Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

વાંઝિયાપણું છૂટાછેડાનો આધાર ન બની શકેઃ પત્‍નિને છોડવી એ માનસિક ક્રુરતા

કોલકાતા હાઇકોર્ટે ડિવોર્સ મામલે એક મોટો ચુકાદો આપ્‍યો

કોલકતા, તા.૨૦: હાઈકોર્ટે ડિવોર્સ મામલે એક મોટો ચુકાદો આપ્‍યો છે. કોર્ટે કહ્યું કે મહિલાનું વાંઝિયાપણું છૂટાછેડાનો આધાર બની શકે નહીં. આ સાથે જ કોર્ટે એ સ્‍પષ્ટ પણ કર્યું કે વાંઝિયાપણાના કારણે મેન્‍ટલ અને ફિઝિકલ હેલ્‍થ સંબંધિત સમસ્‍યાઓ સામે ઝઝૂમી રહેલી પત્‍નીને છોડવી એ ‘માનસિક ક્રુરતા'ના દાયરામાં આવશે. કોર્ટે પતિ દ્વારા દાખલ કરાયેલી છૂટાછેડાની અરજીને પણ રદ્દ કરી દીધી છે.

મીડિયા રિપોર્ટ્‍સ મુજબ સુનાવણી કરતા જસ્‍ટિસ શમ્‍પા દત્ત (પોલ) ની કોર્ટે કહ્યું કે માતા પિતા બનવાના અનેક વિકલ્‍પ છે. એક જીવનસાથીએ આ પરિસ્‍થિતિઓમાં સમજવું પડશે. કારણ કે એક સાથે જ પોતાના બીજા સાથીની માનસિક, શારીરિક શક્‍તિને પાછી લાવવામાં મદદ કરી શકે છે. આ રીતે મધદરિયે વાંઝિયાપણાને છૂટાછેડાનો આધાર બનાવી શકાય નહીં. અત્રે જણાવવાનું કે ૬ વર્ષ પહેલા એટલે કે ૨૦૧૭માં એક પતિએ પત્‍નીથી અલગ થવા માટે છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. જેનો મુદ્દો હતો કે હવે તેની પત્‍ની કયારેય માતા બની શકે તેમ નથી. આ મામલે સુનાવણી થઈ.

પતિએ કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી તો પત્‍નીએ પણ બેલિયાઘાટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. પત્‍નીએ પતિ વિરુદ્ધ માનસિક, શારીરિક ઉત્‍પીડન અને ક્રુરતાની કલમો હેઠળ કેસ દાખલ કર્યો. ત્‍યરાબાદથી મામલો કોર્ટમાં વિચારણા હેઠળ રહ્યો. પત્‍નીના વાંઝિયાપણાના કારણે પતિ તેને છૂટાછેડા આપવા માંગતો હતો. કોર્ટમાં પત્‍નીએ જણાવ્‍યું કે સમય પહેલા માસિક ધર્મ બંધ થવાના કારણે તે મેન્‍ટલ હેલ્‍થ ઈશ્‍યુ સામે ઝઝૂમી રહી છે. બધુ જાણવા છતાં પતિ છૂટાછેડા ઈચ્‍છે છે.

બીજી બાજુ કોર્ટે પણ સ્‍પષ્ટ કર્યું કે મહિલાનું વાંઝિયાપણુ તલાકનો આધાર બની શકે નહીં. આ સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે વાંઝિયાપણાના કારણે મેન્‍ટલ અને ફિઝિકલ હેલ્‍થ સંબંધિત સમસ્‍યાઓ સામે ઝઝૂમી રહેલી પત્‍નીને છોડવી એ ‘માનસિક ક્રુરતા'ના દાયરામાં આવશે. આ સાથે જ પતિના છૂટાછેડાના કેસને પણ ફગાવી દીધો. અત્રે જણાવવાનું કે દંપત્તિના લગ્નને ૯ વર્ષ થઈ ગયા છે. મહિલા વ્‍યવસાયે ટીચર છે. મહિલાની બેંગ્‍લુરુની નેશનલ ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ મેન્‍ટલ હેલ્‍થ એન્‍ડ ન્‍યૂરોસાયન્‍સિસમાં ટ્રિટમેન્‍ટ પણ ચાલુ છે.

(3:35 pm IST)