Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

કાલે દિવસ- રાત સરખા

બુધવારે ૧૨ કલાકનો દિવસ અને ૧૨ કલાકની રાત્રીઃ ગુરૂવારથી ક્રમશઃ દિવસ ટૂંકો અને રાત્રી લાંબી થશે

રાજકોટઃ સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત  એકબીજાને છેદે છે. આ છેદ બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. આવતીકાલ બુધવાર તા.૨૨મી સપ્ટેમ્બરે શરદસંપાતના કારણે દિવસ અને રાત સરખા હોવાનો અદ્દભુત અનુભવ માણવા મળશે. ૧૨ કલાકનો દિવસ અને ૧૨ કલાકની રાત્રી બુધવારે જોવા મળશે. ખગોળીય ઘટના વસંતસંપાત પછી શરદસંપાત ઘટનાનો લાભ લેવા અપીલ કરી છે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે તા.૨૨ના બુધવાર શરદસંપાત તરીકે ઓળખાય છે. રાજકોટમાં સૂર્યોદય સવારે ૬ કલાકને ૩૬ મિનિટ અને સૂર્યાસ્ત સાંજે ૬ કલાકને ૪૦ એટલે દિવસ ૧૨ કલાકને ૦૪ મિનિટનો રહેશે. અમદાવાદમાં સૂર્યોદય ૬ કલાકને ૨૯ મિનિટ અને સૂર્યાસ્ત ૬ કલાકને ૩૪ મિનિટ એટલે દિવસ ૧૨ કલાકને ૫ મિનિટ, સુરતમાં સૂર્યોદય ૬ કલાકને ૨૯ મિનિટ, થરાદમાં સૂર્યોદય ૬ કલાકને ૩૪ મિનિટ સૂર્યાસ્ત ૬ કલાકને ૩૫ મિનિટ, મુંબઈમાં સૂર્યોદય ૬ કલાક ૨૮ મિનિટ ૩૮ સેકન્ડ સૂર્યાસ્ત ૬ કલાકને ૩૪ મિનિટ ૧૩ સેકન્ડ સામાન્ય રીતે ૧૨ કલાકને દિવસ- રાત્રી રહેશે. દિવસ- રાત સરખા હોવામાં સામાન્ય ૩ મિનિટથી ૭ મિનિટનો તફાવત ધ્યાને રાખી અંકગણિત કરવાનું રહેશે. અપર અને સૂક્ષ્મ ગણિત આધારે ગણત્રી કરવામાં આવી છે.

(11:45 am IST)