Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

નારદા સ્ટિંગ ટેપ કેસને રાજ્યની બહાર તબદીલ કરવા સીબીઆઈની અરજી : મમતાને પણ પક્ષકાર બનાવાયા

કાર્યાલયની બહાર મુખ્યમંત્રી દ્વારા ધરણાને લીધે અસાધારણ પરિસ્થિતિ ઉભી થઈ: સીબીઆઈ

કોલકતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ને કાયદા પ્રધાન મલય ઘટકને કોલકત્તા હાઈકોર્ટમાં દાખલકરાયેલ સીબીઆઈની અરજીમાં પક્ષકાર બનાવવામાં આવ્યા છે. જેમાં નારદા સ્ટિંગ ટેપ કેસને રાજ્યની બહાર તબદીલ કરવા વિનંતી કરવામાં આવી છે.

આ કેસમાં આજે અઢી કલાક સુધી સુનવણી ચાલી હતી. તેની બાદ હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ રાજેશ બિંદલની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેંચે ગુરુવારે બપોરે 2 વાગ્યે આ કેસમાં સુનાવણીનો સમય નક્કી કર્યો છે. આ બેંચ પશ્ચિમ બંગાળના પ્રધાન સુબ્રત મુખર્જી અને ફિરહાદ હાકીમ, તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મદન મિત્રા અને કોલકત્તાના ભૂતપૂર્વ મેયર શોભન ચેટરજીની અરજીઓની પણ સુનાવણી કરશે.

જેમાં સીબીઆઈ કોર્ટે નારદા સ્ટિંગ કેસમાં તેમની ધરપકડ સંદર્ભે આપવામાં આવેલી જામીન પર સ્ટે મુક્યો છે.જેમા જામીન પર સ્ટે લાદવાનો હુકમ પરત ખેંચવા વિનંતી કરવામાં આવી છે.

મમતા બેનર્જી અને કાયદા મંત્રી મલય ઘટક ઉપરાંત તપાસ એજન્સીએ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને વકીલ કલ્યાણ બેનર્જીને પણ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં પોતાના પક્ષકાર બનાવ્યા છે.

સીબીઆઈ વતી ભારતના સોલિસીટર જનરલ તુષાર મહેતાએ સોમવારે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલ અને ન્યાયાધીશ અરિજિત બેનર્જીની ડિવિઝન બેંચને કહ્યું હતું કે સીબીઆઇ કાર્યાલયની બહાર મુખ્યમંત્રી દ્વારા ધરણાને લીધે અસાધારણ પરિસ્થિતિ ઉભી થઈ છે. સીબીઆઈએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે પશ્ચિમ બંગાળના કાયદા પ્રધાન ભીડની સાથે કોર્ટમાં હાજર હતા જ્યાં આરોપીઓને રજુ કરવાના હતા.

એજન્સીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા નેતાઓના અનેક સમર્થકોએ અહીં નિઝામ પેલેસમાં સીબીઆઈ ઑફિસનો ઘેરાવ કર્યો હતો અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાના હતા તેવા અધિકારીઓને બહાર જવા દીધા ન હતા. તેની બાદમાં સોમવારે આરોપીઓને ડિજિટલ માધ્યમ દ્વારા સીબીઆઈની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા.

(12:13 am IST)