Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

કોરોનાનું તાંડવઃ વધુ ૩૩ને ભરખી ગયો

રાજકોટ શહેરમાં ૨૯, જીલ્લામાં ૨ તથા અન્ય જીલ્લામાં ૨ દર્દીઓનાં મોત : સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક પણ મૃત્યુ થયુ નથી

રાજકોટ, તા. ૧૭ : કોરોનાએ રાજકોટમાં કાળો કેર વર્તાવ્યો છે. સતત થઇ રહેલા મૃત્યુ વચ્ચે આજે એક જ રાતમાં અધધધ ૩૩ દર્દીઓનો ભોગ લેવાઇ જતાં હાહાકાર મચી ગયો છે.

શહેરમાં ૨૯, જીલ્લાનાં ૨ તથા અન્ય જીલ્લાના ૨ સહિત કુલ ૩૩ દર્દીઓના મોત થયા છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક પણ મૃત્યુ થયા નથી.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૧૬નાં સવારે ૮ વાગ્યાથી તા.૧૭ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લાના ૩૩ દર્દીઓએ દમ તોડી દીધા હતો. દરેક સરકારી તંત્રો કોરોનાને મ્હાત કરવામાં વામણા સાબિત થઇ રહ્યા છે અને બીજી તરફ લોકોના જીવ તાળવે ચોટી ગયા છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

યુવાન અને આધેડ પણ કોરોનાને કારણે કાળનો કોળીયો બની રહ્યા છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. લોકોએ જાતે જ સાવચેત રહેવું જરૂરી બન્યું છે.

 આમ છતાં રાજકોટ સિવિલમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુનો આંક ઓછો થતો ન હોઇ લોકોમાં જબરો ફફડાટ વ્યાપી ગયો છે.

(2:52 pm IST)