નિરાકરણ અમે તમને જણાવીશું. નીચે આપેલી ટીપ્સથી તમારા બાઈક/ સ્કુટરની માઈલેજ વધી શકે છે.  

સ્પીડ પર રાખો કાબૂ

 જ્યારે પણ તમે તમારી બાઈકમાં સવાર થઈ રહ્યાં છો, ત્યારે સ્પીડ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. બાઈકને બને ત્યાં સુધી એક જ ગતિએ ચલાવવી જોઈએ એટલે કે કોન્સ્ટેન્ટ સ્પીડ હોવી જરૂરી છે. શહેરી વિસ્તારમાં તમે જોયું હશે કે ખાલી રસ્તાઓ પર લોકો સ્પીડમાં બાઈક ચલાવશે જ્યારે ટ્રાફિકમાં તેમને સ્પીડ ધીમી કરવી પડશે. સતત ગીયર બદલવાને કારણે એન્જીન ઓઈલ પર પ્રેશર આવે છે, જેને કારણે એન્જીન ઓઈલનો વધુ વપરાશ થાય છે. આજ કારણે લોકોને હાઈવે પર વધુ માઈલેજ મળે છે.

ઈકોનોમી મોડ પર રાખો ધ્યાન

તમામ 2-વ્હીલરમાં સ્પીડોમીટરમાં ઈકોનોમી મોડની સુવિધા આપવામાં આવે છે. બાઈકની માઈલેજ વધુ સારી કરવા ઈકોનોમી મોડનો ઉપયોગ કરવામાં આવે છે. તમામ બાઈક/સ્કુટરમાં ઈકોનોમી મોડનું માર્ક આપવામાં આવ્યું હોય છે. આ મોડની અંદર બાઈક ચલાવવાથી માઈલેજ વધે છે.

ઓવરલોડનું રાખો ધ્યાન

તમે 2-વ્હીલર પર જેટલો વજન આપશો, એન્જીન પર તેટલું જ પ્રેશર વધશે. એન્જીન પર પ્રેશર વધતા પેટ્રોલની ખપત વધુ થશે. એટલે બને ત્યાં સુધી 2-વ્હીલર પર મહત્તમ 2 વ્યક્તિઓએ જ મુસાફરી કરવી જોઈએ. બાઈક પર ત્રિપલ સવારી તમામ રીકે નુકસાનકારક છે. આ ટ્રાફિકના નિયમો વિરુદ્ધ છે.

ટાયર્સની હવા નિયમિત તપાસવી

ઘણીવાર ટાયરોમાં હવા ઓછી હોવાથી બાઈકની માઈલેજ ઘટી જાય છે. તેમા પણ ખાસ કરીને ગરમીની સિઝનમાં આ સમસ્યા લોકો વધુ અનુભવતા હોય છે. આ માટે સપ્તાહમાં એકવાર ટાયરોની હવા ચેક કરવી જરૂરી છે. આ સિવાય બાઈકમાં નાઈટ્રોજન ગેસની ફિલિંગ કરાવવી જોઈએ. કારણ કે નાઈટ્રોજન ગેસ ટાયરને ગરમ થવા દેતા નથી. બાઈકને તડકાથી દૂર રાખવી જોઈએ.

એર ફિલ્ટર નિયમિત સાફ કરવું

બાઈકના એન્જીનની હવા એર ફિલ્ટરના માધ્યમથી જાય છે. એર ફિલ્ટર ખરાબ થતાં એન્જીનને પર્યાપ્ત હવા નથી મળતી. જેને કારણે બાઈકનું પર્ફોર્મેન્સ તેમજ માઈલેજ ઘટી જાય છે. એ માટે જરૂરી છે કે સમય સમયે બાઈકનું એર ફિલ્ટર સાફ કરતું રહેવું જોઈએ. તો કેટલીક વાર બાઈકનો સ્પાર્ક પ્લગ ખરાબ થઈ જાય છે, જેને કારણે બાઈકના સાઈલેન્સરમાંથી ધૂમાડો નીકળે છે. આ કારણે બાઈકની માઈલેજ પર અસર પડે છે.

લો RPM પર રાખો ધ્યાન

તમારી સુવિધા અને તમારા બજેટ માટે તમારે બાઈકની માઈલેજ પર વધુ ધ્યાન આપવામાં આવે છે. આ માટે બાઈકના RPMને હંમેશા મિનિમમ રાખવું જોઈએ. સાથે જ સ્પીડ અને સમય પર ગીયર પર ગીયર શિફ્ટ કરવા પર બાઈકની માઈલેજ વધશે. જો બાઈકની રેસ વધુ રહેશે તો પેટ્રોલની ખપત પણ વધુ થશે. 

સમયસર બાઈકની સર્વિસ

ઘણા લોકોના ધંધા-રોજગાર બાઈક પર નિર્ભર હોય છે. ત્યારે આવા લોકોએ પોતાની બાઈકની યોગ્ય સમયે સર્વિસ કરાવી લેવી જોઈએ. બાઈકની સર્વિસ કંપનીના સર્વિસ સ્ટેશનમાં કરાવવી હિતાવહ છે. કારણ કે અહીં બાઈકના જેન્યુન સ્પેર પાર્ટ્સ આસાનીથી મળી રહે છે.

(4:37 pm IST)