Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

વૃંદાવન: બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતી સમયે ગૂંગળામણથી 2 લોકોના મોત

આ અકસ્માત થયો ત્યારે ડીએમ, એસએસપી નગર આયુક્ત સહિત ભારે સંખ્યામાં પોલીસફોર્સ હાજર હતી: અકસ્માત થતા જ પોલીસ અને ખાનગી સુરક્ષાકર્મીઓએ બેભાન થઈ રહેલા શ્રદ્ધાળુઓને મંદિરમાંથી બહાર કાઢવાનું શરૂ કરી દીધુ હતું

નંદલાલાના જન્મોત્સવ બાદ બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતી દરમિયાન ભક્તોની ભીડ ઉમટી પડી. ઠાકુર બાંકે બિહારીના દર્શન માટે ઉમટેલી  ભીડના કારણે બાંકે બિહારી મંદિરમાં પગ મૂકવાની પણ જગ્યા નહતી. જેના કારણે મંદિર પરિસરમાં હાજર લોકોને ગૂંગળામણ થવા લાગી. આ કારણસર લોકોની મુશ્કેલીઓ વધતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અકસ્માત બાદ મથુરાના SSP નું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતી દરમિયાન મંદિરના એક્ઝિટ દ્વાર પર એક શ્રદ્ધાળુ બેભાન થઈ ગયા જેના કારણે શ્રદ્ધાળુઓની અવરજવર ખોરવાઈ. મંદિરની અંદર લોકોની ખુબ ભીડ હતી. જેના કારણે મંદિર પરિસરમાં ગૂંગળામણ થવા લાગી અને લોકોને દમ ઘૂંટવા લાગ્યો. આ અકસ્માતમાં બે લોકોના જીવ ગયા.

મળતી માહિતી મુજબ મંદિરમાં જે સમયે આ અકસ્માત થયો ત્યારે ડીએમ, એસએસપી નગર આયુક્ત સહિત ભારે સંખ્યામાં પોલીસફોર્સ હાજર હતી. અકસ્માત થતા જ પોલીસ અને ખાનગી સુરક્ષાકર્મીઓએ બેભાન થઈ રહેલા શ્રદ્ધાળુઓને મંદિરમાંથી બહાર કાઢવાનું શરૂ કરી દીધુ હતું. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

(10:57 am IST)