Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે લગભગ ૨૩૦ પાયલોટ વ્હેલ ફસાયેલી મળી

એરિયલ ફોટોગ્રાફ્સમાં વ્હેલ સમુદ્ર કિનારે જોવા મળી : આ વ્હેલમાંથી માત્ર અડધી વ્હેલ જીવિત હોવાની શક્યતા

સીડની, તા.૨૧ : ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયાના દરિયાકાંઠે લગભગ ૨૩૦ પાયલોટ વ્હેલ બુધવારે ફસાયેલી મળી આવી હતી. દુખદ વાત એ છે કે, ઓસ્ટ્રેલિયન અધિકારીઓના જણાવયા પ્રમાણે આ વ્હેલમાંથી માત્ર અડધી વ્હેલ જ જીવિત હોવાની શક્યતા છે.

ઓસ્ટ્રેલિયાના જૈવિક સંસાધન અને પર્યાવરણ વિભાગના જણાવ્યા પ્રમાણે, લગભગ ૨૩૦ વ્હેલનું એક જૂથ મેક્યૂરી હાર્બર પર ફસાઈ ગયું છે. એવું લાગે છે કે, આમાંથી માત્ર અડધા જીવો જ જીવિત છે. એરિયલ ફોટોગ્રાફ્સમાં ડઝનબંધ વ્હેલ સમુદ્ર કિનારે પડેલી જોવા મળી. જેના વીડિયો પણ દુખદ છે.

લગભગ બે વર્ષ પહેલા આ વિસ્તારમાં બીચ પર લગભગ ૪૭૦ પાયલોટ વ્હેલ સામૂહિક રીતે ફસાઈ હતી. જેમાંથી માત્ર ૧૦૦ને જ બચાવી શકાઇ. જે ઘટનાને અત્યાર સુધીની સૌથી મોટી ઘટના માનવામાં આવે છે. એક વીક સુધી ચાલેલા બચાવ કાર્ય બાદ ૧૧૧ વ્હેલ્સને બચાવી લેવાઇ હતી અને ૩૫૦ વ્હેલની મોત થઇ હતી. 

આટલા મોટા સમૂહની મધ્યમાં વ્હેલ શા માટે આવે છે તેનું કારણ હજુ પણ સંપૂર્ણ રીતે સમજી શકાયું નથી.

વિજ્ઞાનીઓનું અનુમાન છે કે, આવી ઘટના રસ્તો ભટકાઈને અને કિનારે ખૂબ નજીક આવવાને કારણે બની હોઈ શકે છે. પાયલોટ વ્હેલ ખૂબ જ સામાજિક છે અને તે જોખમી જૂથના સાથીઓને અનુસરવાનું વલણ ધરાવે છે.

અધિકારીઓનું કહેવું છે કે, દરિયાઈ જીવ સંરક્ષણ નિષ્ણાતો અને વ્હેલ બચાવ કાર્યકર્તા વ્હેલના રેસ્ક્યુ માટે ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં, ૧૪ સ્પર્મ વ્હેલ તાસ્માનિયાના જ દૂરના દરિયાકિનારા પર મૃત મળી આવી હતી.

(7:22 pm IST)