Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

વિમાનમાં યાત્રીની તબિયત લથડતાં ભાજપનાં મંત્રી-સાસંદે જીવ બચાવ્યો

ઔરંગાબાદ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનો બનાવઃકેન્દ્રીય નાણા રાજ્યમંત્રી ડો. ભગવત કિશનરાવ અને મહારાષ્ટ્ર ધુલેના સાંસદ ડો.સુભાષ ભામરેએ મદદ કરી

નવી દિલ્હી, તા.૨૦ :દિલ્હી એરપોર્ટથી ગુરૃવારે ઔરંગાબાદ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મુસાફરની તબિયત લથડી હતી. મુસાફર બહોશ અને બેચેનીની ફરિયાદ કરવા લાગ્યો હતો. વિમાન ક્રૂએ મદદ માંગી ત્યારે ફ્લાઈટમાં હાજર ભાજપના કેન્દ્રીય રાજ્ય મંત્રી અને સાંસદે તરત જ મુસાફરની મદદ કરી હતી. મેડિકલ હેલ્પ મળ્યા બાદ મુસાફરને સારૃં લાગ્યું હતું. સાથે જ મદદ કરનાર બંને રાજકારણીઓ વ્યવસાયે ડોક્ટર છે.

એર ઈન્ડિયાએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. સાથે જ રાજકારણી નેતાઓના ફોટા પણ શેર કર્યા હતા. તસ્વીરમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી ડો. ભગવત કિશનરાવ કરાડ અને મહારાષ્ટ્રના ધુલેના સાંસદ ડો. સુભાષ ભામરે મુસાફરની પાસે ઉભા રહીને તેને મદદ કરી રહ્યા છે. તે જ સમયે, મુસાફર તબિયત લથડતા સીટ પર પડેલો છે. એર ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, દિલ્હીથી ટેકઓફ કર્યા બાદ મુસાફરે બહોશ અને બેચેની ફરિયાદ કરી હતી. જાણ થતાં જ ક્રૂ મેમ્બરે નિયમો અનુસાર જાહેરાત કરી કે ફ્લાઈટમાં હાજર કોઈપણ ડોક્ટર મદદ માટે આવે.

બંને રાજકારણી નેતાઓ વ્યવસાયે ડોક્ટર હતા અને તેઓ મદદ માટે તરતજ આગળ આવ્યા હતા. મેડિકલ હેલ્પ મળ્યા બાદ મુસાફરની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો અને તેણે મુસાફરી પૂરી કરી હતી. ક્રૂ મેમ્બર્સની સમજદારી અને રાજકારણી નેતાઓની મદદને કારણે મુસાફરની તબિયત વધુ બગડી નહોતી.  તમને જણાવી દઈએ કે, હાલમાં નવી દિલ્હીની તાજમાન સિંહ હોટલમાં ફોટોગ્રાફરની તબિયત લથડતા કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ડો.ભગવત કિશનરાવ કરાડે મદદ કરીહતી.

(8:32 pm IST)