Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ઈન્દુ મલ્હોત્રાને તપાસ નહીં કરવા દેવા શીખ ફોર જસ્ટિસની ધમકી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા મામલે તપાસમાં રોડાં નાખવાનો પ્રયાસ : ભૂતપૂર્વ જસ્ટિસ મલ્હોત્રા સહિત કેટલાક વકીલોને ધમકી આપતી એક વોઈસ નોટ મોકલવામાં આવી છે

નવી દિલ્હી, તા.૧૭ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે તપાસમાં સામેલ રિટાયર્ડ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાને ધમકી આપવામાં આવી છે. ખાલિસ્તાન અલગાવવાદીઓએ ઈન્દુ મલ્હોત્રાને ધમકી આપી છે.

 શીખ ફોર જસ્ટિસએ કહ્યુ કે ઈન્દુ મલ્હોત્રાને પીએમ મોદીની સુરક્ષા મામલે સેંધમારીની તપાસ કરવા દઈશુ નહીં. ઈન્દુ મલ્હોત્રા વડાપ્રધાન સુરક્ષા મામલે સુપ્રીમ કોર્ટની તપાસ કમિટીની ચેરપર્સન છે.

પૂર્વ જસ્ટિસ મલ્હોત્રા સહિત કેટલાક વકીલોને એક વોઈસ નોટ મોકલવામાં આવી છે.

વોઈસ નોટમાં કહેવામાં આવ્યુ છે કે સુપ્રીમ કોર્ટની પૂર્વ જજને અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે તપાસ કરવા દઈશુ નહીં. પીએમ મોદી અને શીખમાંથી કોઈ એક પસંદ કરવુ પડશે. આગળ કહ્યુ કે અમે સુપ્રીમ કોર્ટના વકીલોની પણ યાદી બનાવી રહ્યા છીએ. અગાઉ પણ સુપ્રીમ કોર્ટના કેટલાક વકીલોને મામલે ધમકીભર્યા ફોન આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટના ૫૦થી વધારે વકીલોને ઈન્ટરનેશનલ નંબરથી કોલ કરીને દાવો કરવામાં આવ્યો હતો કે વડાપ્રધાનની સુરક્ષા ચૂક માટે તેઓ જવાબદાર છે. ફોન કરનારે શિખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલા હોવાનો દાવો કર્યો. સુપ્રીમ કોર્ટના તમામ એઓઆર વકીલોને ફોન કર્યો હતો. એટલુ નહીં સંગઠને ફોન કરીને સુપ્રીમ કોર્ટે જજને પીએમ મોદીની સુરક્ષા ચૂક સાથે જોડાયેલી અરજી પર સુનાવણીથી દૂર રહેવા માટે પણ કહ્યુ હતુ.

(8:11 pm IST)