Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

રાજસ્થાનમાં ૧૯ માસમાં પહેલીવાર એકપણ કેસ નહીં

દેશના અનેક રાજ્યોમાં કોરોના નિયંત્રણમાં : મંગળવારે રાજ્યના ૩૩ જિલ્લામાં ૧૭,૨૪૧ સેમ્પલ ટેસ્ટ થયા હતા, જે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા

જયપુર, તા.૨૦ :દેશમાં તેમજ ગુજરાતમાં કોરોનાના ડેઈલી કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જોકે, ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ૧૯ મહિનામાં પહેલીવાર વિતેલા ૨૪ કલાકમાં કોરોનાનો એકેય કેસ સામે નથી આવ્યો. માર્ચ ૨૦૨૦ પછી પહેલીવાર રાજસ્થાનમાં આવું બન્યું છે. મંગળવારે રાજ્યના ૩૩ જિલ્લામાં ૧૭,૨૪૧ સેમ્પલ ટેસ્ટ થયા હતા, જે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

રાજસ્થાનમાં હાલ સારવાર હેઠળ હોય તેવા કોરોનાના દર્દીની સંખ્યા ૩૮ છે. જયપુરમાં હાલ ૧૩ એક્ટિવ કેસ છે, ત્યારબાદ અજમેર અને બિકાનેરમાં સાત-સાત એક્ટિવ કેસ હોવાનું સરકારી આંકડા જણાવી રહ્યા છે. રાજસ્થાનમાં કોરોનાનો પહેલો કેસ ૨ માર્ચ ૨૦૨૦ના રોજ નોંધાયો હતો. રાજ્યનો પહેલો દર્દી એક ઈટાલિયન પ્રવાસી હતો. અત્યારસુધીમાં રાજસ્થાનમાં ૯,૫૪,૮૯૨ દર્દી નોંધાઈ ચૂક્યા છે, અને સરકારી ચોપડે ૮,૯૫૪ લોકોનાં મોત થયા છે. હાલ રાજસ્થાનમાં કોરોનાનો કહેર ભલે લગભગ સમાપ્ત થઈ ગયો હોય, પરંતુ હજુય ભીડભાડવાળા વિસ્તારોમાં રેન્ડમ સેમ્પલ લેવાનું ચાલુ છે. ત્રીજી લહેરને ટાળવા સરકાર રસીકરણ પર પણ ખાસ ધ્યાન આપી રહી છે. રાજ્યમાં અત્યારસુધીમાં ૮૨ ટકા લોકોને પહેલો ડોઝ મળી ચૂક્યો છે જ્યારે ૪૦ ટકા વસ્તીને બંને ડોઝ મળી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, એક સમયે ગુજરાતમાં તેમજ રાજસ્થાનમાં કોરોનાનો રાફડો ફાટ્યો હતો. રાજસ્થાને ગુજરાતથી આવતા પ્રવાસીઓ માટે નેગેટિવ આરટીપીસીઆરરિપોર્ટ ફરજિયાત કરી દીધો હતો. જોકે, ઘણા સમય પહેલા આ નિયંત્રણો ઉઠાવી લેવાયા છે. ગુજરાતીઓ મોટી સંખ્યામાં રાજસ્થાન ફરવા જતા હોય છે, ખાસ કરીને દિવાળીના વેકેશનમાં તો રાજસ્થાનના લગભગ તમામ ટુરિસ્ટ પ્લેસ પર ગુજરાતીઓની જ ભીડ દેખાતી હોય છે.

બીજી લહેરની અસર ઓસરી ત્યારે દેશમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન થર્ડ વેવ જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, કોરોનાનો કોઈ નવો વેરિયંટ અત્યારસુધી ના દેખાતા થર્ડ વેવની શક્યતા ખૂબ જ નહીવત બની ગઈ છે. જોકે, દિવાળીની રજામાં લોકોએ સાવધાની રાખવી જરુરી હોવાનું પણ એક્સપર્ટ્સનું માનવું છે.

દેશની ૧૦૦ કરોડ જેટલી વસ્તીને કોવિડ વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ મળી ગયો છે, તેવામાં જો થર્ડ વેવ આવી જાય તો પણ તેની ઘાતકતા પ્રમાણમાં ખૂબ ઓછી રહેશે તેવું પણ એક્સપર્ટ્સનું માનવું છે.

(7:42 pm IST)