Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

સંયુક્ત આરબ અમીરાતમાં બની રહેલા પહેલા હિંદુ મંદિરમાં ઇટાલીના આરસના પથ્‍થરો લગાવાશે : બલુઆ પથ્‍થરો રાજસ્‍થાનના છે : ૨૦૧૮માં નરેન્‍દ્રભાઇ મોદીએ દુબઇમાં બે દિવસના પ્રવાસમાં વીડિયો કોન્ફરન્‍સીંગ દ્વારા મંદિરનો શિલાન્યાસ કરેલ હતો

નવી દિલ્હી: સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ની રાજધાની અબુધાબીમાં નિર્માણ થઇ રહેલા પહેલા હિંદુ મંદિરની ડિઝાઈનના ફોટાઓ જાહેર કરવામાં આવ્યા છે. ફોટાઓમાં જોઇ શકાય છે કે હિંદુ મહાકાવ્યો, ધર્મગ્રંથો, પ્રાચીન કથાઓ અને ખાડી દેશોમાં લોકપ્રિય રૂપાંકનોના દ્રશ્યો મંદિરના અગ્રભાગને સુશોભિત કરશે. આ સંબંધે અબુધાબી સ્થિત ભારતીય દૂતાવાસના ઓફશિયલ ટ્વિટર હેંડલ પરથી ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી છે. દૂતાવાસે ‘ભારતમાં આકાર લઇ રહેલી અબુધાબીના પ્રથમ હિંદુ મંદિરનું જટિલ નકશીકામ’ કેપ્શનથી ટ્વિટ કરીને એક મીડિયા રિપોર્ટને પણ શેર કર્યો છે.

મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અબુધાબીમાં હિંદુ મંદિર નિર્માણની સંસ્થા બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (બીએસપીએસ)ના મેનેજમેન્ટે મંદિરની ફાઈનલ ડિઝાઈન અને હાથથી કોતરેલા નકશીદાર પથ્થરના સ્તંભોની પહેલી તસવીરો જાહેર કરી છે. આ ઉપરાંત, 4 મિનિટ 19 સેકંડ્સનો એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં મંદિરનો પાયો નાખવાથી લઇને અત્યાર સુધીમાં થયેલા નિર્માણની તસવીરો જોઇ શકાય છે. 

આ વિશે બીએપીએસના પ્રવક્તા અશોક કોટેચાએ કહ્યું કે, ‘આવું પહેલીવાર થયું છે, જ્યારે ફાઇનલ ડિઝાઇનના દ્રષ્યો વીડિયો દ્વારા જાહેર કરવામાં આવ્યા હોય. આ ઐતિહાસિક મંદિરનું નિર્માણકાર્ય ભારતીય સમુદાયના સમર્થન તેમજ ભારત અને યુએઈના નેતૃત્વ અને માર્ગદર્શન સાથે આગળ વધી રહ્યું છે.’ તેમણે જણાવ્યું કે ભારતમાં પથ્થરો પર નકશીકામ સતત ચાલુ છે. મંદિરમાં જે આરસના પથ્થરો લગાવવામાં આવશે તે ઇટાલીના છે, જ્યારે બલુઆ પથ્થરો રાજસ્થાનના છે. કારીગરોએ રાજસ્થાન અને ગુજરાતમાં વિવિધ સ્થળોએ 25,000 ઘનફૂટ પથ્થરો પર નકશીકામ કરવામાં આવ્યું છે.

ગયા મહિને યુએઈના વિદેશી બાબતો અને આંતરરાષ્ટ્રીય સહયોગ મંત્રી અને ભારતના રાજદૂત પવન કપૂરે મંદિરના નિર્માણકાર્યની પ્રગતિની સમીક્ષા માટે ત્યાંની મુલાકાત લીધી હતી. આ દરમિયાન બંનેએ મંદિરના નિર્માણકાર્ય પર દેખરેખ રાખતી સંસ્થા બીએપીએસના સભ્યોની પણ મુલાકાત લીધી હતી.

ભારતીય દૂતાવાસના આંકડાઓ પ્રમાણે, યુએઈમાં આશરે 26 લાખ ભારતીયો રહે છે, જે ત્યાંની વસ્તીનો લગભગ 30% હિસ્સો છે. ઉલ્લેખનીય છે કે, યુએઈ સરકારે વર્ષ 2015માં મંદિર બાંધવાનું એલાન તે સમયે કર્યું હતું, જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી યુએઈની બે દિવસીય મુલાકાતે ગયા હતા. આ માટે ત્યાંની સરકારે અબુધાબીમાં ‘અલ વાકબા’ નામની જગ્યાએ બીએપીએસને 20,000 વર્ગ મીટરની જમીન આપી હતી, જે મુખ્ય શહેર અબુધાબીથી 30 મિનિટના અંતરે છે. પીએમ નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2018માં પોતાના દુબઈના બે દિવસીય પ્રવાસ દરમિયાન ત્યાંના ઓપેરા હાઉસમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.

(12:18 pm IST)