Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

૪૦ સુધી પહોંચી ગયેલા ઓકિસજન લેવલને ડોકટરોએ જીવ જોખમમાં મૂકી ૯૩ સુધી પહોંચાડ્યું : બચ્યો દર્દીનો જીવ

રાંચી,તા. ૧૯: ડોકટરોને અમથા ધરતીના ભગવાન નથી કહેવાતા, કોરોનાકાળમાં જયાં કરોડો લોકોના જીવ જોખમમાં છે ત્યાં નર્સિંગ સ્ટાફ, ડોકટરો પોતાના જીવના જોખમે લોકોની જિંદગીની ડોર સંભાળી રહ્યા છે. રાંચીની હોસ્પિટલમાં ડોકટરોએ પોતાના જીવ પર ખેલીને એક મહિલાનું જીવન બચાવ્યું. ૫૭ વર્ષની મહિલાનું ઓકિસજન લેવલ ૪૦ પર પહોંચી ગયું હતું પરંતુ ડોકટરોના અથાગ પ્રયત્નોથી તે હાલ ૯૩ પર પહોંચી ગયું છે.

કોરોના સંક્રમિત મહિલાની સ્થિતિ સતત ખરાબ થઈ રહેવાના કારણે તેને ઓકિસજન બેડ પર રાખવામાં આવી હતી. ત્યારબાદ માસ્ક વેલ વેન્ટિલેટર પર શિફ્ટ કરાઈ. આમ છતાં મહિલાનું ઓકિસજન લેવલ સતત નીચે જતું હતું. મહિલાનો એબીજી ટેસ્ટ કરાવ્યો તો ખબર પડી કે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. પરંતુ ડોકટરોએ હાર ન સ્વીકારી. તેઓ સતત મહિલાને બચાવવાની કોશિશ કરતા રહ્યા.

આઈસીયુના ડોકટરોની પેનલે ચર્ચા કરી જેમાં એવું તારણ કાઢ્યું કે જો જલદી કઈ ન થયું તો મહિલા બસ ગણતરીની મિનિટોની મહેમાન છે. કોરોના સંક્રમિત મહિલાનો જીવ બચાવવા માટે ડોકટરોએ ખુબ જ કપરો નિર્ણય લીધો. નક્કી કરાયું કે મહિલાના મોઢાના રસ્તે ટ્યૂબ નાખીને ઈનવેસિવ વેન્ટિલેટર પર નાખવામાં આવે. આ અગાઉ આ રીતે હોસ્પિટલમાં કોઈની સારવાર થઈ નહતી. આમ છતાં જોખમ લઈને આઈસીયુમાં તૈનાત ડોકટર રાજકુમાર, ડો. અજીતકુમાર અને ડો.વિકાસ વલ્લભે સમયસર પ્રક્રિયા પૂરી કરી. આખરે મહિલાનું ઓકિસજન લેવલ ૪૦થી ૯૩ પર પહોંચી ગયું.

મહિલાનો જીવ બચાવવા માટે ડોકટરોએ પોતાના જીવ જોખમમાં નાખ્યા. આ પ્રક્રિયા દરમિયાન ટ્યૂબ મહિલાના મોઢા, ગળાથી થઈને ફેફસા સુધી પહોંચાડવાની હતી. આ પ્રક્રિયાને અંજામ આપનારા ડોકટરો સંક્રમિત થઈ શકે તેમ હતા. પરંતુ ડોકટરોએ તમામ પડકારોનો સામનો કરીને મહિલાનો જીવ બચાવ્યો.

(10:09 am IST)