Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

કોરોનાના કેસોમાં ઘટાડો

૨૪ કલાકમાં ૨૬,૧૧૫ લોકો સંક્રમિતઃ ૨૫૨ દર્દીનાં મોત

ભારતમાં રસીકરણ અભિયાન હેઠળ ૮૧ કરોડ ૮૫ લાખથી વધુ ડોઝ અપાયાઃ એક દિવસમાં ૯૬ લાખ લોકોને અપાઇ વેકસીન

નવી દિલ્હી, તા.૨૧: દેશમાં કોરોના વાયરસ સંક્રમણના નવા કેસોમાં ફરી ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ સંક્રમણના કેસ કેરળમાં નોંધાયા છે. અહીં એક દિવસમાં ૧૫ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રમાં અઢી હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. ગુજરાતમાં કોવિડ-૧૯ની સ્થિતિ દ્યણે અંશે કાબૂમાં છે. ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં માત્ર ૧૪ લોકો સંક્રમિત થયા છે.
કેન્દ્રીય આરોગ્ય વિભાગે મંગળવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૬,૧૧૫ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૫૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૫,૦૪,૫૩૪ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૮૧,૮૫,૧૩,૮૨૭ કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૬,૪૬,૭૭૮ કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૭ લાખ ૪૯ હજાર ૫૭૪ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૩૪,૪૬૯ દર્દીઓ સાજા થયા છે. હાલમાં ૩,૦૯,૫૭૫ એકિટવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૫,૩૮૫ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૫,૫૦,૩૫,૭૧૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના ૨૪ કલાકમાં ૧૪,૧૩,૯૫૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૪ કેસ નોંધાયા છે, જયારે ૧૭ દર્દી રિકવર થયા છે. અમદાવાદ કોર્પોરેશન ૫, સુરત કોર્પોરેશન ૩, વડોદરા કોર્પોરેશન ૩, પોરબંદર ૧, સુરત ૧ અને વડોદરામાં ૧ કેસ નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૫,૫૨૨ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજયમાં કોવિડ રિકવરી રેટ પણ ૯૮.૭૬ ટકા છે. રાજયમાં કોરોના સંક્રમણથી એકપણ વ્યકિતનું મોત થયું નથી.
ગુજરાતમાં હાલ ૧૩૩ એકિટવ કેસ છે, જે પૈકી ૪ વેન્ટીલેટર પર છે, જયારે ૧૨૯ સ્ટેબલ છે. ૮,૧૫,૫૨૨ નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૧૦૦૮૨ નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નીપજયાં છે. ગુજરાતમાં રસીકરણની વાત કરવામાં આવે તો ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૪૫૭૫૭ લોકોને રસીનો પ્રથમ અને ૫૬૨૪૯ લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુકયો છે. ૧૮-૪૫ વર્ષ સુધીના ૧૨૧૮૨૭ નાગરિકોને રસીનો પ્રથમ જયારે ૧૪૪૭૨૧ નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. સોમવારે ૩,૭૨,૩૩૪ કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં ૫,૭૦,૫૯,૮૭૪ કુલ રસીના ડોઝ અપાઇ ચુકયા છે.

 

(11:16 am IST)