Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

પ્રેમિ સાથે મળીને પતિની હત્યા કરનારી પત્ની ઝડપાઈ

યુવતી લગ્ન બાદ પણ પ્રેમિના સંપર્કમાં રહેતી હતી : લગ્ન બાદ પણ પતિ સાથે શારીરિક સબંધ ન બાંધી પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હતું

નવી દિલ્હી, તા.૨૦ : ૧૮ વર્ષની શકુંતલાને કમલ નામના એક યુવક સાથે પ્રેમ હતો, પરંતુ તેના પરિવારજનોને સંબંધ સ્વીકાર્ય નહોતા. દીકરી પોતાની મરજીથી કંઈ કરી ના બેસે તે સુનિશ્ચિત કરવા તેના પરિવારજનોએ છોકરીના ૨૨ વર્ષના એક યુવક રવિ કુમાર સાથે ૨૦૧૧માં તેના લગ્ન કરાવી દીધા. શકુંતલાને રવિ જરાય પસંદ નહોતો. તે લગ્ન બાદ પણ પોતાના પ્રેમી સાથે સંપર્કમાં હતી, અને આખો દિવસ તેની સાથે ફોન પર વાતો કરતી રહેતી હતી. પત્નીની વર્તણૂંક શંકાસ્પદ લાગતા રવિને તેનું બહાર અફેર ચાલતું હોવાની શંકા ગઈ હતી, જે થોડા સમયમાં સાચી પડી હતી.

શકુંતલાના અફેર અંગે જાણ થતાં તેના પતિ રવિએ તેના પર ઘરની બહાર આવવા જવા અને ફોન પર વાતો કરવા પર આકરા નિયંત્રણો મૂકી દીધા હતા. જેનાથી ગુસ્સે ભરાયેલી શકુંતલાએ પ્રેમી કમલ સાથે મળીને પતિનો કાંટો કાઢવાનો પ્લાન બનાવી લીધો હતો. જેના ભાગરુપે ૨૨ માર્ચ ૨૦૧૧ના રોજ શકુંતલાએ રવિને પોતાની બહેનના ઘરે લઈ જવા માટે વિનંતી કરી હતી. શકુંતલા પતિ સાથે દિલ્હીમાં રહેતી હતી, જ્યારે તેની બહેન હરિયાણાના સામલખામાં રહેતી હતી. પતિ-પત્ની સામલખા જઈ રહ્યા હતા ત્યારે પ્લાન પ્રમાણે કમલનો ડ્રાઈવર રસ્તા પરથી ગાડી લઈ પસાર થયો હતો. શકુંતલાએ તેને ઉભો રખાવી સામલખા જવા અંગે પૂછ્યું હતું. ડ્રાઈવર સાથે ભાડું નક્કી કર્યા બાદ બંને ત્યાં જવા ગાડીમાં બેસી ગયા હતા. થોડે આગળ કમલ પેસેન્જર બની ગાડીની રાહ જોઈ રહ્યો હતો. તે પણ ગાડીમાં બેસી ગયો હતો અને તેણે શકુંતલા પોતાના ગામની હોવાનું તેના પતિને જણાવ્યું હતું. શકુંતલાને તેની બહેનના ઘરે ઉતાર્યા બાદ કમલ પ્રાઈવેટ વાત કરવી છે તેવું બહાનું કરી તેના પતિને પોતાની સાથે લઈ ગયો હતો અને ડ્રાઈવર સાથે મળી તેને પતાવી દીધો હતો.

રવિનું મર્ડર કર્યા બાદ કમલ અને તેનો ડ્રાઈવર ગણેશ ગાડીમાં તેની લાશને લઈને રાજસ્થાનના અલવરમાં આવ્યા હતા. અલવરમાં કમલ પોતાનો ધંધો કરતો હતો, અને તેના વેરહાઉસ પાસે રવિની લાશને દાટી દેવામાં આવી હતી. ઘટના અંગે શકુંતલાએ કોઈને કંઈ નહોતું જણાવ્યું, અને તે તો સાસરીમાં રહેવા લાગી હતી. રવિ ક્યાં ગયો તે પૂછતા તેણે જણાવ્યું હતું કે તે પોતાની બહેનના ઘરે ગઈ હતી ત્યારે રવિ પાંચ મિનિટમાં આવું છું તેમ કહી તેને મૂકીને નીકળ્યો હતો, પરંતુ પાછો આવ્યો નહોતો. રવિના ગાયબ થઈ જતાં તેની ગુમ થયાની ફરિયાદ છેક ૧૬ એપ્રિલ ૨૦૧૧ના રોજ નોંધાવાઈ હતી. જેમાં તેનું અપહરણ કરાયું હોય તેવી શંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. કેસની તપાસ દિલ્હી ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવતા શકુંતલા અંડરગ્રાઉન્ડ થઈ ગઈ હતી.

બીજી તરફ, શકુંતલાએ પતિનું મર્ડર કર્યા બાદ પોતાના પ્રેમી સાથે રહેવાનું શરુ કરી દીધું હતું. ૨૦૧૭માં બંનેએ લગ્ન પણ કરી લીધા હતા, તેમને એમ હતું કે હવે રવિના ગાયબ થયાનો કેસ ઠંડો પડી ચૂક્યો છે અને પોલીસ પણ તેને ભૂલી ચૂકી છે. જોકે, ખરેખર તેવું નહોતું. પોલીસને બાતમી મળતા તેણે રાજસ્થાનમાંથી ૨૦૧૯માં શકુંતલા અને તેના પ્રેમી કમલને શોધી કાઢ્યાં હતાં. તે વખતે કમલ તો પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો, પરંતુ શાતિર શકુંતલા ફરી એકવાર પોલીસને હાથતાળી આપી નાસી છૂટવામાં સફળ રહી હતી. કમલે પોલીસને જણાવ્યું હતું કે તેણે પોતાના ડ્રાઈવર ગણેશની મદદથી શકુંતલાના પતિ રવિને મોતને ઘાટ ઉતાર્યો હતો, અને તેની લાશને પોતાના વેરહાઉસ પાસે દાટી દીધી હતી.

આખરે છેક ૨૦૨૧માં ફરી એક બાતમી મળતાં જુલાઈ મહિનામાં શકુંતલા પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી. દસ વર્ષ સુધી પોલીસને હાથતાળી આપતી રહેલી શકુંતલાએ પૂછપરછ દરમિયાન રવિનું મર્ડર કેવી રીતે કરવામાં આવ્યું તે અંગેની વિગતો આપવાનું શરુ કર્યું ત્યારે પોલીસ અધિકારીઓ પણ ફાટી આંખે તેની સામે જોતા રહી ગયા હતા. શકુંતલા પર પોલીસે ૫૦ હજાર રુપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું. તેની ધરપકડ અંગે દિલ્હી ક્રાઈમ બ્રાંચના જેસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે શકુંતલા અલવર પરત ફરી ત્યારે પોલીસને તે ક્યાં હોઈ શકે તે અંગેની એક ટીપ મળી હતી.

જેના આધારે પોલીસની ટીમે ૧૫ દિવસ સુધી અલવરમાં ધામા નાખ્યા હતા, અને અમુક વિસ્તારોમાં એકેએક ઘરની તપાસ કરી હતી. આખરે ૧૭ જુલાઈએ સંતાકૂકડીનો અંત આવ્યો હતો અને શકુંતલા પોલીસના હાથમાં આવી ગઈ હતી. તેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન શકુંતલાએ દાવો કર્યો હતો કે પહેલા પતિ રવિને તેના અફેરની જાણ થઈ જતાં તેણે તેનું ઘરની બહાર નીકળવાનું તેમજ ફોન પર વાત કરવાનું બંધ કરાવી દીધું હતું.

પતિને ખતમ કરવા માટે તેણે પોતાના પ્રેમી સાથે પ્લાન બનાવ્યો હતો, અને ૨૨ માર્ચ ૨૦૧૧ના રોજ તેને અંજામ આપ્યો હતો. ત્યારબાદ રવિની લાશને અલવરમાં દાટી દેવામાં આવી હતી. એક વર્ષ બાદ લાશને ફરી ત્યાંથી કાઢવામાં આવી હતી, અને તેના અવશેષને અલવરથી રેવાડી વચ્ચેના ૭૦ કિમીના રસ્તામાં ફેંકી દીધા હતા. તેમને એમ હતું કે લાશ નહીં હોય તો રવિનું મર્ડર થયું છે તેવું પોલીસ સ્થાપિત નહીં કરી શકે. જોકે, રવિની ગાયબ થવાની ફરિયાદ નોંધાવાઈ ત્યારે શકુંતલા તેમાં મુખ્ય શકમંદ હતી. વળી, તે જે સંજોગોમાં અંડરગ્રાઉન્ડ થઈ ગઈ તેનાથી પોલીસને તેના પરની શંકા પાક્કી બની ગઈ હતી. પરંતુ હોશિયાર શકુંતલા ૧૦ વર્ષ સુધી પોલીસને હંફાવતી રહી હતી અને છેક જુલાઈ ૨૦૨૧માં તેની ધરપકડ કરાઈ હતી.

કમલે શકુંતલાને રવિ સાથે પરણવાની સલાહ આપી હતી, પરંતુ તેની સાથે શારીરિક સંબંધ ના બાંધવા જણાવ્યું હતું. શકુંતલાના લગ્ન થયા તેના બીજા દિવસે તે પોતાના પિયર આવી ગઈ હતી. બે મહિના બાદ તે સાસરે ગઈ હતી, જોકે તે વખતે તેણે પતિને પોતાના સારા લગ્નજીવન માટે વ્રત કર્યું હોવાથી થોડો સમય શારીરિક સંબંધ નહીં બાંધી શકે તેવી વાત કરી હતી. તેનો પતિ પણ તેની વાત માની ગયો હતો. દરમિયાન તેને શકુંતલાની વર્તણૂંક પર શંકા પડવા લાગી હતી. બીજી તરફ, શકુંતલા અને કમલ રવિને ખતમ કરવાનો સોલિડ પ્લાન બનાવી ચૂક્યા હતા અને તેમણે તેનું રિહર્સલ પણ કર્યું હતું.

આખરે શકુંતલાએ એક દિવસ પતિને બહાર જવા મનાવ્યો હતો, અને તેઓ મૂવી જોઈ શકુંતલાની બહેનના ઘરે જવાના હતા. તે વખતે રસ્તામાં કમલનો ડ્રાઈવર ગાડી લઈ નીકળ્યો હતો, અને પ્લાન અનુસાર શકુંતલાએ તેને રોક્યો હતો અને તેના પતિ સાથે તેમાં સવાર થઈ હતી, ગાડી થોડી આગળ ગઈ ત્યારે કમલ પણ તેમાં પેસેન્જર તરીકે બેસી ગયો હતો. મુસાફરી દરમિયાન કમલે તે શકુંતલાના ગામનો હોવાની ઓળખાણ આપી હતી. શકુંતલાને તેની બહેનના ઘરે ઉતાર્યા બાદ કમલ રવિને થોડી પ્રાઈવેટ વાત કરવી છે તેમ કહી લઈ ગયો હતો અને એક જગ્યાએ લઈ જઈ તેણે પોતાના ડ્રાઈવર સાથે મળી રવિની દોરડાંથી ગળું દબાવી હત્યા કરી નાખી હતી.

ત્યારબાદ રવિની લાશને અલવર લઈ જવાઈ હતી અને કમલના વેરહાઉસ પાસે દાટી દેવાઈ હતી. એક વર્ષ બાદ લાશને ફરી બહાર કઢાઈ હતી અને તેના જે કંઈ અવશેષ હતાં તેમને હાઈવે પર છૂટાછવાયા ફેંકી દઈ પુરાવાનો નાશ કરવાની કોશીશ કરાઈ હતી. જોકે, ૨૦૧૯માં જ્યારે કમલ અને તેનો ડ્રાઈવર ગણેશ પોલીસના હાથે ઝડપાયા ત્યારે તેમણે રવિની લાશનું શું કર્યું તે અંગે પોલીસને માહિતી આપી હતી. તેમણે જે જગ્યાએ લાશને દાટી હતી ત્યાં પોલીસે ફરી ખોદકામ કરાવ્યું હતું અને ત્યાંથી હાડકાંના ૨૨ જેટલા ટૂકડા શોધી તેની ફોરેન્સિક તપાસ કરાવી તે રવિના હોવાનું સ્થાપિત કર્યું હતું.

(7:34 pm IST)