Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

સિદ્ઘૂને 'કેપ્ટન' નથી માનતાં અમરિંદર!

ધારાસભ્યો-સાંસદોને લંચ પર બોલાવ્યા : સિદ્ઘૂને આમંત્રણ નહીં

અમરિંદર સિંહે નવજોત સિંહ સિદ્ઘૂ સિવાય તમામ કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદોને ૨૧ જુલાઇએ બપોરે જમવા માટે બોલાવ્યા છે

ચંડીગઢ,તા.૨૦: કોંગ્રેસ પાર્ટીએ ભલે નવજોત સિંહ સિદ્ઘૂના હાથમાં પંજાબની કમાન સોંપી છે, પરંતુ કેપ્ટન અમરિંદર સિંહ સાથે તેમનો ખટરાગ હજુ શાંત થયો હોય તેવું લાગતું નથી. અમરિંદર સિંહે નવજોત સિંહ સિદ્ઘૂ સિવાય તમામ કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદોને ૨૧ જુલાઇએ બપોરે જમવા માટે બોલાવ્યા છે.

અમરિંદર સિંહે તમામ ધારાસભ્યો અને સાંસદોને ૨૧ જુલાઇના રોજ પંચકૂલામાં લંચ માટે આમંત્રિત કર્યા છે. જો કે, પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ઘૂને અત્યાર સુધી આમંત્રણ મળ્યું નથી. જેના પગલે પંજાબના રાજકારણમાં ફરી એક ચર્ચાએ જોર પકડ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિધૂને પંજાબ કોંગ્રેસની કમાન સોંપી છે. સિધૂને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની સાથે જ પંજાબના ચાર કાર્યકારી અધ્યક્ષની પણ નિયુકિત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

સોનિયાં ગાંધીએ જે ચાર નેતાઓને પંજાબ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે તેમાં સંગત સિંહ ગિલાજિયાન, સુખવિંદર સિંહ ડેની, પવન ગોયલ અને કુલજીત સિંહ નાગરાનો સમાવેશ થાય છે.

(10:09 am IST)