Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

વસુંધરા રાજે પક્ષની બેઠકમાં સંબોધન વગર નિકળી ગયા

કોટામાં ભાજપની કાર્યસમિતિની બેઠકમાં વિવાદ : રાજેને બેઠકમાં સંબોધનનો સમય હતો, ત્રીજા સત્રમાં ૨૫ મિનિટનું તેમનું સંબોધન લિસ્ટમાં નક્કી કરાયું હતું

કોટા, તા.૧૬ : રાજસ્થાનના કોટા ખાતે ચાલી રહેલી બે દિવસીય બીજેપીની કાર્યસમિતિની બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પહોંચ્યા તો હતા પરંતુ સંબોધન કર્યા વગર જ ત્યાંથી નીકળી ગયા હતા. એવું જાણવા મળ્યું છે કે, આ બેઠકમાં તેમનું સંબોધન પ્રસ્તાવિત હતું. રાજે બુધવારે સવારે ૧૧:૦૦ વાગ્યે બેઠકમાં પહોંચ્યા હતા. લગભગ ૩ કલાકના કાર્યક્રમમાં હાજર રહ્યા બાદ સંબોધન કર્યા વગર જ ત્યાંથી નીકળી ગયા હતા. અહીં તેઓ તમામ પદાધિકારીઓ સાથે સ્ટેજ પર રહ્યા પરંતુ આખી બેઠક સુધી નહોતા રોકાયા.

રાજેને બેઠકમાં સંબોધનનો સમય આપવામાં આવ્યો હતો. કાર્યસમિતિએ ત્રીજા સત્રમાં ૨૫ મિનિટનું તેમનું સંબોધન બીજેપીના કાર્યક્રમ લિસ્ટમાં નક્કી કર્યું હતું. તેમાં તેમનો વિષય હતો- ચાર રાજ્યોમાં ઐતિહાસિક વિજય પર અને મોદી સરકાર દ્વારા ૧૦ લાખ યુવાનોની ભરતીની નવી ઘોષણા તથા અગ્નિપથ ભરતી યોજના પર વડાપ્રધાનનું અભિવાદન. જોકે, વસુંધરા રાજે તે પહેલા જ લન્ચ દરમિયાન કાર્યક્રમ છોડીને ત્યાંથી નીકળી ગયા હતા. તેમણે પોતાનું સંબોધન પણ નહોતું આપ્યું.

આ અગાઉ રાજે સાથે મંચ પર રાજ્યસભા સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રભારી અરુણ સિંહ, સહ પ્રભારી ભારતી બેન સિયાલ, પ્રદેશ અધ્યક્ષ સતીષ પુનિયા, સંગઠન મંત્રી ચંદ્રશેખર, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, કૈલાશ ચૌધરી, અર્જુન રામ મેઘવાલ, રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષના નેતા ગુલાબચંદ કટારીયા, રાજેન્દ્ર રાઠોડ અને અલ્કા ગુર્જર ઉપસ્થિત હતા.

પૂર્વ સીએમ વસુંધરા રાજેના અધવચ્ચે ચાલ્યા જવા પર બીજેપીના પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશ દાધીચને પૂછવામાં આવ્યુ તો તેમણે રાજેના કોઈ પણ પ્રકારના સંબોધનનો પ્રસ્તાવિત હોવાનો ઈનકાર કર્યો હતો. જોકે, કાર્યસમિતિની બેઠકના કાર્યક્રમના લિસ્ટમાં આ સંબોધન પ્રસ્તાવિત હતું.

આને લઈને વિપક્ષના નેતા ગુલાબચંદ કટારીયાએ કહ્યું કે, આ વિશે હું કહી શકુ કે, વસુંધરા રાજે કાર્યક્રમમાંથી નીકળી ગયા હતા અને પરત નહોતા ફર્યા. ત્યાર પછીના સત્રમાં તેઓ હાજર નહોતા રહ્યા.

 તેમની અધવચ્ચે ચાલ્યા જવાનું કારણ તેઓ પોતે જ જણાવી શકે છે. બીજી તરફ જ્યારે સતીશ પૂનિયાને મીડિયા દ્વારા કાર્યકારી સમિતિ અને રાજે વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કંઈપણ કહેવાનો ઈનકાર કર્યો હતો.

 

 

(8:18 pm IST)