Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

રૃટ કેનાલ કરાવવા જતાં સાઉથની અભિનેત્રીનો ચહેરો બગડી ગયો

સામાન્ય સર્જરી કરાવવા જતાં અભિનેત્રી પસ્તાઈઃસ્વાતિ સતિષનો ચહેરો ખોટી ટ્રીટમેન્ટને કારણે ખરાબ થયો, દવાઓ વિશે ખોટી જાણકારી અપાયાનો આક્ષેપ

બેંગલુરૃ, તા.૨૦ :સાઉથની એક અભિનેત્રીની સ્થિતિ સામાન્ય રુટ કેનાલ સર્જરીને કારણે બદહાલ થઈ ગઈ છે. કન્નડ અભિનેત્રી સ્વાતિ સતિષનો ચહેરો રુટ કેનાલની ખોટી ટ્રીટમેન્ટને કારણે ખરાબ થઈ ગયો. સ્વાતિ સતિષે સારવાર કરનાર તબીબો પર ગંભીર આરોપ મૂક્યા છે, પરંતુ અભિનેત્રીની સ્થિતિ દયનીય બની ગઈ છે. તેનો ચહેરો જોઈને કોઈ ઓળખી પણ ના શકે.સ્વાતિ સતિશની સર્જરી પછીની તસવીરો સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે તેનો ચહેરાનો આકાર જ બદલાઈ ગયો છે. રિપોર્ટ અનુસાર, બેંગલોરમાં રહેતી સ્વાતિએ તાજેતરમાં જ રુટ કેનાલ સર્જરી કરાવી હતી. રુટ કેનાલ પછી તેના આખા મોઢા પર સોજો આવી ગયો હતો અને દુખાવો થવા લાગ્યો હતો. તબીબોએ સ્વાતિને આશ્વાસન આપ્યુ હતું કે ૨-૩ દિવસમાં તેનો ચહેરો પહેલા જેવો થઈ જશે અને સોજો પણ ઉતરી જશે.પરંતુ ૩ અઠવાડિયા પછી પણ તેની સ્થિતિ એવી જ રહી. ના તો ચહેરા પરથી સોજો ઓછો થયો અને દુખાવામાં પણ ઘટાડો ના થયો.

સ્વાતિની સ્થિતિ એવી થઈ ગઈ છે કે તેને ઓળખવી પણ મુશ્કેલ છે. આ જ કારણોસર સ્વાતિએ ઘરેથી નીકળવાનું પણ બંધ કરી દીધું છે. તેના હોઠ પણ સુજી ગયા છે. અભિનેત્રી સ્વાતિએ તબીબો પર આરોપ મૂક્યો છે કે તેને ટ્રીટમેન્ટ અને દવાઓ વિશે ખોટી અને અડધી જાણકારી આપવામાં આવી હતી.

દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટ્રીટમેન્ડ દરમિયાન અભિનેત્રીને એનેસ્થેસિયાના બદલે સેલિસિલિક એસિડ આપવામાં આવ્યુ હતું. જ્યારે તે સારવાર માટે બીજી હોસ્પિટલ ગઈ ત્યારે તેને આ વાતની જાણકારી મળી. સ્વાતિ સતિશે એફઆઈઆર અને ૬ ટૂ ૬ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અત્યારે તે ઘરે જ છે અને પોતાનો ચહેરો નોર્મલ થાય તેની રાહ જોઈ રહી છે. ઉલ્લેખનીય છે કે મે, ૨૦૨૨માં ચેતના રાજ નામની એક અભિનેત્રીનું પ્લાસ્ટિક સર્જરીને કારણે નિધન થયુ હતું.

ચેતના રાજ ફેટ ફ્રી સર્જરી કરાવવા માટે હોસ્પિટલ ગઈ હોવાનું કહેવામાં આવે છે. સર્જરી પછી તેની તબિયત લથડવા લાગી અને તેના ફેફસામાં પાણી ભરાઈ ગયુ હતું.

 

 

(8:29 pm IST)