Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

નવો ધડાકોઃ પેગાસસ જ નહિં ઈઝરાયલની કેન્ડીરૂના સ્પાઈવેયરથી પણ જાસૂસી થઈ'તી

પીએમ મોદીની ઈઝરાયલ મુલાકાત વખતે જ જાસૂસીકાંડના શ્રીગણેશ થયા'તાઃ ગાર્ડીયન : ઈઝરાયલની કંપની સરકાર અને સત્તાધારી નેતાઓને સ્પાઈ સોફટવેર વેંચી રહી છે જે થકી નાગરિકો અને વિપક્ષના કોમ્યુનિકેશનને મેળવી શકાય

નવી દિલ્હી, તા. ૨૦ :. પેગાસસ જાસૂસીકાંડમાં બ્રિટીશ ન્યુઝ મિડીયા વેબસાઈટ 'ધ ગાર્ડીયન'એ વડાપ્રધાન મોદીના ઈઝરાયેલ પ્રવાસનો ઉલ્લેખ કર્યો છે. માઈકલ સૈફી દ્વારા લખાયેલ 'ધ મોદી રાયવલ રાહુલ ગાંધી અમંગ પોટેન્શીયલ ઈન્ડીયન ટાર્ગેટસ ઓફ એનએસઓ કલાયન્ટ' શિર્ષકવાળા રીપોર્ટમાં જણાવાયુ છે કે ભારતીય નંબરોની પસંદગી મોટાભાગે મોદીની વર્ષ ૨૦૧૭ની ઈઝરાયેલ યાત્રાના સમયે શરૂ થઈ હતી. આ કોઈપણ ભારતીય વડાપ્રધાનનો પ્રથમ ઈઝરાયેલ પ્રવાસ હતો. જેમાં ભારત અને ઈઝરાયેલ વચ્ચે અબજો ડોલના સોદા પણ થયા હતા.

મળતા અહેવાલો મુજબ મોદી અને તે વખતના ઈઝરાયેલના પીએમ બેન્ઝામીન જ્યારે દરીયા કિનારે લટાર મારવા ગયા હતા તેના થોડા દિવસ પહેલા ભારતીયો નિશાના પર આવવા લાગ્યા હતા. અત્રે એ નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય મીડીયા સંગઠને ખુલાસો કર્યો છે કે ફકત સરકારી એજન્સીઓને જ વેંચતા ઈઝરાયેલના ગુપ્તચર જાસૂસી સોફટવેર પેગાસસ થકી ભારતના બે કેન્દ્રીય પ્રધાનો, ૪૦થી વધુ પત્રકારો, વિપક્ષના ૩ નેતાઓ અને વર્તમાન ન્યાયાધીશ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને અધિકાર કાર્યકર્તાઓના ૩૦૦થી વધુ મોબાઈલ નંબર હોય શકે છે કે હેક થયા હોય. આ રીપોર્ટ રવિવારે સામે આવ્યો હતો.

ઈઝરાયેલની કંપની એનએસઓ ગ્રુપે બનાવેલ પેગાસસ સ્પાઈવેયરથી અનેક લોકોને ટ્રેક કરવાના અહેવાલો સામે છે. હવે ઈઝરાયેલની બીજી કંપની કેન્ડીરૂ દ્વારા બનાવવામાં આવેલ સ્પાઈવેયરથી ૧૦ દેશોના લગભગ ૧૦૦ એકટીવીસ્ટ, પત્રકાર અને સરકારથી અસંતુષ્ટ લોકોને નિશાના પર લેવાની વાત સામે આવી છે.

આ બાબતને લઈને સીટીઝન લેબ દ્વારા સાયબર સિકયુરીટી રીસર્ચરે જણાવ્યુ હતુ કે તે ગેરકાનૂની હેકીંગ અને સર્વીલાન્સને ટ્રેક કરે છે.

સીટીઝન લેબના સાયબર સિકયુરીટી રિસર્ચરે જણાવ્યુ છે કે સાઉદી અરબ, ઈઝરાયેલ, હંગેરી, ઈન્ડોનેશીયા અને અન્ય જગ્યા પર કામ કરતા સાયબર ઓપરેટરોએ કેન્ડીરૂના બનાવેલા સ્પાઈવેયરને ખરીદ્યા હતા અને તેને રીમોટલી ઈન્સ્ટોલ કરી દીધા હતા. આ માટે વિન્ડોઝમાં મોજુદ અનેક વલ્નેરિબિલીટીનો ફાયદો ઉઠાવવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ટૂલનો ઉપયોગ ટાર્ગેટ કોમ્પ્યુટર, ફોન નેટવર્ક ઈન્ફ્રા. અને ઈન્ટરનેટ કનેકટેડ ડીવાઈસ પર એટેક કરવામાં આવ્યો હતો.

સીટીઝન લેબના રીસર્ચરે જણાવ્યુ છે કે કેન્ડીરૂ સ્પાઈવેયરને કંપની સરકાર અને સત્તાધીશ નેતાઓને વેંચી રહી છે. જેનાથી તે લોકોના અને વિપક્ષોના કોમ્યુનિકેશનને મેળવી શકે છે.

(3:10 pm IST)