Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

જનમ-જનમ કા સાથ.. : પત્‍નિના નિધનના આઘાતમાં પતિનો પણ ગયો જીવઃ એક સાથે નીકળી અંતિમયાત્રા

સાત ફેરા અને સાત જન્‍મ સાથે જીવવાના અને મરવાના વચનો વિશે આપણે ઘણું સાંભળ્‍યુ છે પરંતુ ખરગોનમાં તે સાચું પડયુ છે : અહીંના દેવલગાંવમાં પત્‍નીના વિરહમાં પતિનું પણ મૃત્‍યુ થયું

મુંબઇ,તા. ૧૮: પતિ અને પત્‍ની લગ્નગ્રંથિમાં જોડાય ત્‍યારે સાત ફેરામાં સાત જન્‍મો સુધી સાથ નિભાવવાનું વચન આપતા હોય છે. એક સાથે જીવવા મારવાનું વચન આપે છે. જોકે, મારા સાતેમ જનમમાં હું તારી સાથે કાઢીશ એવું વચન આપનાર હવે દુનિયામાં ગણ્‍યાગાંઠ્‍યા યુગલો રહ્યાં છે. પરંતુ પ્રેમની એક બેમિસાલ કથા મધ્‍યપ્રદેશમાં સામે આવી છે.

સાત ફેરા અને સાત જન્‍મ સાથે જીવવાના અને મરવાના વચનો વિશે આપણે ઘણું સાંભળ્‍યું છે પરંતુ ખરગોનમાં તે સાચું પડ્‍યું છે. અહીંના દેવલગાંવમાં પત્‍નીના વિરહમાં પતિનું પણ મૃત્‍યુ થયું હતું.

ખરગોન જિલ્લામાં એક અજીબોગરીબ દુઃખદ સંયોગ બન્‍યો છે. અહીં પત્‍નીના નિધનના દુઃખમાં પતિનું પણ મોત થયું હતું. આવો પ્રેમ અને સંયોગ જોઈને આખું પંથક ભાવુક થઈ ગયું છે. બંને વૃદ્ધ હતા. વડીલ યુગલની અર્થિ એકસાથે ઉપડી છે. ગામ અને પરિવારના સભ્‍યોએ બંનેને સંગીત સાથે વિદાય આપી છે.

પત્‍નીની ઉંમર ૮૦ વર્ષની હતી અને પતિની ઉંમર ૯૦ વર્ષની હતી. બંનેના નિધન ટૂંકા ગાળામાં થયા છે. પ્રેમની પરાકાષ્ઠા જોઈને આસપાસના ગામોના લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. જીવનભર સાથે જીવેલા આ વૃદ્ધ દંપતીની સ્‍મશાનયાત્રા પણ બેન્‍ડ અને ડીજે અને ભજન કીર્તન સાથે નિકળી હતી. પરિવાર અને ગ્રામજનોએ વૃદ્ધ દંપતીને અશ્રુભીનિ આંખે વિદાય આપી અંતિમ સંસ્‍કાર કર્યા હતા.

ખરગોન જિલ્લાના ગોગાંવ પોલીસ સ્‍ટેશનનું દેવલગાંવ આ વિચિત્ર સંયોગનું સાક્ષી બન્‍યું હતુ. અહિંયા રહેતા ૮૦ વર્ષની સીતાબાઈનું અવસાન થયું હતું. તેના મૃત્‍યુથી પરિવાર શોકમાં હતો. જોકે ૯૦ વર્ષના પતિ નાગુ ગોસ્‍વામીને પત્‍નીના મોતનો એટલો ભયંકર આધાત લાગ્‍યો કે માત્ર ૮ કલાકમાં જ તેણે પણ દુનિયાને અલવિદા કહી દીધું હતું. ગોસ્‍વામી દંપતીના લગ્ન લગભગ ૬૦ વર્ષ પહેલા થયા હતા. લગ્ન સમયે જીવનભર સાથે રહેવાનું વચન આપનાર દંપતી પણ છેલ્લી યાત્રાએ સાથે રવાના થઈ ગયું હતું.

એકસાથે બંને વડીલોના મોતના આઘાતમાં પરિવારે અંતિમ યાત્રાની તૈયારીઓ કરી હતી. જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો, બેન્‍ડ બાજાના તાલે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. પુત્ર કૈલાશે પિતાને અને પુત્ર શ્‍યામે માતાને અગ્નિ દાહ કર્યો હતો.

લોકોનું કહેવુ છે કે,આ કપલ વચ્‍ચે ખૂબ જ ગાઢ પ્રેમ હતો. આ બંને એકબીજા વગર રહેતા નહોતા. વૃદ્ધ પત્‍નીના મોતના લગભગ ૮ કલાક બાદ પતિનું પણ મોત નીપજયું હતું. બંને મજૂરી કરતા હતા અને સાથે કામ કરવા જતા હતા.

ગોસ્‍વામી દંપતી એકસાથે આદિવાસી વિસ્‍તારમાં જઈને મહિલાઓના નાક અને કાન વીંધતા હતા. મેકઅપની વસ્‍તુઓ પણ સાથે વેચતા હતા. બંનેએ ખેતરમાં કપાસ ચૂંટીને, મરચાં તોડીને, વણાટ કરીને પરિવારનો ઉછેર કર્યો હતો. ચાર પુત્રો અને બે પુત્રીઓના લગ્ન પણ કર્યા હતા. પૌત્ર-પૌત્રીઓના પણ લગ્ન થઈ ગયા છે.

(10:01 am IST)