Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

ડો.ભાગવત કરાડેએ વિમાનમાં સહયાત્રીને પ્રાથમીક સારવાર આપી જીવન બચાવ્યુ

ફલાઈટમાં કેન્દ્રીય મંત્રી બન્યા દેવદૂત : તબીબી ફરજ નિભાવીઃ નરેન્દ્રભાઈએ પણ કરી પ્રશંસા : મુસાફરે બ્લડપ્રેશરની સમસ્યાના કારણે ચક્કર આવવાની ફરિયાદ કરેલ

નવી દિલ્હી તા.૧૭ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ફલાઈટ દરમિયાન બીમાર થયેલા સહયાત્રીની મદદ કરવા બદલ કેન્દ્રીય મંત્રી ભાગવત કરાડની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે સદૈવ, હ્રદયથી એક ચિકિત્સક, મારા સહયોગી દ્વારા કરાયેલું શાનદાર કાર્ય. સોશિયલ મીડિયાથી લઈને દરેક જણ તેમના આ સેવાકાર્યને બિરદાવી રહ્યા છે. સમયસર કરાયેલી મદદના કારણે મુસાફરનો જીવ બચી શકયો. ભાગવત કરાડ વ્યવસાયે એક સર્જન છે અને જુલાઈ ૨૦૨૧માં નાણારાજય મંત્રી તરીકે મોદી કેબિનેટમાં સામેલ થયા. તેઓ મહારાષ્ટ્રથી રાજયસભા સાંસદ છે.

અત્રે જણાવવાનું કે ૧૫ નવેમ્બરે ઈન્ડિગો એરલાઈન્સની ઉડાણમાં સીટ ૧૨એ પર મુસાફરી કરી રહેલા એક મુસાફરને સ્વાસ્થ્ય સંબંધી કેટલીક ગંભીર સમસ્યા ઊભી થઈ હતી. તે વિમાનમાં કેન્દ્રીય નાણારાજયમંત્રી ડોકટર ભાગવત કરાડ પણ મુસાફરી કરી રહ્યા હતા. જયારે તેમને સ્થિતિ અંગે ખબર પડી તો એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર કોઈ મિનિસ્ટ્રિયલ પ્રોટોકોલની ચિંતા ન કરતા ડોકટર કરાડે તે મુસાફરને સારવાર આપવા પહોંચી ગયા હતા.

ઈન્ડિગોની એક દિલ્હી-મુંબઈ ઉડાણ દરમિયાન મુસાફરને સમસ્યા ઉભી થઈ અને કરાડે મુસાફરને પ્રાથમિક સારવાર આપી હતી. કેન્દ્રીય નાણારાજય મંત્રી કરાડના કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલી એક રિલીઝમાં જણાવવામાં આવ્યું કે મુસાફરે બ્લડ પ્રેશરની સમસ્યાના કારણે ચક્કર આવવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ કરાડ તે મુસાફર પાસે પહોંચી ગયા અને પ્રાથમિક સારવાર આપી. નિવેદન મુજબ ડો.કરાડે મુસાફરની મદદ કરી. ઈન્ડિગોએ પણ કેન્દ્રીય મંત્રીના આ સેવાભાવને બિરદાવતા તેને પ્રેરણાદાયી ગણાવ્યું.

(12:48 pm IST)