Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ફલેટમાં ચુલાના ધુમાડાને કારણે માતા અને ચાર બાળકોનાં મોત

દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં આવેલા શાહદરામાં રૂમમાં ચુલાના ઝેરી ધુમાડાના કારણે ૩૦ વર્ષીય માતા અને તેના ચાર બાળકોનાં મોત નિપજ્યા

નવી દિલ્હી,તા. ૨૦ : દેશની રાજધાની દિલ્હીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં આવેલાં શાહદરામાં રૂમમાં ચુલાના ઝેરી ધુમાડાના કારણે ૩૦ વર્ષીય માતા અને તેના ચાર બાળકોનાં મોત નિપજયા છે. રૂમમાં વેન્ટિલેશન ન હોવાને કારણે ધુમાડો બહાર નીકળી શકયો ન હતો, જેથી શ્વાસ રુંધાવાને કારણે તમામ લોકોનાં મોત નિપજયા હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. જો કે, પોલીસે કહ્યું કે, પોસ્ટમાર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણવા મળી શકે છે.

પોલીસના જણાવ્યા અનુસાર બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ પીસીઆર પર કોલ મળ્યો હતો કે સીમાપુરી વિસ્તારમાં એક રૂમમાં ચારથી પાંચ લોકો બેભાન હાલતમાં પડ્યા છે. સીનિયર પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, દ્યટનાસ્થળે પહોંચ્યા બાદ મહિલા અને ત્રણ બાળકો મૃત હાલતમાં મળ્યા હતા. જયારે ચોથા અને સૌથી નાના બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પણ ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પોલીસ અધિકારીએ કહ્યું કે, પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ૩૫ વર્ષીય મોહિત કાલિયા પોતાની પત્ની રાધા અને ચાર સંતાનો સાથે ભાડાના એક મકાનમાં રહેતો હતો. તેને સંતાનોમાં બે દીકરીઓ (૧૧ વર્ષ અને ૪ વર્ષ) અને બે દીકરાઓ (૮ વર્ષ અને ૩ વર્ષ) હતા. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (શાહદરા) આર. સત્યસુંદરમે જણાવ્યું કે, આ ફ્લેટ શાલિમાર ગાર્ડનમાં રહેતાં ૬૦ વર્ષીય અમરપાલ સિંહનો હતો.

પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, રૂમની અંદર ચુલો સળગાવવાને કારણે તમામ લોકોનાં મોત શ્વાસ રૃંધાવાના કારણે થયા છે. ભારે ઠંડી અને રૂમમાં વેન્ટિલેશન ન હોવાને કારણે ધુમાડો બહાર નીકળી શકયો ન હતો. પણ પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં જ મોતનું સાચું કારણ જાણવા મળશે. જો કે પત્ની અને ચાર સંતાનોના મોત થવાથી મોહિતના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. અને આ કિસ્સાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી હતી.

(10:06 am IST)