Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

હવે ૪૦૦૦ ભાડું ભરનાર વ્યકિતએ પણ રિટર્ન ભરવું પડશે

આર્થિક વ્યવહાર પર નજર રાખવા માટે ૨૬ એએસ ફોર્મમાં ઘણા સુધારા વધારા કર્યા છે. હવેથી ૨૬ એએસ ફોર્મમાં ટેકસ ચૂકવનારની નાણાકીય ગતિવિધિ અંગેની જાણકારી પણ ફોર્મમાં આપવામાં આવશેઃ તેના કારણે મેડિકલ વીમા, પ્રીમિયમ, ઘર ભાડું અને બાળકોની ફી અંગે પણ માહિતી કરદાતાઓએ ઈન્કમટેકસ વિભાગને આપવી પડશે

નવી દિલ્હી,તા. ૧૭: ભ્રષ્ટાચારમાંથી મુકિત મેળવવા માટે સરકારે કરદાતા અને અધિકારીઓ વચ્ચેનો સંપર્ક ઘટાડવાના હેતુથી કેસલેસ સિસ્ટમ લાગુ કરી છે. સરકારે કેસલેસ સિસ્ટમની સાથે-સાથે કરદાતાઓના તમામ આર્થિક વ્યવહારો પર નજર રાખવાનો પ્લાન પણ અમલમાં મૂકયો છે. સરકારે કરદાતાઓના તમામ આર્થિક વ્યવહાર પર નજર રાખવા માટે ૨૬ એએસ ફોર્મમાં ઘણા સુધારા વધારા કર્યા છે. હવેથી ૨૬ એએસ ફોર્મમાં ટેકસ ચૂકવનારની નાણાકીય ગતિવિધિ અંગેની જાણકારી પણ ફોર્મમાં આપવામાં આવશે. તેના કારણે મેડિકલ વીમા, પ્રીમિયમ, ઘર ભાડું અને બાળકોની ફી અંગે પણ માહિતી કરદાતાઓએ ઈન્કમટેકસ વિભાગને આપવી પડશે.

ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા ટેકસ ચૂકવનારનું ટેકસ સ્ટેટમેન્ટ ગણવામાં આવતું ફોર્મ ૨૬ એએસમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ફોર્મ ૨૬માં એએસ, TDS, TCS આ ઉપરાંત ૫૦ લાખથી વધારે મિલકતનું વેચાણ, ૨ લાખથી વધુ કિંમતનાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, લકઝરી કારની ખરીદી જેવી વિગતો આપવાની રહેતી હતી.

નાણા મંત્રાલય દ્વારા કરવામાં આવેલા સુધારાના કારણે હવેથી ટેકસ ચૂકવનારે ૧ લાખથી વધુની એજયુકેશન ફી, ૧ લાખથી વધુ ઇલેકિટ્રસિટી બિલ ભર્યું હોય, ૧લાખથી વધુ કોઈ પણ સંસ્થાને આપેલું દાન કે, બચત ખાતામાં ૨૫ લાખથી વધુ અને કરંટ ખાતામાં ૫૦ લાખથી વધારેની રકમ જમા કરાવી હોય, કોઈ હોટેલમાં ૨૦ હજારથી વધારેનું પેમેન્ટ કર્યું હોય અથવા ૧ લાખથી વધારેની જવેલરી, પેઇન્ટિંગ કે, મોબાઈલની ખરીદી કરી હોય અને કરદાતાએ ૨૦,૦૦૦થી વધુ વેરા બિલ ભર્યું હોય કે, પછી વિમાનમાં બિઝનેસ કલાસમાં ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ ટ્રાવેલ કર્યું હોય તો તેની વિગતો જાહેર કરવામાં આવશે.

આ ઉપરાંત ૫૦ હજારથી વધુ જીવન વીમા પ્રીમિયમ ભર્યું હોય, ૨૦,૦૦૦થી વધુ મેડિકલ પ્રીમિયમ ભર્યું હોય, શેરબજારના વ્યવહારો, ડિમેટ એકાઉન્ટના વ્યવહારો અને બેંકના લોકરની વિગતો પણ જાહેર કરવામાં આવશે. સાથે-સાથે કરદાતાના ૩૦ લાખથી વધુના બેંક વ્યવહાર હોય તો પણ તેને ઇન્કમટેકસ રિટર્ન ભરવું ફરજીયાત છે, તો બીજી તરફ જે લોકો ૪ હજારથી વધુ ભાડું ચૂકવે છે તેને પણ રિટર્ન ભરવું પડશે. ૫૦ લાખથી વધુનું ટર્નઓવર ધરાવનાર વ્યકિતએ પણ તેમનું રિટર્ન ફરજિયાત પણે ભરવાનું રહેશે.

આ બાબતે ટેકસ કન્સલ્ટન્ટ ધર્મેશ ગોળવાળાએ જણાવ્યું હતું કે, અધિકારીઓની સાથે-સાથે સરકારે કરદાતાઓની જવાબદારીઓમાં વધારો કર્યો છે. હવે ખરીદ વેચાણ ઉપરાંત પરિવાર માટે કરદાતા દ્વારા કરાતા ખર્ચની વિગતો તેને આવકવેરા વિભાગને સોંપવી પડશે અન્યથા ઓનલાઇન એસેસમેન્ટનો સામનો કરવો પડી શકે છે.

(11:58 am IST)