Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

દ.આફ્રિકાનો કેશવ મહારાજ હનુમાનજીનો પરમ ભક્ત છે

ભારત-દ.આફ્રિકતા ટી૨૦ વરસાદને લીધે ધોવાઈ ગઈઃકેશવ મહારાજના પૂર્વજ ભારતમાં જ રહેતા હતા, જેઓ ૧૮૭૪માં સુલ્તાનપુરથી કામ માટે દ. આફ્રિકા ગયા હતા

બેંગલુરૃ, તા.૨૦ :ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી૨૦ સિરીઝની અંતિમ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ છે. ભારતે પહેલી બે મેચ ગુમાવ્યા પછી કમબેક કરીને સિરીઝ ૨-૨ની બરાબરી પર લાવી દીધી હતી. આ પછી રવિવારે બેગ્લોરમાં પાંચમી ટી૨૦ રમાઈ હતી પરંતુ વરસાદના લીધે મેચ ધોવાઈ ગઈ હતી અને સિરીઝ ડ્રો રહી હતી. આ મેચ દરમિયાન સાઉથ આફ્રિકાના કેશવ મહારાજને કેપ્ટનશિપ કરવાની તક મળી હતી. નામ સાંભળીને જ કેશવ ભારતીય મૂળનો હશે તેમ માનવામાં આવતું હતું, આ ખેલાડીનું ભારત સાથે કનેક્શન પણ છે.

૭ ફેબ્રુઆરી ૧૯૯૦માં ડરબનમાં જન્મેલા કેશવ મહારાજ લેફ્ટ આર્મ સ્પિનર છે. જોકે કેશવે પેસર તરીકે પોતાના કરિયરની શરુઆત કરી હતી, એક સમયે કેશવ મહારાજના પૂર્વજ ભારતમાં જ રહેતા હતા, જેઓ ૧૮૭૪માં ઉત્તરપ્રદેશના સુલ્તાનપુરથી મજૂરી કામ કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. કેશવના પરિવારમાં ચાર સભ્યો છે. જેમાં ક્રિકેટર કેશવ સિવાય માતા-પિતા અને બહેન પણ છે, જેમના લગ્ન શ્રીલંકામાં રહેતી એક વ્યક્તિ સાથે થયા હતા.

કેશવ મહારાજના પિતા આત્માનંદ પણ ક્રિકેટર હતા, જેઓ સાઉથ આફ્રિકા માટે ઘરેલુ મેચ રમ્યા હતા. જોકે, આત્માનંદને ક્યારેય ટેસ્ટ ક્રિકેટ રમવાની તક નહોતી મળી. દાદા પણ ક્રિકેટર હતા. કેશવ મહારાજ હનુમાનજીનો ભક્ત છે. ભલે તે સાઉથ આફ્રિકામાં રહે છે પરંતુ તે પોતાના રીત-રિવાજ ભૂલ્યો નથી. કેશવ મહારાજ આજે પણ ભારતીય તહેવાર મનાવે છે.

ભારત સામેની અંતિમ ટી૨૦ મેચના દિવસે કેશવ મહારાજે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી છે જેમાં ટીમના તમામ ખેલાડીઓ જોવા મળે છે. આ પોસ્ટના કેપ્શનમાં કેશવે લખ્યું છે કે, ભારત હંમેશા માટે ખાસ સ્થળ રહ્યું છે. કેશવે પોતે પણ હનુમાનજીનો ભક્ત હોવાનું માન્યું છે. તે ભગવાન હનુમાન વિશે માને છે કે, તેના માટે હનુમાનજી શક્તિ, ઉર્જા અને રક્ષણ કરનારા દેવ છે. કેશવે હનુમાન ચાલીસા અને તુલસીમાળા કરવાની વાત પણ અગાઉ કરી છે. કેશવે ભગવાન રામ અને ગણેશજી પ્રત્યે પણ પોતાનો પ્રેમ છતો કર્યો છે.

કેશ મહારાજે ૪૨ ટેસ્ટ મેચ, ૨૧ વન-ડે અને ૧૩ ટી૨૦ ઈન્ટરનેશનલ મેચ રમી છે જેમાં અનુક્રમે ૧૫૦, ૨૫ અને ૧૦ વિકેટ લીધી છે. આ ખેલાડીને વનડે મેચમાં ઓપનિંગ કરવાની પણ તક મળી છે.

ભારત અને સાઉથ આફ્રિકાની પાંચમી અને અંતિમ મેચ કે જે નિર્ણાયક બનવાની હતી તે વરસાદમાં ધોવાઈ ગઈ હતી. મેચ નિશ્ચિત સમય કરતા ૫૦ મિનિટ મોડી શરુ થઈ હતી અને જે પછી તેને ૧૯ ઓવરની કરવામાં આવી હતી. ટોસ હાર્યા પછી બેટિંગ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમે ૩.૩ ઓવરમાં ૨ વિકેટ ગુમાવીને ૨૮ રન બનાવ્યા હતા ત્યારે ફરી એકવાર મેચ વરસાદના લીધે અટકી હતી અને એ પછી મેચ શરુ કરી શકાઈ નહોતી. એટલે અંતિમ મેચ માત્ર ૧૬ મિનિટ સુધી જ રમાઈ હતી અને પછી રદ્દ કરી દેવામાં આવી હતી.

(8:28 pm IST)