Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

૮૦૦૦ ગુજરાતી યમનોત્રીમાં અટવાયાઃ હોટેલવાળાઓએ શરૂ કરી લૂંટ

ઉત્તરાખંડના રાણાચટ્ટીમાં થયેલા ભૂસ્‍ખલનના કારણે વાહન-વ્‍યવહાર અટકાવી દેવાની ફરજ પડી હતી

દહેરાદુન, તા.૨૦: કોરોનાના કારણે અટકી પડેલા ચારધામની યાત્રા આ વર્ષે ફરી શરુ કરવામાં આવી છે, આ વર્ષે ચારધામની યાત્રા પર મોટી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. જેમાં ગુજરાતીઓની પણ મોટી સંખ્‍યામાં છે. ઉત્તરાખંડના યમનોત્રી ગયેલા યાત્રાળુઓ ભૂસ્‍ખલના લીધે અટવાઈ પડ્‍યા છે. ભૂસ્‍ખલથી રસ્‍તાને નુકસાન થતા ગુજરાતના ૮૦૦૦ જેટલા યાત્રાળુઓ ફસાયા હોવાનો ચોંકાવનારો આંકડો રિપોર્ટ્‍સમાં સામે આવી રહ્યો છે. જેમાં ભાવનગરના ૩૦૦ યાત્રાળુઓનો પણ સમાવેશ થાય છે. યાત્રાળુઓ ફસાયા છે ત્‍યારે તેમની મદદ કરવાના બદલે હોટલ અને રેસ્‍ટોરન્‍ટના સંચાલકો આંધળી લૂંટ કરી રહ્યા છે. આ યાત્રાળુઓ સરકાર પાસે મદદ માગી રહ્યા છે.

યમનોત્રીમાં રાણાચટ્ટી પાસે ભૂસ્‍ખલનની ઘટના બન્‍યા બાદ ત્‍યાંથી પસાર થઈ રહેલા યાત્રાળુઓ અટવાઈ પડ્‍યા હતા. હાલ આ યાત્રાળુઓ સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ આ કપરી પરિસ્‍થિતિમાં ફસાયેલા લોકો પાસેથી હોટલ અને રેસ્‍ટોરન્‍ટના સંચાલકો દ્વારા રહેવા અને પાણી માટે ઊંચી કિંમત વસૂલવામાં આવી રહી છે. હોટલના સામાન્‍ય ભાડાને વધારે ૫૦૦૦ કરી દેવામાં આવ્‍યું છે જ્‍યારે ૨૦ રૂપિયામાં મળતી પાણીની બોટલના ૫૦ રૂપિયા વસૂલવામાં આવી રહ્યા હોવાનો યાત્રાળુઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

યાત્રાળુઓનો એક વીડિયો સામે આવ્‍યો છે જેમાં એક યાત્રાળુ દાવો કરી રહ્યા છે કે ગુજરાતથી લગભગ ૧૦,૦૦૦ લોકો આવ્‍યા હતા અને અકસ્‍માતના કારણે તેઓ ફસાઈ ગયા છે. હોટલમાં એક વ્‍યકિતના રહેવાના ૨૫૦૦થી ૩૦૦૦ રૂપિયાની માગણી કરવામાં આવતી હોવાના આક્ષેપો તેમણે કર્યા છે. ખાવા-પીવાના ભાવમાં પણ વધારો કરી દેવામાં આવ્‍યો છે. ઉત્તરાખંડની સરકાર કે પોલીસ દ્વારા મદદ કરવામાં ના આવી રહી હોવાના આક્ષેપ પણ યાત્રાળુઓએ કર્યા છે.

ઉત્તરાખંડના રાણાચટ્ટીમાં થયેલા ભૂસ્‍ખલનના લીધે રસ્‍તો બંધ થઈ ગયો છે જેના લીધે બસોની અવર-જવર અટકાવી દેવામાં આવી છે. અહીં ગુજરાત સિવાય દેશભરના અન્‍ય અટવાયેલા મુસાફરોએ પણ પોતાની સાથે આંધળી લૂંટ થઈ રહી હોવાના આક્ષેપો કર્યા છે. ગુજરાતના યાત્રાળુઓ દ્વારા રાજ્‍ય સરકાર તેમને મદદ કરે તેવી અપીલ કરી છે.

બીજી તરફ વાહન-વ્‍યવહાર ફરી શરુ થઈ શકે તે માટે યુદ્ધના ધોરણે રસ્‍તાનું રિપેરિંગ કામ પણ કરવામાં આવી રહ્યું છે. જોકે, નુકસાન મોટું હોવાથી સમારકામમાં કેટલો સમય લાગશે તે અંગે કોઈ વિગતો સામે આવી નથી.

(4:11 pm IST)