Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ગોલ્ડ હોલમાર્કિંગ ફરજિયાત થયા પછી જૂના ઘરેણાં પર હોલમાર્ક નહીં હોય તો શું થશે?

સમગ્ર દેશમાં સોનાનું હોલમાર્કિંગ કરવું ફરજિયાત થઈ ગયું છે : તેનાથી ગ્રાહકોને ઘણો ફાયદો થશે. જયારે પણ તમે સોનુ પાછું વેચવા જશો તો તેની સારી કિંમત મળશે. એટલું જ નહીં, જવેલર સોનામાં મિલાવટ નહીં કરી શકે

નવી દિલ્હી,તા. ૧૮: દેશમાં સોનાનું હોલમાર્કિંગ ફરજિયાત થઈ ગયું છે. આ નવી વ્યવસ્થા ૧૬ જૂનથી લાગુ થઈ ચૂકી છે. તેનો અર્થ છે કે, હવે જવેલર્સ માત્ર હોલમાર્કવાળી જવેલરી જ વેચી શકશે. આ પહેલા હોલમાર્કિંગ ૧ જૂનથી ફરજિયાત થવાનું હતું, પરંતુ દેશમાં કોરોનાની બીજી લહેરને જોતા તેને લાગુ કરવાની તારીખ આગળ વધારી દેવાઈ હતી. હોલમાર્કિંગથી ગ્રાહકોને ઘણો ફાયદો થશે. અહીં એક સવાલ એ પણ છે કે, જૂની જવેલરીનું શું? શું તે વેચતા પહેલા જવેલર્સે તેનુ પ હોલમાર્કિંગ કરવું પડશે? જો નહીં કરવું પડે તો શું થશે?

કેન્દ્રીય વાણિજય અને ઉપભોકતા મામલાના મંત્રી પીયુષ ગોયલે જાહેરાત કરી હતી કે, ૧ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી જૂના સ્ટોક પર હોલમાર્ક લગાવવાન લઈને કોઈપણ વેપારી પર કોઈ પેનલ્ટી નહીં લાગે અને કોઈ માલ જપ્ત પણ નહીં કરાય. એટલે કે, જવેલર્સ ૧ સપ્ટેમ્બર સુધી પોતાનો જૂનો સ્ટોક કાઢી શકે છે અને તે પછી નવી જવેલરીને હોલમાર્ક સાથે જ વેચવી પડશે. જોકે, હોલમાર્ક વિનાની જે જવેલરી લોકો પાસે છે, તેનું હોલમાર્કિંગ ન હોવા પર કોઈ દંડ નહીં કરાય.

દેશભરમં હોલમાર્કિંગ લાગુ કરવાની તારીખ ઘણી વખત આગળ વધારાઈ ચૂકી છે. આ નિયમ આ વર્ષ જાન્યુઆરીમાં લાગુ થવાનો હતો, પરંતુ કોરોનાના કારણએ તારીખ ઘણી વખત વધારાયા બાદ હવે ૧૬ જૂનથી તેને લાગુ કરવામાં આવી રહ્યો છે. જવેલરી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા જવેલર્સે પોતે સરકાર સમક્ષ હોલમાર્કિંગ લાગુ કરવાની તારીખ આગળ વધારવા અપીલ કરી હતી.

ગોલ્ડ હોલમાર્કિંગ ફરજિયાત કરવાના પહેલા તબક્કામાં દેશના ૨૫૬ જિલ્લામાં, જયાં પહેલેથી જ હોલમાર્કિંગ સેન્ટર છે, ત્યાં ફરજિયાત રીતે હોલમાર્કિંગ લાગુ થશે. બધા જવેલર્સએ માત્ર એક વખત રજિસ્ટ્રશન લેવું પડશે, જે રિન્યુ કરાવવાનું રહેશે નહીં. કુંદન અને પોલ્કીની જવેલરી અને જવેલરીવાળી ઘડિયાળોને હોલમાર્કના નિયમથી બહાર રાખવામાં આવી છે.

સોનુ ખરીદતી વખતે સૌથી પહેલા તેના પર હોલમાર્ક જોવો જરૂરી છે. હોલમાર્ક સર્ટિફિકેશનનો અર્થ છે કે, સોનુ અસલી છે. આ સર્ટિફિકેટ બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ તરફથી આપવામાં આવે છે. જાણીતા બ્રાન્ડ્સમાં તો તેમને બધા દ્યરેણાં હોલમાર્કવાળા જ મળશે, પરંતુ સ્થાનિક જવેલર્સ દ્યણી વખત હોલમાર્ક વિનાના દ્યરેણાં પણ વેચતા હોય છે, જેથી અસલી કે નકલીની ઓળખ કરવી મુશ્કેલ બની જાય છે.

હોલમાર્કિંગ ગ્રાહકો માટે દ્યણું ફાયદાકારક છે. જો તમે હોલમાર્કવાળી જવેલરી ખરીદો છો, તો જયારે તમે તેને વેચવા જશો તો કોઈપણ પ્રકારની ડિપ્રિસિએશન કોસ્ટ કાપવામાં નહીં આવે. તેનો અર્થ છે કે, તમને તમારા સોનાની પૂરેપૂરી કિંમત મળશે. તે ઉપરાંત તમે જે સોનુ ખરીદશો તેની ગુણવત્ત્।ાની ગેરંટી હશે. તેનાથી દેશમાં નકલી સોનાના વેચાણ પર રોક લાગશે. ગ્રાહકોને છેતરપિંડી થવાનો ડર નહીં રહે.

(10:16 am IST)