Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ટિકાકારોને અમિતાભ બચ્ચનકહ્યું કામ કરવાથી ધન મળે છે

દેશના મહાનાયકની એક જાહેરાતને લઈને વિવાદ : કમલા પસંદની જાહેરાત કરવા પર બચ્ચન પર યુઝર્સે સવાલ કરતા મહાનાયકે સોમ્યતાપૂર્વક જવાબ આપ્યો

નવી દિલ્હી, તા.૧૭ : મહાનાયક અમિતાભ બચ્ચનના એક વિજ્ઞાપનને લઈ ભારે વિવાદ જાગ્યો છે. તેમણે રણવીર સિંહ સાથે મળીને કમલા પસંદ પાન મસાલાની જાહેરાત કરી છે. આ વિજ્ઞાપનના કારણે અમિતાભ બચ્ચને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર આ અંગે જવાબ આપ્યો છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેઓ સતત ફેસબુક અને ટ્વીટર પર પોસ્ટ કરતા રહે છે. તાજેતરમાં તેમણે 'સમય' સાથે સંકળાયેલી એક પોસ્ટ કરી હતી જેના પર ફેન્સ સતત કોમેન્ટ્સ કરી રહ્યા છે. આ બધા વચ્ચે એક યુઝરે બીગ બીને પાન મસાલાની એડ કરવા અંગે સવાલ કર્યો હતો જેનો અમિતાભ બચ્ચને જવાબ આપ્યો છે. અમિતાભ બચ્ચને ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, એક ઘડિયાળ ખરીદીને કાંડે શું બાંધી લીધી, સમય મારી પાછળ જ પડી ગયો!' એક યુઝરે તેની કોમેન્ટમાં લખ્યું હતું કે, પ્રણામ સર, ફક્ત એક સવાલ પુછવો છે તમને. શું જરૂર છે કે તમારે પણ કમલા પસંદ પાન મસાલાની જાહેરાત કરવી પડી? પછી શું તફાવત રહ્યો તમારામાં અને આ ક્ષુદ્રોમાં?

તેના જવાબમાં અમિતાભ બચ્ચને લખ્યું હતું કે, માન્યવર, ક્ષમા પ્રાર્થુ છું, કોઈ પણ વ્યવસાયમાં જો કોઈનું ભલું થઈ રહ્યું છે, તો એ ન વિચારવું જોઈએ કે આપણે એના સાથે શા માટે જોડાઈ રહ્યા છીએ. હા જો વ્યવસાય છે તો તેમાં આપણે પણ આપણા વ્યવસાય અંગે વિચારવું પડે છે. હવે તમને એમ લાગે છે કે મારે આ નહોતું કરવું જોઈતું પરંતુ તેને કરવાથી મને પણ ધનરાશિ મળે છે. ઉપરાંત અમારી ઈન્ડસ્ટ્રીમાં જે અનેક લોકો કામ કરી રહ્યા છે, જે કર્મચારીઓ છે તેમને પણ કામ મળે છે અને ધન પણ. માન્યવર ટટપૂંજિયા (ક્ષુદ્ર) શબ્દ તમારા મોઢે શોભતો નથી અને અમારા વ્યવસાયના અન્ય કલાકારોને પણ નથી શોભતો. આદર સહિત નમસ્કાર કરૂ છું.

 

(12:00 am IST)