Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

રાજકારણમાં ઘણા સોપારી એજન્ટ છે : રવિશંકર પ્રસાદ

જાસૂસી કાંડમાં કોંગ્રેસના આક્ષેપોનું ખંડન કરતું ભાજપ : ભાજપના પ્રવક્તાએ કેટલાક આ પ્રકારના ખોટા સમાચાર ફેલાવીને સરકારની છબિ ખરડી રહ્યાનો આક્ષેપ કર્યો

નવી દિલ્હી, તા.૧૯ : કોંગ્રેસ તરફથી સરકાર પર કથિત પેગાસસ પ્રોજેક્ટ ચલાવવાના આરોપને ભાજપે પાયાવિહોણા ગણાવ્યા છે. ભાજપના પ્રવક્તા રવિ શંકર પ્રસાદે કહ્યુ કે, આ આરોપ તથ્યો વગરના છે.

રવિ શંકર પ્રસાદે કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટીનો ઈતિહાસ હંમેશાથી પાયાવિહોણા આરોપ લગાવવાનો રહ્યો છે. હરિયાણાના બે સિપાહી રાજીવ ગાંધીની આસપાસ જોવા મળ્યા તો તેમણે કેન્દ્રમાં ચંદ્રશેખરની સરકાર પાડી દીધી હતી. તેમણે કહ્યું કે, ભાજપ કોંગ્રેસના તમામ આરોપોને નકારે છે.

તેમણે સવાલ ઉઠાવ્યો કે શું ભારતની રાજનીતિમાં કેટલાક લોકો સોપારી એજન્ટ છે? જે આ પ્રકારના ખોટા સમાચાર ફેલાવી પોતાના દેશની છબિ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીનું સ્તર એવું થઈ ગયું છે શું કહેવું. તે સરકાર પાસે ઉરી સર્જિકલ સ્ટ્રાઇક પર પૂરાવા માંગે છે. ગલવાન પર અત્યાર સુધી જે કહે છે તે બધાની સામે છે.

રવિશંકર પ્રસાદે કોંગ્રેસને સવાલ કર્યો કે નાણામંત્રી રહેલા પ્રણવ મુખર્જીએ તે સમયે ગૃહમંત્રી ચિદમ્બરમ વિરુદ્ધ સ્નૂપિંગનો આરોપ લગાવ્યો હતો. તે વિશે કોંગ્રેસનું શું કહેવું છે.

વર્ષ ૨૦૧૩માં હજારો લોકોના ફોન ટેપ થતા હતા. તે વિશે કોંગ્રેસ શું કહે છે. તે મોટી સાત છે કે કથિત પેગાસસ પ્રોજેક્ટનો મામલો ચોમાસુ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા કેમ સામે આવ્યો.

પ્રસાદે કહ્યુ કે, ફોન ટેપિંગના નામ પર ઇરાદાપૂર્વક ગૃહમાં ખલેલ પહોંચાડવા અને પાયાવગરનો એજન્ડા ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસનું પતન થઈ રહ્યું છે. સુપ્રીમમાં કેસ કરાવવામાં આવ્યો. કહેવામાં આવ્યું કે વોટ્સએપને પેગાસસથી હેક કરાવવામાં આવી રહ્યું છે. જ્યારે આમ થઈ શકે નહીં. ખુદ વોટ્સએપે પણ સુપ્રીમ કોર્ટમાં આ વાત કહી હતી.

રવિશંકર પ્રસાદે કહ્યું કે, ભારતમાં મજબૂત કાયદાકીય માળખુ છે. જે લોકો સરકાર પર ફોન સર્વિલાન્સનો આરોપ લગાવી રહ્યાં છે. તે પણ વિશ્વાસ સાથે પૂરાવા આપી રહ્યાં નથી. તેમ લાગે છે કે દુનિયામાં ઉભરી રહેલા ભારત વિરુદ્ધ એક માહોલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં જે ઝડપની સાથે વેક્સિનેશન વધી રહ્યું છે.

તેનાથી કેટલાક લોકોને મુશ્કેલી થઈ રહી છે કે ભારત કઈ રીતે આ કરી રહ્યું છે. ઘણા લોકોને તે વાતથી પણ મુશ્કેલી છે કે ભારતમાં સૌધી વધુ વિદેશી રોકાણ થઈ રહ્યું છે.

(9:03 pm IST)