Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

પાટા ઓળંગતા વૃધ્ધને લોકો-પાયલોટે બચાવ્યા

મુંબઈના કલ્યાણમાં પ્રશંસાને લાયક બનાવ : ચક્કર આવતાં વૃધ્ધ ટ્રેનના પાટા પર પડી ગયા, એન્જિનના આગળના ભાગમાં આવી જતાં ફસાયા, આબાદ બચાવ

મુંબઈ, તા.૧૯ : કલ્યાણમાં એક લોકો-પાયલોટની સૂઝબૂઝના કારણે ૭૦ વર્ષીય વ્યક્તિનો જીવન બચી ગયો છે. વૃદ્ધ ટ્રેનના પાટા ઓળંગી રહ્યા હતા અને એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક ચક્કર આવતાં તે ટ્રેનના પાટા પર પડી ગયા હતા. દરમિયાન સામેથી મુંબઈ-વારાણસી ટ્રેન આવી ગઈ, જેથી વૃદ્ધ એન્જિનના આગળના ભાગમાં આવી જતાં ફસાઈ ગયા હતા. જોકે વૃદ્ધને પડતા જોઈને ટ્રેનના લોકો-પાયલોટે યોગ્ય સમયે બ્રેક મારી દીધી હતી અને વૃદ્ધનો જીવ બચાવ્યો હતો. સેન્ટ્રલ રેલવેના જણાવ્યા અનુસાર, ઘટના રવિવારે બપોરે ૧૨.૪૫ વાગ્યે બની હતી. થાણે જિલ્લાના કલ્યાણ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મથી ટ્રેન આગળ વધી રહી હતી. ટ્રેનની ગતિ નિયંત્રણ હેઠળ હતી અને લોકો-પાયલોટ એસ.કે. પ્રધાન સતર્ક બન્યા હતા, જેથી વૃદ્ધાને બચાવી શકાયા. તેમની ઓળખ હરિ શંકર તરીકે થઈ છે.

એસ.કે.પ્રધાને જણાવ્યું કે ટ્રેન કલ્યાણ સ્ટેશનથી નીકળી જતાં સીપીડબલ્યુઆઈ સંતોષ કુમારે વાયરલેસ પર જણાવ્યું હતું કે એક વૃદ્ધ વ્યક્તિ પાટા પર પડી ગઈ છે. અમારી નજર જાય ત્યાં સુધીમાં તો ટ્રેન તેની નજીક પહોંચી ગઈ હતી. પછી મેં અને સહાયક લોકો-પાયલોટ રવિશંકરે કાળજીપૂર્વક ઇમર્જન્સી બ્રેક મારી દીધી હતી અને ટ્રેનને યોગ્ય સમયે અટકાવી દીધી હતી. જો થોડીક સેકન્ડનો વિલંબ થયો હોત તો દુર્ઘટના સર્જાઈ ગઈ હોત. એન્જિનના આગળના ભાગમાં ફસાયેલી વૃદ્ધ વ્યક્તિને નજીવી ઇજા થઈ છે. હાલ તે ફિટ છે અને તેના ઘરે જઇ ચૂક્યા છે.

ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આમાં વૃદ્ધ ટ્રેનના એન્જિનના આગળના ભાગમાં ફસાયેલા જોવા મળે છે.

વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જો ટ્રેનનું પૈડું થોડું આગળ વધી ગયું હોત તો વૃદ્ધોને બચાવવા મુશ્કેલ થઈ ગયું હોત. ઘટના બાદ સેન્ટ્રલ રેલવેએ લોકોને સલાહ આપી હતી કે તેઓ રેલવે પાટા ઓળંગી જાય અને ચેતવણી આપી કે જીવલેણ સાબિત થઈ શકે છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે બે લોકો-પાયલોટ્સ અને સીપીડબ્યુઆઈને રૂપિયા બે-બે હજારનું ઇનામ જાહેર કર્યું છે.

(7:45 pm IST)