Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

રોજે રોજે કોઇને કોઇ નેતા ફોડે છે 'શાબ્દિક બોંબ'

હવે જયરામ રમેશે કોંગ્રેસની મુશ્કેલી વધારીઃ નેતૃત્વ અંગે ઉઠાવ્યા સવાલોઃ સુધારા ઉપર ભાર

કોંગ્રેસ નેતા જયરામ રમેશ એ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું: 'અમે ૨૦૧૪ અને ૨૦૧૯ લોકસભાની ચૂંટણીઓમાં ખરાબ રીતે હાર્યાઃ અમારે અમારા ઘરમાં સુધારા કરવા પડશે

નવી દિલ્હી, તા.૧૮: ચૂંટણી હારવામાં પ્રખ્યાત થઇ ચુકેલી કોંગ્રેસમાં ફરી ઘમસાણ સર્જાર્યું છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કોંગ્રેસના નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યાં હતા. હવે કોંગ્રેસના બળવાખોર ગણાતા ઞ્૨૨ નેતાઓમાંથી એક જયરામ રમેશ એ પણ કોંગ્રેસના નેતૃત્વ પર સવાલો ઉઠાવતા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.

 કોંગ્રેસ નેતા જયરામ રમેશેએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું, 'અમે ૨૦૧૪ અને ૨૦૧૯ લોકસભાની ચૂંટણીઓમાં ખરાબ રીતે હાર્યા. અમારે અમારા ઘરમાં સુધારા કરવા પડશે. અમારે અમારું નેતૃત્વ ઠીક કરવું પડશે. સંવાદ બરાબર હોવો જોઈએ.. નેતા પાસે જાદુઈ લાકડી હોતી નથી. આ બધું જ એક ટીમનો પ્રયાસ છે.'અહી ટીમ એટલે જયરામ રમેશનો નિર્દેશ G22 નેતાઓ તરફ છે. ગયા વર્ષે કોંગ્રેસ પાર્ટીના ૨૩ નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખી વહેલી તકે સંગઠન ચૂંટણી કરવાની માંગ કરી હતી, જેને રાજકીય વર્તુળોમાં G23 નામ આપવામાં આવ્યું હતું. તાજેતરમાં જિતિન પ્રસાદ ભાજપમાં જોડાયા બાદ આ જૂથમાં ૨૨ નેતાઓ રહ્યાં છે.

કોંગ્રેસ નેતા એ એમ પણ કહ્યું હતું કે આગામી ચૂંટણી પૂર્વે કોંગ્રેસ પાર્ટીએ સમાન વિચારધારાવાળી પાર્ટીઓને સાથે લેવી પડશે. અગાઉ કપિલ સિબ્બલ, ગુલામ નબી આઝાદ જેવા વરિષ્ઠ નેતાઓ પણ વહેલી તકે સંગઠનની ચૂંટણીઓ અને પૂર્ણ સમય માટેના પ્રમુખની માંગ કરી ચૂકયા છે. પક્ષે તાજેતરમાં કોરોના મહામારીને કારણે સંગઠનની ચૂંટણીઓ મુલતવી રાખી છે.તાજેતરના સમયમાં જયરામ રમેશે પાર્ટી છોડનારા નેતાઓ જયોતિરાદિત્ય સિંધિયા અને જતિન પ્રસાદ પર પ્રહાર કરતા જયરામ રમેશે એ કહ્યું કે, જે યુવાનોએ પાર્ટી છોડી દીધી છે તેઓને જન્મથી વિશેષાધિકાર પ્રાપ્ત છે. તેમને પાર્ટીમાં સારા પદ મળ્યા છે. અમને છોડનારા દરેક સિંધિયા માટે કોંગ્રેસના હજારો કાર્યકરો પાર્ટી માટે લડ્યા હતા.તેમણે કહ્યું કપડા બદલો એમ પાર્ટી ન બદલી શકાય.

(11:40 am IST)