Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

મોટીવેશનલ સ્પીકર જય વસાવડાના પિતાશ્રી લલીતભાઈનું ૮૫ વર્ષની વયે દુઃખદ નિધન

કાલે શુક્રવારે રાજકોટમાં અને રવિવારે અમદાવાદમાં પ્રાર્થનાસભા

રાજકોટઃ જાણીતા લેખક વકતા જય વસાવડાના ઘડવૈયા અને વત્સલ પિતા નિવૃત્ત અધ્યાપક શ્રી લલિતભાઈ વસાવડાનો રાજકોટ ખાતે એમના નિવાસસ્થાને ગઈકાલે શરદ પૂનમની રાત્રિએ ૮૫ વર્ષની વયે દેહવિલય થયો છે.  સદગતની પ્રાર્થનાસભા રાજકોટ ખાતે શુક્રવાર તા. ૨૨ના રોજ સવાણી હોલ, કોટેચા સર્કલ પાસે, રાજકોટ ખાતે બપોરે ૪ થી ૬ દરમિયાન અને અમદાવાદ ખાતે તા.૨૪ રવિવારે પૂ. માધવપ્રિયદાસજીની નિશ્રામાં છારોડી ગુરૂકુળ, એસજીવીપી કેમ્પસ, ,નિરમા યુનિ. સામે , એસ.જી. હાઇવે ખાતે સાંજે ૫ થી ૭ દરમિયાન રાખેલ છે.

લલિતભાઈ વસાવડા જૂનાગઢમાં એમની લેખન વકતૃત્વકળા માટે યુવાનીમાં સુપ્રસિદ્ધ હતા. જવાહરલાલ નેહરૂના હાથે એમને સાહિત્યસર્જન માટે ચંદ્રક મળ્યો હતો. ત્યાર બાદ ભાવનગર અને પછી ગોંડલ ખાતે સ્થાયી થયા હતા. સ્વ. જયશ્રીબહેન સાથેના સ્નેહલગ્નના એકમાત્ર સંતાન તરીકે જય વસાવડાને એમણે રોજનું એક પુસ્તક આપી શાળાએ મોકલ્યા વિના વ્હાલથી ઘડતર કર્યું  હતું. મોટી ઉંમરે એમને જેનો હજુ કોઈ ઈલાજ નથી એવો ર્પાકિંન્સન્સ રોગ થયો હતો. છતાં એ મોજથી જીવતા હતા. ગત દિવાળી પર કોરોનાને લડત આપી બેઠા થયા હતા. પણ છેલ્લા મહિનાઓમાં એસ્પીરેશનલ ન્યુમોનિયાને લીધે રાજકોટ વોકાર્ડ હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ થયા હતા. ત્યારે બાદ ઘેર આનંદથી પાછા ફરેલા પણ હૃદય અને ફેફસાં નબળા પડેલા ને હઠીલું ઇન્ફેકશન થયું હતું. ડો. ચિરાગ માત્રાવડિયાની પારિવારિક હૂંફ સાથેની સારવાર ને જય વસાવડાના ભાવનામામીની કાળજી સાથે સેવા થકી પુત્રનો પ્રેમ અને પ્રગતિનું સુખ અનુભવી સદાય શાંત અને સાહિત્યકલરસિક સ્વભાવના સંભારણા સ્વજનોમાં મૂકી એમણે  ચિરવિદાય લીધી છે.(શ્રી જય વસાવડા મો.૯૮૨૫૪ ૩૭૩૭૩)

(3:29 pm IST)