Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

સેનાના જવાને પત્નીનું અફેર હોવાની શંકાએ હત્યા કરી

હરિયાણાના સોનીપત જિલ્લાનો બનાવ : પોલીસ પાસે કબૂલ્યું કે પત્નીની ચાલચલગત યોગ્ય નહોતી જેથી અફેરની શંકાએ પતિએ આ પગલું ભર્યું હતું

ચંડીગઢ,તા.૧૯ : હરિયાણાના સોનીપત જિલ્લામાં પતી દ્વારા પત્નીની હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જિલ્લાના મયૂર વિહારમાં રહેનારા બલરાજ નામના એક્સ સર્વિસમેને પોતાની પત્નીનું ગળું દબાવી તેની હત્યા કરી દીધી અને લાશને મેરઠમાંથી પસાર થતી કેનાલમાં ફેંકી દીધી. જોકે, પોલીસે મૃતકની બહેનની ફરિયાદના આધારે ૨૮ ઓગસ્ટે તેની ગુમ થવાની ફરિયાદ નોંધી હતી. પરંતુ પોલીસે સઘનતાથી તપાસ કરતાં સીસીટીવી મદદથી આ સમગ્ર મામલાનો ખુલાસો કર્યો કે બલરાજે જ પોતાની પત્નીની હત્યા કરી હતી. નોંધનીય છે કે, સોનીપતના મયૂર વિહારમાં રહેનારા એક્સ સર્વિસમેન બલરાજે પોતાની પત્ની લલિતાના ચારિત્ર પર શંકા હતી.

       તેણે ૨૮ ઓગસ્ટની રાત્રે પહેલા ગળું દબાવીને પત્નીની હત્યા કરી દીધી અને બાદમાં તેને બાઇક પર ટ્રોલી લગાવીને તેની લાશને મેરઠમાંથી પસાર થતી ગંગ કેનાલમાં ફેંકી દીધી. ત્યારબાદ તે પોતાના ઘરે પરત આવી ગયો. મૃતકા લલિતાની બહેન બબીતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેની બહેન અને બહેનનો દીકરો ઘણા દિવસથી ગુમ છે. જેની પર સોનીપત પોલીસે સઘનતાપૂર્વક તપાસ કરતાં ઘરની આસપાસ લાગેલા સીસીટીવી તપાસવાનું શરુ કરી દીધું. સમગ્ર મામલાનો ખુલાસો થયો છે કે બલરાજે જ પોતાની પત્ની લલિતાની હત્યા કરી તેની લાશને ઠેકાણે લગાડી દીધી છે.

                 શનિવારે સોનીપત પોલીસે બલરાજની ધરપકડ કરી દીધી છે. આ સમગ્ર મામલાની જાણકારી આપતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મુકેશ કુમારે જણાવ્યું કે અમને ૨૭-૨૮ ઓગસ્ટે ગામ જોલીની રહેવાસી એક મહિલાએ ફરિયાદ આપી હતી કે તેની બહેન અને ભાણીયો ગુમ થઈ ગયા છે. આ સમગ્ર મામલામાં અમે સઘન તપાસ કરી અને સીસીટીવી ફુટેજની તપાસ કરતાં સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે. પોલીસે જણાવ્યું કે, બલરાજે જ પોતાની પત્ની લલિતાની હત્યા કરી અને લાશે ગંગ કેનાલમાં ફેંકી દીધી છે. હત્યા પાછળનું કારણ સામે આવી રહ્યું છે કે બલરાજને પોતાની પત્નીના ચારિત્ર પર શંકા હતી. તેથી તેણે તેની હત્યા કરી દીધી. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. બલરાજ રાજ રાઇફલથી સેવાનિવૃત્ત છે.

(7:38 pm IST)