Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

EDના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવવા કેન્દ્ર સરકારનો નિર્ણય

સત્તાવાર આદેશ અનુસાર મિશ્રાનો કાર્યકાળ 18 નવેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવ્યો

નવી દિલ્હી :  કેન્દ્ર સરકારે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે.આ સંબંધમાં જારી કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર મિશ્રાનો કાર્યકાળ 18 નવેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં ઇડીના ડિરેક્ટર સંજય મિશ્રા છે.તેમનો કાર્યકાળ આ સપ્તાહમાં પૂર્ણ થઇ રહ્યો હતો હવે વટહુકમ બહાર પાડીને સરકારે તેમનો કાર્યકાળને વધારી દીધો છે.

14 નવેમ્બરના રોજ, કેન્દ્ર સરકારે ED અને CBI (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) ના નિર્દેશકોના કાર્યકાળને પાંચ વર્ષ સુધી લંબાવવા સંબંધિત બે વટહુકમ બહાર પાડ્યા હતા. હાલમાં આ બંને કેન્દ્રીય તપાસ એજન્સીઓના ડિરેક્ટરનો કાર્યકાળ માત્ર બે વર્ષનો છે.

આ વટહુકમ સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાના થોડા દિવસો પહેલા આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ વટહુકમને મંજૂરી આપી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે આને લગતું બિલ સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. 29 નવેમ્બરથી શિયાળુ સત્ર શરૂ થશે.

(12:00 am IST)