Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

લતાજી હજુ પણ કેટલાક દિવસ ડૉક્ટરોના સુપરવિઝનમાં રહેશે

લતા મંગેશકરને હોસ્પિ.માં કોઈને મળવાની મંજૂરી નથી : લતા મંગેશકર બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં ICUમાં દાખલ છે

નવી દિલ્હી, તા.૧૬ : ભારતના સુવિખ્યાત સિંગર લતા મંગેશકર પાછલા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે અને લોકો તેમની તબિયત જલદી સાજી થઈ જાય અને તેઓ ઘરે પરત આવી જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. લતા મંગેશકરને કોરના સંક્રમણની સાથે ન્યુમોનિયા પણ થઈ ગયો છે, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લતા મંગેશકર મુબઈમાં આવેલા બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરાયા હતા અને હાલ પણ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે.

લતા મંગેશકરની સારવાર કરી રહેલા ડૉ. પ્રતીતે જણાવ્યું કે હજુ પણ લતા મંગેશકરને થોડા દિવસ હોસ્પિટલમાં ડૉક્ટરો નજર સામે રહેવું જરુરી છે. તેમણે જણાવ્યું કે, *લતાજી હજુ પણ આઈસીયુમાં છે. તેમનું આઈસીયુમાં ડૉક્ટરો દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. લતાજી હજુ પણ કેટલાક દિવસ ડૉક્ટરોના સુપરવિઝનમાં રહેશે. જોકે, એ કહેવું મુશ્કેલ છે કે હજુ તેમણે કેટલો સમય હોસ્પિટલમાં દાખલ રહેવું પડશે. તેમને કોઈને મળવાની મંજૂરી આપવામાં આવી નથી.* બીજી તરફ લતા મંગશકરના ભત્રીજી રચના શાહે ગુરુવારે એટલે કે ૧૩ જાન્યુઆરીએ જણાવ્યું હતું કે હજુ પણ લતા મંગેશકરના સ્વાસ્થ્યમાં સુધાર આવ્યો છે. પરંતુ વધારે ઉંમર હોવાના કારણે તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. રચનાએ ફેન્સને અપીલ કરી છે કે તેઓ લતા મંગેશકર માટે પ્રાર્થના કરે.

ભજન સિંગર અનુપ જલોટાએ લતા મંગેશકરના સ્વાસ્થ્ય અંગે અમારા સહયોગી નવભારત ટાઈમ્સ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, *તેઓ (લતા મંગેશકર) આજકાલ કોઈને મળતા નથી. તેમને ઈન્ફેક્શન બહુ જલદી લાગી જાય છે. જ્યારથી તેઓ પાછલા ચાર વખતથી હોસ્પિટલમાં આવ્યા છે, પોતાના રૂમમાં જ રહેતા હતા, કોઈને મળતા નહોતા. અમે તેમની સાથે ફોન પર સંપર્કમાં રહ્યા. લતા મંગેશકરની ઉંમર છે અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ત્યાં તેમની વધારે સારસંભાળ રાખી શકાશે.* લતા મંગેશકરે ૫ વર્ષની ઉંમરથી જ કામ કરવાનું શરુ કરી દીધું હતું. તેઓ પિતાના સંગીત નાટકોમાં અભિયનય કરતા હતા. તે પછી ૧૩ વર્ષની ઉંમરમાં લતા મંગેશકરે પહેલું ગીત ગાયું હતું. ભારત રત્ન, પદ્મ ભૂષણ અને દાદાસાહેબ ફાળકે જેવા શ્રેષ્ઠ એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે, તેમણે ગુજરાતી સહિત ભારતની ઘણી ભાષાઓમાં ૩૦ હજારથી વધારે ગીતો ગાયા છે. અજીબ દાસ્તાં હૈ યે.., પ્યાર કિયા તો ડરના ક્યા.., નીલા આસમાન સો ગયા.. અને તેરે લિએ જેવા યાદગાર ગીતો ગાયા છે.

(12:00 am IST)