Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

મહારાષ્ટ્રમાં આગામી 15 દિવસ પડકારજનક : ગણેશોત્સવ બાદ મુંબઈ આવતા લોકો માટે 266 કોરોના ટેસ્ટીંગ સેન્ટર તૈયાર

મુંબઈમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં પણ ગણેશોત્સવ બાદ સંક્રમણ વધવાનો ભય

મુંબઈ : ગણેશોત્સવ દરમિયાન મુંબઈથી ઘણા લોકો પોતપોતાના ગામ ગયા હતા. હવે તે બધા લોકો પાછા ફરવાના છે. ગયા વર્ષે પણ ગણેશોત્સવ બાદ મુંબઈમાં કોરોના ફેલાયો હતો. આ સાથે લોકો મુંબઈથી જ્યાં પણ ગયા હતા, તે સ્થળોએ પણ કોરોના સંક્રમણ વધ્યુ હતું. અહીં નિષ્ણાતો દ્વારા કોરોનાની ત્રીજી લહેરનો  ભય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈ અને મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો છે. વચ્ચે-વચ્ચે, જ્યારે કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યાની તુલનામાં કોરોના સંક્રમિતના નવા કેસ વધારે આવે છે, ત્યારે ચિંતા વધી જાય છે. ગણેશ વિસર્જન  રવિવારે (19 સપ્ટેમ્બર) છે. આવી સ્થિતિમાં કોરોના સંક્રમણના દૃષ્ટિકોણથી આવનારા 15 દિવસો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ જ કારણ છે કે કોરોનાનું પરીક્ષણ વધારવામાં આવ્યું છે. મુંબઈમાં બહારથી આવતા લોકો માટે RTPCR ટેસ્ટ કરાવવા માટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા એક ઉપાય શોધવામાં આવ્યો છે. ગત વર્ષે ગણેશોત્સવ દરમિયાન બજારોમાં ખરીદી માટે ભારે ભીડ હતી, જ્યારે આ વર્ષે ગણેશોત્સવ દરમિયાન હળવા – મળવાનું વધારે થયુ છે.

ગણેશોત્સવ માટે તેમના વતન ગામમાં જતા મોટાભાગના લોકો કોંકણ પ્રદેશ (સિંધુદુર્ગ, રત્નાગિરી જિલ્લા)ના હોય છે. આમાંથી જેટલા પણ લોકો મુંબઈ પરત ફરશે, તેમાંથી દરેકનું ટેસ્ટીંગ થવું આવશ્યક છે. આ કારણથી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ 266 સ્થળોએ કોરોના ટેસ્ટીંગ સેન્ટરો શરૂ કર્યા છે.

 

મુંબઈમાં હાલમાં 4,658 લોકો કોરોનાના સક્રિય દર્દીઓ છે. સંક્રમણનો ગ્રોથ રેટ પ્રતિદિન 0.06 ટકા છે. દરરોજ 400થી 450 નવા કેસ નોંધાય છે. કોરોનાથી મૃત્યુઆંકમાં પણ ભારે ઘટાડો થયો છે. પરંતુ કોરોનાની ત્રીજી લહેરની આશંકાને જોતા મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સંપૂર્ણપણે તૈયાર છે. આ સાથે નગરપાલિકાએ સામાન્ય લોકોને પણ તકેદારી અને સાવચેતી રાખવા અપીલ કરી છે.

ગણેશોત્સવના આગામી 15 દિવસ ખૂબ મહત્વના રહેશે. આ કારણે મુંબઈમાં બહારથી આવતા તમામ લોકોનું પરીક્ષણ કરવું જરૂરી છે. રેલવે દ્વારા આવતા લોકોનું પરીક્ષણ સરળ છે. પરંતુ જે લોકો બાય રોડ આવે છે, તેમને ટ્રેસ કરવા અને તેમનુ ટેસ્ટીંગ કરવું થોડું મુશ્કેલ બની જાય છે.

આવી સ્થિતિમાં બીએમસી (BMC)એ સમગ્ર શહેરમાં 266 પરીક્ષણ કેન્દ્રો શરૂ કર્યા છે. અહીં કોરોના ટેસ્ટ મફતમાં કરવામાં આવી રહ્યો છે. બીએમસી (BMC)ની અપીલ છે કે બહારથી આવતા લોકોએ આ પરીક્ષણ કેન્દ્રો પર જવું જોઈએ અને તેમનો કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ. આ માહિતી બીએમસીના અધિક કમિશ્નર સુરેશ કાકાણીએ આપી છે.

(1:12 am IST)