Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ટ્રેનની ટિકિટમાં ચારમાંથી ત્રણ કન્ફર્મ થઇ તો હવે એકથી મુસાફરી નહીં થાય

વિચિત્ર નિયમને કારણે અનેક મુસાફરોની પરેશાની વધશે

નવી દિલ્હી,તા. ૧૭: રેલ્વે તંત્રએ જાહેર કરેલા વિચિત્ર પરિપત્રને કારણે મુસાફરોને પરેશાનીમાં વધારો થવાનો છે. કારણ કે એક ટિકિટમાં ચાર કે છ વ્યકિતના નામ હોય છે. તે પૈકી જે પણ મુસાફરની ટિકિટ કન્ફર્મ હશે તે જ હવેથી ટ્રેનમાં મુસાફરી કરી શકશે.જેથી એક જ પરિવારમાં ચાર વ્યકિત પૈકી ત્રણ વ્યકિતની ટિકિટ કન્ફર્મ નહીં હોય તો નવા નિયમ પ્રમાણે તેને ટ્રેનમાં જવા દેવામાં  આવશે નહીં હોય તો નવા નિયમ પ્રમાણે તેને ટ્રેનમાં જવા દેવામાં આવશે નહીં રેલ્વે તંત્રના આ વિચિત્ર નિયમને કારણે મુસાફરોની પરેશાની વધવાની છે.

કોરોનાની મહામારી પહેલા ટ્રેનમાં મુસાફરી કરવા માટે લેવામાં આવતી રિઝર્વેશન ટિકિટમાં ચારથી છ વ્યકિત પૈકી એકાદ બે વ્યકિતની પણ ટિકિટ કન્ફર્મ હોય તો પરિવારના તમામ સભ્યો મુસાફરી કરી શકતા હતા. તેમજ આ માટે ચેકિંગ સ્ટાફ અને ટિકિટ ચેકર દ્વારા પણ દંડ વસૂલ કરવામાં આવતો નહોતો. જો કે આ માટે રેલવેના કાઉન્ટર પરથી ટિકિટ લીધેલી હોવી જોઇએ. જ્યારે ઇ-ટિકિટ લીધી હોય તો કન્ફર્મ ના થાય તો આપોઆપ જ તે ટિકિટ રદ થઇ જતી હોય છે. જેથી ઇ-ટિકિટમાં વેઇટિંગ હોય તો મુસાફરી કરી શકતા નહોતા. જો કે કોરોનાની મહામારીને કારણે રેલ્વે તંત્રએ પણ નિયમોમાં વ્યાપક ફેરફાર કર્યા છે. તે અંતર્ગત જે પણ વ્યકિતની ટિકિટ કન્ફર્મ નહીં હોય તેને ટ્રેનમાં પ્રવેશ નહીં આપવાનો પરિપત્ર જ જાહેર કરી દેવામાં આવ્યો છે.

સિસ્ટમથી જ ટિકિટ કન્ફર્મ થતી હોય ઘર્ષણ વધશે

ટ્રેનમાં મુસાફરી કરવા માટે રિઝર્વેશન ટિકિટ લેવામાં આવતી હોય છે. તેમાં રેલ્વે તંત્ર દ્વારા જ વેઇટિંગ આપવામાં આવતી હોય છે કારણ કે છેલ્લી ઘડીએ મુસાફર ટિકિટ રદ કરાવે તો અન્ય મુસાફરની ટિકિટ આપોઆપ જ કન્ફર્મ થઇ જતી હોય છે. આ સિસ્ટમ વર્ષોથી રેલ્વે તંત્રમાં કાર્યરત છે. જેથી વેઇટીંગ ટિકિટ કન્ફર્મ ના થાય તો પણ મુસાફરોને મુસાફરી કરવા દેવામાં આવતી હતી. પરંતુ નવા નિયમને કારણે હવે મુસાફરી કરવા દેવામાં નહીં આવે તો મુસાફરો સાથે ચેકિંગ સ્ટાફ અને આરપીએફ સાથે ઘર્ષણ થવાની શકયતા રહેલી છે.

(10:12 am IST)