Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

પગના ઘુંટણના દુઃખાવાથી રાહત મેળવવા નટસ, લીલા પાંદડાવાળા, શાકભાજી-દુધ-ફળ-આદુ અને હળદર ખૂબ જ ફાયદાકારક

ઘરગથ્‍થુ ઉપચાર કરીને પણ દુઃખાવામાંથી રાહત મેળવી શકાય

નવી દિલ્‍હીઃ આધુનિક જમાનામાં લોકો ઘુંટણ તથા શરીરના અન્‍ય ભાગોમાં દુઃખાવો થવાની ફરીયાદ કરતા હોય છે. તેમના ઇલાજ માટે આહારમાં નટ્‍સ, લીલા શાકભાજી, દુધ, ફળ અને હળદરનો ઉપયોગ કરવાથી દર્દમાં ઘણી રાહત અનુભવાય છે. શરીરમાં કેલ્‍શીયમ કે પ્રોટીનની કમી હય તો આ ઘરગથ્‍થુ ઉપચાર અજમાવી શકાય છે.

હાલના આધુનિક જમાનામાં કેટલીક બેદરકારીઓને કારણે વૃદ્ધ વય તો ઠીક પરંતુ યુવા વયમાં પણ ઘણા લોકોને પેટમાં, હાથમાં, પગમાં દુખાવો થતો હોય છે. મોટા ભાગે શરીરના અંગોમાં દુખાવાની ફરિયાદ લોકો 40ની ઉંમર બાદ કરતા હોય છે. પરંતુ આજના યુવાઓમાં આજે પહેલાના કરતા વધુ આળસ આવી ગઈ હોય તેવું લાગે છે. લોકો બહારી ગેમ્સ ન રમતા હોવાથી તેમના પગનો ઉપયોગ થતો નથી. મોબાઈલ અને કોમ્પ્યુટરમાં ગેમ્સ રમવાને કારણે યુવાઓનું જીવન એક રીતે બેઠાળું થઈ ગયું છે. બસ આજ કારણે નાનપણમાં પગના ઘુંટણમાં દુખાવો થતો હોય છે. ઘણીવાર પોષણયુક્ત આહાર પણ ન લેવાને કારણે પગના ઘુંટણમાં દુખાવો થતો હોય છે. આવો જાણીએ કે પગના ઘુંટણમાં દુખાવાથી રાહત મેળવવા લોકોએ તેમના આહારમાં શું શું લેવું જોઈએ.

કેમ થાય છે પગમાં દુખાવો-

જો તમારા શરીરમાં કેલ્શિયમ અથવા પ્રોટીનની કમી છે તો તમને ઘુંટણમાં દુખાવાની સંભાવના વધી જાય છે. ઘણીવાર દુખાવાને કારણે સોજો પણ આવી શકે છે. તેવામાં તમારે રોજના આહારમાં આ 5 વસ્તુઓ ઉમેરવી જોઈએ. આવો જાણીએ.

1) નટ્સ-

આરોગ્ય નિષ્ણાંત મોટા ભાગે નટ્સ ખાવાની સલાહ આપે છે કારણ કે આમાં વિટામીન અને પ્રોટીનની માત્રા વધુ હોય છે. નટ્સ ખાવાથી હાડકા મજબુત બને છે તેમજ ઘુંટણનો દુખાવો રહેતો નથી.

2) લીલા પાંદળાવાળા શાક-

કોબી અને બ્રોકોલી જેવા પાંદળાવાળા શાક ખાવાથી શરીરમાં સોજો પેદા કરતા એન્ઝાઈમ્સ ઘટે છે. રોજના આહારમાં લીલા શાકભાજીને ઉમેરવાથી હાડકા મજબુત રહે છે.

3) દૂધ-

દૂધ અને તેના તમામ પ્રોડક્ટ્સમાં વિટામીન-ડી અને કેલ્શિયમની ભરપુર માત્રા હોય છે. જે હાડકાને મજબુત બનાવે છે. દૂધમાં વધુ ફેટ ન હોવું જોઈએ. જો ફેટ વધુ હશે તો શરીરનો વજન પણ વધી શકે છે.

4) ફળ-

કેટલાક ફળો ઘુંટણના દુખાવાને ઠીક કરવામાં કારગર સાબિત થાય છે. આ ફળોમાં સંતરા, સ્ટ્રોબેરી અને ચેરી સામેલ છે. આ ફળોમાં વિટામીન-સી અને લાઈકોપીન જેવા પોષણ હોય છે જે સોજાને ઓછા કરે છે.

5) આદૂ અને હળદર-

આદૂ અને હળદરમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. આજ કારણે આ મસાલાનો ઉપયોગ સદીઓથી ઔષધિના રૂપમાં કરવામાં આવે છે. ઘુંટણમાં દુખાવો હોય તો આ 2 વસ્તુને તમારા આહારમાં સામેલ કરો. આદૂ અને હળદરનો ઉકાળો પણ સ્વાસ્થ્ય માટે લાભકારી છે.

(6:30 pm IST)