Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

કોરાનાએ દુનિયામાં ૩.૭ કરોડ લોકોને ગરીબ બનાવ્યા

બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનનો રિપોર્ટ : સરકાર દ્વારા ૨૦ કરોડ મહિલાઓને રોકડ અપાતા ગરીબી પર ઓછી અસર, મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળ્યું

નવી દિલ્હી, તા.૧૬ : બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના પ્રમાણે કોરોના વાયરસે અનેક દાયકા દરમિયાન સ્વાસ્થ્ય ક્ષેત્રમાં થયેલી પ્રગતિને પલટતા લગભગ ૩.૭ કરોડ લોકોને અત્યાધિક ગરીબીમાં ધકેલી દીધા છે. ફાઉન્ડેશનના એક રિપોર્ટ પ્રમાણે આ મહામારીનો વાસ્તવિક ફેલાવો ભલે ગમે તેટલો રહ્યો હોય, પરંતુ આના લીધે આર્થિક રીતે દરેક દેશમાં ભારે તબાહી મચી ગઈ છે.

આતંરરાષ્ટ્રીય નાણા ભંડોળના રિપોર્ટને આધાર માનતા કહેવામાં આવ્યું કે દુનિયાભરમાં વિકાસને પ્રોત્સાહન આપવા માટે ૧૮,૦૦૦ અબજ અમેરિકી ડૉલર ખર્ચ કરવા છતા ૨૦૨૧ના અંત સુધી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ૧૨,૦૦૦ અબજ ડૉલર અથવા આનાથી વધારે ખાધ રહેશે. ફાઉન્ડેશનના વાર્ષિક 'ગોલકીપર્સ રિપોર્ટલ્લમાં આ વાત કહેવામાં આવી. આ રિપોર્ટ મુખ્ય રીતે ગરીબી દૂર કરવા અને સ્વાસ્થ્ય સંબંધી મુદ્દાઓ પર સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ લક્ષ્યો (એસડીજી)નું વિશ્લેષણ કરે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, કોરોના વાયરસ સંકટ દરમિયાન ભારતે ૨૦ કરોડ મહિલાઓને રોકડ આપી અને આનાથી ના ફક્ત ભૂખ અને ગરીબી પર મહામારીની અસરને ઓછી કરવામાં મદદ મળી, પરંતુ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળ્યું.

ફાઉન્ડેશન બિલ ગેટ્સના સહ-અધ્યક્ષે જણાવ્યું કે ભારતમાં આધાર ડિઝિટલ નાણાકીય વ્યવસ્થા ફરી મદદગાર સાબિત થઈ. તેમણે કહ્યું કે, ડિઝિટલ ટ્રાન્સફર દ્વારા ચુકવણી શાનદાર ચીજ છે અને દેખીતી રીતે ભારતે આને એ સ્તર પર કર્યું જેવું આજ સુધી કોઈ બીજા દેશે નથી કર્યું.

(7:14 pm IST)